)
અમેરિકામાં પાકિસ્તાનના પ્રવાસી સમુદાયને સંબોધિત કરતા મુનીરે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના સીએમડી મુકેશ અંબાણી વિશે ધમકીના સૂર રેલાવ્યા છે. પાકિસ્તાની સેનાના વડા આસીમ મુનીરે પોતાના ભાષણમાં કહ્યું કે, એક ટ્વીટ કરાવી હતી, જેમાં સૂરહ ફીલ અને મુકેશ અંબાણીની તસવીર હતી, જેથી એ સંદેશ આપી શકાય કે હવે પાકિસ્તાન શું કરશે. મુનીરે ધમકીભર્યા ટોનમાં કહ્યું કે, અમે ભારતના પૂર્વથી શરૂ કરીશું જ્યાં તેમના સૌથી કિંમતી સંસાધન છે, અને પછી પશ્ચિમ તરફ આગળ વધીશું.
શું છે આ સૂરહ ફીલ
ફીલ એક અરબી શબ્દ છે. જેનો અર્થ હાથી થાય છે. સૂરહ ફીલ કુરાનની એક સૂરહ છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે ખુદાએ કેવી રીતે દુશ્મનના હાથીઓ પર પક્ષીઓ પાસે પથ્થરો વરસાવીને તેમને ભૂસામાં ફેરવી નાખ્યા હતા. આસીમ મુનીર હાફિઝ એ કુરાન છે એટલે કે તેણે આખી કુરાન કંઠસ્થ કરી રાખી છે. આ અગાઉ પણ તે ભારત વિરુદ્ધ ભાવનાઓ ભડકાવવા માટે આવા જ ધાર્મિક નારાઓનો ઉપયોગ કરતા આવ્યા છે.
મુનીરે એટલું જ નહીં ભારતને પરમાણુ હુમલાની ધમકી પણ આપી દીધી કે જો ભારતે સિંધુ નદી પર કોઈ બંધ બાંધ્યો તો તેને મિસાઈલોથી તોડી નાખશે. મુનીરે કહ્યું કે, અમે રાહ જોઈશું કે ભારત બંધ બાંધે, અને પછી તેને 10 મિસાઈલોથી તોડી નાખીશું. સિંધુ નદી ભારતની ખાનદાની સંપત્તિ નથી, અને અમારી પાસે મિસાઈલોની કોઈ કમી નથી.
મુનીરના આ નિવેદન પર ભારત સરકારે આકરી પ્રતિક્રિયા આપી અને તેને પરમાણુ હથિયારોથી લેસ એક બેજવાબદાર દેશની માનસિકતા ગણાવી. સરકાર સાથે જોડાયેલા સૂત્રોએ મુનીરના નિવેદનને ખુબ જ બેજવાબદારવાળું ગણાવતા ચેતવણી આપી કે પાકિસ્તાનમાં પરમાણુ હથિયારો અન્યના હાથમાં જવાનું વાસ્તવિક જોખમ છે. સૂત્રો મુજબ આ નિવેદન પાકિસ્તાનમાં લોકતંત્રની ગેરહાજરીનું ઉદાહરણ છે. જ્યાં અસલમાં સત્તા સેનાના હાથમાં છે.