)
Nepal Gen-Z Protest Updates: નેપાળમાં બે દિવસ સુધી થયેલ ભારે હિંસા બાદ હવે પરિસ્થિતિ ધીમે-ધીમે સામાન્ય થતી જોવા મળી રહી છે. પ્રદર્શનકારી યુવાનોએ મંગળવારે રાત્રે લગભગ 4 કલાક ચાલેલી વર્ચ્યુઅલ મીટિંગ પછી સેના સાથે શાંતિ વાર્તા માટે પોતાના નેતાની પસંદ કરી લીધા છે. હામી નેપાળના સ્થાપક સુદન ગુરુંગ અથવા કાઠમંડુના મેયરને બદલે Gen-Z યુવાનોએ દેશના પૂર્વ ચીફ જસ્ટિસ સુશીલા કાર્કીમાં પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. હવે સુશીલા કાર્કી ભવિષ્યની બધી વાટાઘાટોમાં યુવા પ્રદર્શનકારીઓનું પ્રતિનિધિત્વ કરશે.
કોણ છે સુશીલા કાર્કી?
સુશીલા કાર્કી નેપાળના પ્રથમ મહિલા મુખ્ય ન્યાયાધીશ (ચીફ જસ્ટિસ) છે, જેમણે 11 જુલાઈ 2016થી 6 જૂન 2017 સુધી નેપાળના સુપ્રીમ કોર્ટમાં સેવા આપી હતી. તેમનો જન્મ 7 જૂન 1952ના રોજ નેપાળના મોરાંગ જિલ્લાના બિરાટનગરમાં થયો હતો. તેઓ તેમના સાત ભાઈ-બહેનોમાં સૌથી મોટા છે. સુશીલા કાર્કીએ તેમની મહેનત, નિષ્પક્ષતા અને ભ્રષ્ટાચાર સામેના કઠોર વલણ માટે ખ્યાતિ મેળવી છે.
કેટલા શિક્ષિત છે કાર્કી?
સુશીલા કાર્કીએ નેપાળના બિરાટનગરમાં મહેન્દ્ર મોરંગ કોલેજમાંથી સ્નાતકની ડિગ્રી પૂર્ણ કરી. ત્યારબાદ તેમણે બનારસ હિન્દુ યુનિવર્સિટી (BHU)માંથી રાજનીતિ શાસ્ત્રમાં માસ્ટર ડિગ્રી મેળવી. ત્યારબાદ તેમણે કાઠમંડુની ત્રિભુવન યુનિવર્સિટીમાંથી કાયદાની ડિગ્રી મેળવી. અભ્યાસ પછી તેમણે 1979માં કાયદાની પ્રેક્ટિસ શરૂ કરી અને 2007માં તેમને વરિષ્ઠ વકીલનો દરજ્જો મળ્યો.
નેપાળના પ્રથમ મહિલા ચીફ જસ્ટિસ
સુશીલા કાર્કી 2009માં તેમને નેપાળ સુપ્રીમ કોર્ટના અસ્થાઈ જસ્ટિસ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. પછીના વર્ષે 2010માં તેમને કાયમી ન્યાયાધીશ બનાવવામાં આવ્યા હતા. 2016માં તત્કાલીન વડાપ્રધાન કેપી શર્મા ઓલીના નેતૃત્વ હેઠળની બંધારણીય પરિષદે સુપ્રીમ કોર્ટના પ્રથમ મહિલા મુખ્ય ન્યાયાધીશ તરીકે તેમની નિમણૂકની ભલામણ કરી હતી.
ભ્રષ્ટાચાર સામે બતાવ્યું કડક વલણ
સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે સુશીલા કાર્કીનો કાર્યકાળ ભ્રષ્ટાચાર સામે કડક પગલાં લેવા માટે જાણીતો હતો. તેમણે ઘણા હાઇ-પ્રોફાઇલ કેસોમાં નિષ્પક્ષ અને સાહસિક ચુકાદા આપ્યા. આમાં નેપાળ ટ્રસ્ટ સામે પ્રેરણા રાજ્ય લક્ષ્મી રાણા (પૂર્વ રાજકુમારીની મિલકત)નો કેસ, કાઠમંડુ જિલ્લા કોર્ટમાં પોલિમર બેન્ક નોટો સંબંધિત ભ્રષ્ટાચારનો કેસ અને કાઠમંડુ-નિજગઢ એક્સપ્રેસવે સંબંધિત કેસોનો સમાવેશ થાય છે.
'ભ્રષ્ટાચાર માટે શૂન્ય સહિષ્ણુતા હોવી જોઈએ'
સુશીલા કાર્કી માનતી હતી કે, ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચાર માટે શૂન્ય સહિષ્ણુતા હોવી જોઈએ, જેના કારણે તેમને જનતા તરફથી વ્યાપક સમર્થન મળ્યું, જો કે, આ વલણને કારણે તેમને કેટલાક વિવાદોનો સામનો પણ કરવો પડ્યો હતો. વર્ષ 2017માં માઓવાદી સેન્ટર અને નેપાળી કોંગ્રેસે સુશીલા કાર્કી પર પક્ષપાક અને કાર્યપાલિકામાં દખલગીરીનો આરોપ લગાવતા સંસદમાં મહાભિયોગ પ્રસ્તાવ રજૂ કર્યો હતો. આ પ્રસ્તાવથી નેપાળમાં ઘણો હોબાળો થયો. જો કે, વ્યાપક જાહેર સમર્થન અને સુપ્રીમ કોર્ટના વચગાળાના આદેશ બાદ આ પ્રસ્તાવ પાછો ખેંચી લેવામાં આવ્યો.