અકબરનું રાજીનામું : પ્રિયા રામાણીએ કહ્યું, 'અમે સાચા સાબિત થયા, હવે કોર્ટ પાસેથી ન્યાયની અપેક્ષા'

પ્રિયા રામાણીએ કહ્યું કે અકબરનું રાજીનામું સ્ત્રીશક્તિની જીત છે 

અકબરનું રાજીનામું : પ્રિયા રામાણીએ કહ્યું, 'અમે સાચા સાબિત થયા, હવે કોર્ટ પાસેથી ન્યાયની અપેક્ષા'

નવી દિલ્હી : યૌન શોષણના આરોપમાં ઘેરાયેલા વિદેશ રાજ્ય મંત્રી એમ.જે. અકબરે બુધવારે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમના રાજીનામા પછી તેમના પર યૌનશોષણનો આરોપ લગાવનારી પત્રકાર પ્રિયા રામાણીએ કહ્યું છે કે અકબરનું રાજીનામું સ્ત્રીશક્તિની જીત છે. હવે હું એ દિવસની રાહ જોઈ રહી છું જ્યારે મને કોર્ટ તરફથી ન્યાય મળશે. નોંધનીય છે કે પ્રિયા રામાણીએ હાલમાં જ ‘મી ટૂ’ અભિયાન અંતર્ગત એમ.જે. અકબર વિરૂદ્ધ યૌન ઉત્પીડનનો આરોપ મૂક્યો છે. આ પહેલાં મંગળવારે ‘ધ એશિયન એજ’ અખબારમાં કામ કરી ચૂકેલી 19 મહિલા પત્રકારોએ એક સંયુક્ત નિવેદનમાં પ્રિયા રામાણીનું સમર્થન કર્યું છે. 

 #Me Too અભિયાન અંતર્ગત જાતીય શોષણના આરોપો લાગ્યા બાદ કેન્દ્રીય વિદેશ રાજ્યમંત્રી અને પૂર્વ સંપાદક એવા એમ.જે. અક્બરે તેમના પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને રાજીનામું મોકલી આપ્યું છે. એમ.જે. અકબરે તેમના રાજીનામા અંગે આપેલા નિવેદનમાં જણાવ્યું છે કે, 'મેં કોર્ટમાં ન્યાય માટે અરજી કરી છે. મારી સામે જે ખોટા આરોપો લગાવવામાં આવ્યા છે તેને હું મારી અંગત રીતે લડવા માગું છું. આ કારણે હું મારા પદ પરથી રાજીનામું આપવા માગું છું. આથી વિદેશ રાજ્યમંત્રી પદ પરથી હું મારું રાજીનામું આપું છું. મને આ દેશની સેવા કરવા માટે તક આપવા બદલ હું માનનીય વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને વિદેશ મંત્રી સુષમા સ્વરાજનો આભારી છું.'

#Me Too અભિયાનમાં ઘણા બધા કિસ્સા બહાર આવ્યા બાદ કેન્દ્ર સરકાર સતર્ક થઈ ગઈ છે. કેન્દ્ર સરકારે નિર્ણય લીધો છે કે #Me Too અભિયાન દરમિયાન ઊભા થયેલા સવાલો અને કામકાજના સ્થળે મહિલાઓના ઉત્પીડન અંગેના વર્તમાન કાયદાને ફરીથી ચકાસવામાં આવશે. સાથે જ તેમાં રહેલી ખામીઓ દૂર કરીને નવો કડક કાયદો બનાવાશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news