ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે વધુ ગુણાત્મક સુધાર અને સામાજિક દાયિત્વ માટે રોડમેપ તૈયાર કરાશે : શિક્ષણમંત્રી

ગુજરાતમાં પણ મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મ જયંતિની ગૌરવમયી ઉજવણી થશે ત્યારે વિશ્વવિદ્યાલયોએ પણ આ ઉજવણીમાં પોતાનું મૂલ્યવાન યોગદાન આપી ઉજવણીને સાર્થક બનાવવાની રહેશે.

ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે વધુ ગુણાત્મક સુધાર અને સામાજિક દાયિત્વ માટે રોડમેપ તૈયાર કરાશે : શિક્ષણમંત્રી

ગાંધીનગર: ગુજરાતના રાજ્યપાલ ઓ.પી.કોહલીના અધ્યક્ષસ્થાને શનિવારે રાજભવનમાં રાજ્ય સહાયિત યુનિવર્સિટીઓના ઉપકુલપતિઓની પરિષદ યોજાઇ હતી. આ બેઠકમાં શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, શિક્ષણ રાજ્ય મંત્રી શ્રીમતી વિભાવરીબહેન દવે, યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનના અધિક સચિવ શ્રીમતી રેણુ બત્રા ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યપાલે પરિષદને સંબોધન કરતા જણાવ્યું હતું કે, રાજ્યની યુનિવર્સિટીઓએ સી.આર.સી.ની સંકલ્પનાની તર્જ પર શૈક્ષણિક કાર્યોની સાથે સાથે સામાજિક ઉત્તરદાયિત્વની ભૂમિકા વધુ્ પ્રભાવક રીતે નિભાવવી જોઇએ. વિદ્યાર્થીઓનું ગ્રામીણ જીવન સાથેનું તાદાત્મ્ય જીવંત બને અને સમાજહિત અને ઉત્થાનના કાર્યોમાં તેઓ તેમનું સક્રિય યોગદાન આપવા માટે પ્રેરિત થાય તે માટેના પ્રયાસો પર વિશેષ વિચારણા થવી જોઇએ.

તેમણે જણાવ્યું હતું કે, મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતિ રજી ઓક્ટોબર,૨૦૧૯ના રોજ દેશભરમાં ગૌરવભેર ઉજવવામાં આવનાર છે. આ ઉજવણીના સંદર્ભમાં ભારતના રાષ્ટ્રપતિના અધ્યક્ષસ્થાને રાષ્ટ્રીય ઉજવણી સમિતિ તથા વડાપ્રધાનના અધ્યક્ષ સ્થાને એક્ઝિક્યુટિવ કમિટીની રચના કરવામાં આવી છે. ગુજરાતમાં પણ મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મ જયંતિની ગૌરવમયી ઉજવણી થશે ત્યારે વિશ્વવિદ્યાલયોએ પણ આ ઉજવણીમાં પોતાનું મૂલ્યવાન યોગદાન આપી ઉજવણીને સાર્થક બનાવવાની રહેશે. આ ઉપરાંત ઉચ્ચ શિક્ષણને વધુ ગુણાત્મક બનાવવાની દિશામાં પણ વિગતવાર ચર્ચાઓ થઇ હતી તથા ઘણાં ઉપયોગી સૂચનો મળ્યાં હતાં.

શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ શિક્ષણમાં ગુણાત્મક સુધાર માટે આગામી દિવસોમાં ‘રોડમેપ’ તૈયાર કરવાની આવશ્યકતા પર ભાર મૂકતા જણાવ્યું હતું કે, આ રોડમેપ તેયાર કરવામાં આજની બેઠક ખૂબ ઉપયોગી નિવડશે. તેમણે જણાવ્યું હતું કે, આજે ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે આપણે ક્યાં છીએ અને કેવી રીતે, કયાં પહોંચવાનું છે તેની દિશા આપણે નક્કી કરવાની છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં ૪-૫-૬ જૂનના રોજ સમગ્ર દેશના તમામ રાજ્યપાલશ્રીઓની ઉચ્ચ શિક્ષણમાં પરિવર્તન અંગે ચર્ચા કરવા બેઠક યોજાયેલી તેના સંદર્ભમાં વિસ્તૃત આયોજન અને રૂપરેખા ઘડવા રાજ્યપાલે આજે બોલાવેલી કુલપતિશ્રીઓની બેઠક ફળદાયી બનશે. 

આ બેઠકમાં થયેલી ચર્ચા અને સમિક્ષાના આધારે તૈયાર થનાર કાર્યયોજનાના અમલીકરણ દ્વારા આગામી છ મહિનામાં જે અર્ક નીકળશે, તેના પરથી આપણો લક્ષ્યાંક પણ સ્પષ્ટ થશે. ઉચ્ચ શિક્ષણમાં વધુ ગુણાત્મક સુધાર માટે જે જવાબદારી સોંપાઇ છે તેની પ્રક્રિયાનો કુલપતિશ્રીઓની આજની બેઠકથી પ્રારંભ થયો છે. આજની ચર્ચાના આધારે જે રોડમેપ તૈયાર થશે તે પ્રમાણે આપણે આગળ વધીશું.

આ બેઠકમાં રાજ્યની સરકાર હસ્તકની યુનિવર્સિટીઓના કુલપતિશ્રીઓએ સામાજિક જવાબદારી, વિદ્યાર્થીઓની કૌશલ્યવૃદ્ધિ, ગાંધી-૧૫૦ની ઉજવણીનું આયોજન, યુનિવર્સિટીઓના કેટલાક સંસ્થાગત, વહીવટી પ્રશ્નો, સ્ટાર્ટઅપ ક્ષેત્રે થયેલી કામગીરી, કેટલાક સંશોધનાત્મક પ્રયોગો, સ્કીલ ડેવલપમેન્ટના પ્રયોગો, ગામડાઓમાં વિદ્યાર્થીઓને મોકલી વ્યવહારિક સમસ્યાના અનુભવ સાથે તેના ઉકેલ માટેની સમજ કેળવવી, શિક્ષણ સુધારણા માટે ગામોને દત્તક લેવા, વિદ્યાર્થીઓ માટે ‘લર્નિંગ’ સાથે ‘અર્નિંગ’નો  અભિગમ અને તે માટેનું આયોજન જેવા મહત્વના મુદાઓની વિસ્તૃત વિગતો આપી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news