અમદાવાદ પોલીસે બનાવ્યો દિવાળી માટે માસ્ટરપ્લાન, પોલીસ કરશે શો-રૂમ બહાર પેટ્રોલિંગ

Ahmedabad Police Masterplan : દિવાળીમાં ચોરીના બનાવોને અટકાવવા માટે અમદાવાદ પોલીસે જ્વેલર્સ અને શો રૂમ માલિકો સાથે મીટિંગ કરીને અને ચોરી અટકાવવા માસ્ટર પ્લાન બનાવ્યો

અમદાવાદ પોલીસે બનાવ્યો દિવાળી માટે માસ્ટરપ્લાન, પોલીસ કરશે શો-રૂમ બહાર પેટ્રોલિંગ

ઉદય રંજન/અમદાવાદ :દિવાળી એટલે ગુજરાતીઓ ફરવા ઉપડી જાય. દિવાળીના વેકેશનમાં મોટાભાગના ગુજરાતીઓ ફરવા જવાનું પસંદ કરે છે. આવામાં ઘરફોડ ચોરોને લ્હાણી થઈ જાય છે. દિવાળીના વેકેશનમાં બંધ ઘરના તાળા તોડવાની ઘટનાઓ વધી જાય છે. પરિવારો આવીને જુએ તો ઘરના તાળા તૂટેલા હોય, અને ઘરનો સામાન-દાગીનાની ચોરી થતી હોય છે. આવામાં દિવાળીમાં ચોરીની ઘટનાઓ અટકાવવ માટે અમદાવાદ પોલીસે માસ્ટર પ્લાન બનાવ્યો છે. 

દિવાળીના પર્વની હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે ઘરફોડ ચોરી કારના કાચ તોડીને ચોરી કે પછી નજર ચૂકવીને ચોરી, ચેન સ્નેચિંગ, મોબાઇલ સ્નેચિંગના બનાવો બનતા અટકે તે માટે અમદાવાદ ઝોન-7 ડીસીપી દ્વારા ખાસ એક્શન પ્લાન બનાવવામાં આવ્યો છે. જેમાં દિવાળીના દિવસોમાં બંધ રહેતા જ્વેલરી શો રૂમ તથા અન્ય શો રૂમમાં ચોરી ન થાય તે માટે ખાસ પ્લાન બનાવ્યો છે.  આ માટે જ્વેલર્સ એસોસિયેશન સાથે ડીસીપીની મિટિંગ યોજાઈ હતી અને જ્વેલર્સને સુરક્ષાની પોલીસ દ્વારા ખાતરી આપવામાં આવી છે. 

આ બેઠકમાં ચર્ચાયું કે, cctv જેવા સુરક્ષાના સાધનો પણ જ્વેલર્સની દુકાનો અને શો રૂમમાં હોવા જરૂરી છે. ડીસીપી બીયુ જાડેજા દ્વારા દરેક પોલીસ સ્ટેશનમાં કુલ પાંચ ટીમ બનાવવામાં આવી છે. અને આ પાંચે ટીમ દ્વારા વિસ્તારમાં જ્યાં આંગડિયા પેઢી, જ્વેલર્સ અને ખરીદી માટેના બજારો આવેલ છે ત્યાં રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. પોલીસ સાદા કપડા પહેરીને પેટ્રોલિંગ કરશે, જેથી વધુ નજર રાખી શકાય. આ સાથે જ શો રૂમની આસપાસ ફરતા શંકાસ્પદ વ્યક્તિની પુછપરછ કરવામાં આવી રહી છે. જ્યારે ખરીદી માટે મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે એટલે કે સાંજ ના 5 થી 10 વાગ્યા સુધી પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. ઉપરાંત પોલીસ દ્વારા ખાસ લોકોને સૂચના આપવામાં આવી રહી છે કે જ્યારે તમે વધુ રોકડ રકમ અથવા તો કિંમતી વસ્તુઓ લઈ જઈ રહ્યા છો ત્યારે અવશ્ય આ બાબતની જાણ પોલીસ ને કરવી જેથી લૂંટ કે ચોરીના બનાવો બનતા અટકાવી શકાય.

ફરવા જાઓ તો પોલીસને જાણ કરવી
ફરવા જતા હોય તો સ્થાનિક પોલીસમાં જાણ કરવી. તેમજ જો વધુ દિવસો ફરવા જવાનુ પ્લાનિંગ હોય તો અચૂક જાણ કરવી, જેથી તમારા ઘરના તાળાં તૂટતા બચાવી શકાય. લોકો ફરવા કે અન્ય સંબંધીને ત્યાં બહારગામ જાય ત્યારે જ તસ્કરો ઘર કે દુકાનને નિશાન બનાવતા હોય છે. આવામાં ચેતીને રહેવુ યોગ્ય છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news