અમદાવાદમાં લોકોને ગરમીથી રાહત આપવા તંત્રએ લગાવ્યો પાણીનો છંટકાવ કરતો 'ફુવારો'

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના એક ચાર રસ્તા પર લગાવાયા સ્પ્રિંકલર. પાઈલોટ પ્રોજેકટ સફળ થાય તો શહેરના અન્ય ટ્રાફિક જંકશન ઉપર તંત્ર દ્વારા વ્યવસ્થા કરાશે.

અમદાવાદમાં લોકોને ગરમીથી રાહત આપવા તંત્રએ લગાવ્યો પાણીનો છંટકાવ કરતો 'ફુવારો'
  • ઉનાળા માટે તંત્રનો હીટ એક્શન પ્લાન તૈયાર
  • ક્યાં લગાવવામાં આવ્યો છે ઠંડક આપતો 'ફુવારો'?
  • ટ્રાફિક સિગ્નલમાં પાણીનો છંટકાવ કરતાં સ્પ્રિંક્લર લગાવાયાં
  • અમદાવાદમાં વાહનચાલકોને ગરમીથી રાહત આપતો નવતર પ્રયોગ

ઝી બ્યૂરો, અમદાવાદઃ ઉનાળાના સમયમાં અમદાવાદમાં મહત્તમ ગરમીનો લોકો સામનો કરતા હોય છે.ગરમીથી લોકોને રાહત આપવા પુષ્પકુંજ ટ્રાફિક જંકશન ઉપર સ્પ્રીન્કલરની મદદથી સિગ્નલ બંધ હોય એ સમયે પાણીથી છંટકાવ કરવામાં આવી રહયો છે.પાઈલોટ પ્રોજેકટ સફળ થાય તો શહેરના અન્ય ટ્રાફિક જંકશન ઉપર પણ મ્યુનિ.તંત્ર દ્વારા સ્પ્રીન્કલરથી પાણીનો છંટકાવ કરવાની વ્યવસ્થા કરાશે.

અમદાવાદના મહત્તમ તાપમાનમાં છેલ્લા કેટલાક સમયથી વધારો થઈ રહયો છે.મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગત વર્ષે શહેરના વિવિધ ટ્રાફિક જંકશન ઉપર ગ્રીન નેટ લગાવવાનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. પરંતુ ગ્રીન નેટ લગાવતી વખતે ટ્રાફિક જંકશન ઉપર લગાવવામાં આવેલા સી.સી.ટી.વી.કેમેરાને એ નડતરરુપ થાય એમ હતી. ત્યારે આ વખતે તંત્ર દ્વારા લોકોને ગરમીથી રાહત આપવા માટે પ્રાયોગિક ધોરણે પાયલોટ પ્રોજેક્ટના ભાવરૂપે અમદાવાદમાં એક જગ્યાએ ટ્રાફિક જંકશન પર સ્પ્રીન્કલર ફુવારો લગાવાયો છે. આ ફુવારા દ્વારા સતત પાણીનો છંટકાવ કરવામાં આવે છે. જેને કારણે લોકોને કાળઝાળ ગરમીથી રાહત મળી રહે. 

અમદાવાદમાં આવેલાં છે 300થી વધુ ટ્રાફિક જંકશનઃ
મ્યુનિસિપલ કોર્પોરેશ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ અમદાવાદમાં ત્રણસોથી વધુ ટ્રાફિક જંકશન આવેલા છે.આ પૈકી ટ્રાફિક પોલીસ સાથે સંકલન કરી ૧૨૦ જેટલા ટ્રાફિક જંકશન કે જયાં ઓછો ટ્રાફિક હોય છે એવા ટ્રાફિક જંકશન વધુ ગરમીના દિવસોમાં બપોરે ૧૨થી ૪ કલાક સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

કેવી રીતે ચાલશે આ સ્પ્રિંકલર?
ટ્રાફિક જંકશન ઉપર આવેલા સીસીટીવી કેમેરાના નીચે ઓટોમેટિક સ્પ્રિંકલર લગાવવામાં આવ્યા છે. બપોરે 12 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી આ સ્પ્રિંકલર સિગ્નલના ટાઈમિંગ પ્રમાણે ચાલુ બંધ થશે. 60 સેકન્ડથી લઈ 120 સેકન્ડ સુધી ટાઈમર પ્રમાણે ચાલશે.

શહેરના અન્ય જંકશન પર પણ લગાવાશે સ્પ્રિંકલરઃ
આ સ્પ્રિંકલર પ્રોજેક્ટને સારો પ્રતિસાદ મળશે તો શહેરના વિવિધ ટ્રાફિક જંક્શન ઉપર સીસીટીવી કેમેરાની નીચેના ભાગે સ્પ્રિંકલર લગાવવામાં આવશે. હિટ એક્શન પ્લાન અંતર્ગત શહેરના 305 જેટલા સીસીટીવી કેમેરામાંથી 120 જેટલા સીસીટીવી કેમેરા બપોરે 12થી 5 વાગ્યા સુધી બંધ રાખવામાં આવ્યા છે.

ક્યાં લગાવવામાં આવ્યો છે ઠંડક આપતો 'ફુવારો'?
અમદાવાદના મણીનગર વોર્ડમાં આવેલા પુષ્પકુંજ ટ્રાફિક જંકશન ખાતે બે દિવસથી સિગ્નલ બંધ હોય એવા સમયે ટ્રાફિક જંકશન ઉપર ઉભા રહેલા વાહન ચાલકોને ગરમીથી રાહત મળે એ માટે એકથી લઈ પાંચ સ્પ્રીન્કલરની મદદથી પાણીનો છંટકાવ કરવામાં આવી રહયો છે.સિગ્નલ ખુલે એ સમયે સ્પ્રીન્કલર આપોઆપ બંધ થઈ જાય છે.આગામી સમયમાં શહેરના અન્ય ટ્રાફિક જંકશન ઉપર પણ આ પ્રકારે સ્પ્રીન્કલરની મદદથી લોકો ઉપર પાણી છંટકાવની વ્યવસ્થા કરાશે.

ઉનાળા માટે તંત્રનો હીટ એક્શન પ્લાન તૈયારઃ
ઉનાળાની ગરમી હવે ધીમે-ધીમે વધી રહી છે. આગામી દિવસોમાં અમદાવાદમાં ગરમીનું પ્રમાણ વધશે. જેથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગરમીને લઈ હીટ એક્શન પ્લાન બનાવવામાં આવ્યો છે. બપોરના સમયે ટ્રાફિક સિગ્નલ ઉપર લોકો ઊભા રહેતા હોય છે, જેના કારણે તેઓને તડકો અને ગરમી વધુ લાગે છે. જેને લઇ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. ટ્રાફિક સિગ્નલ જંકશન પર લાગેલા સીસીટીવી કેમેરાની બાજુમાં પાણીના છંટકાવ કરતા સ્પ્રિંકલર લગાવવામાં આવ્યા છે. 

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news