ક્ષત્રિય સંમેલનમાં ભાજપના ધારાસભ્યના પુત્રની હાજરી, રૂપાલાનો વિવાદ હવે આ જિલ્લામાં પણ પ્રસર્યો

Parsottam Rupala Controversy : આણંદમાં ગુરુવારે ક્ષત્રિય સમાજનું સંમેલન મળ્યું, ક્ષત્રિય સમાજના આગેવાનોએ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ દોહરાવી, ટિકિટ રદ નહીં થાય ત્યાં સુધી લડાઈ ચાલુ રખાશે, ક્ષત્રિય આગેવાનોએ ભાજપ સરકાર પર કર્યા પ્રહાર

ક્ષત્રિય સંમેલનમાં ભાજપના ધારાસભ્યના પુત્રની હાજરી, રૂપાલાનો વિવાદ હવે આ જિલ્લામાં પણ પ્રસર્યો

Anand News બુરહાન પઠાણ/આણંદ : પુરૂષોત્તમ રૂપાલાની ટીપ્પણીનો વિવાદ આણંદ જિલ્લામાં પણ પ્રસર્યો છે. ત્યારે આણંદ શહેરમાં રામનવમી નિમિત્તે આયોજીત ક્ષત્રિય સમાજ એકતા સમિતીનાં ઉપક્રમે સંમેલનમાં ક્ષત્રિય સમાજનાં આગેવાનોએ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરી લોકસભાની ચુંટણીમાં જડબાતોડ જવાબ આપવા સમગ્ર સમાજને આહવાન કર્યું હતું. જોકે, આ સંમેલનમાં ભાજપના ધારાસભ્યનો પુત્ર જોવા મળતા ભારે ચર્ચા ઉઠી હતી. 

આણંદમાં ગતરોજ ક્ષત્રિય સમાજનું સંમેલન યોજાયું હતુ. જેમાં ક્ષત્રિય આગેવાનોએ રૂપાલા અને ભાજપનો વિરોધ દર્શાવ્યો હતો. જોકે, રૂપાલા વિરોધ કાર્યક્રમમાં ભાજપના ધારાસભ્ય પુત્રની સૂચક હાજરી જોવા મળી હતી. આ કાર્યક્રમમાં ઉમરેઠના ભાજપના ધારાસભ્ય ગોવિંદ પરમારનાં પુત્રની હાજરી જોવા મળી હતી. ધારાસભ્ય ગોવિંદ પરમારના પુત્ર હર્ષદ પરમાર સંમેલનમાં ઉપસ્થિત રહ્યા હતા. આમ, રૂપાલા અને ભાજપ વિરોધી કાર્યક્રમમાં ભાજપના ધારાસભ્ય પુત્રની હાજરી આંખે ઉડીને વળગે તેમ હતી. 

આણંદ શહેરમાં ભગવાન શ્રીરામ જન્મોત્સવ નિમિત્તે આયોજીત કાર્યક્રમમાં રાજપુત કરણી સેનાનાં ગુજરાત પ્રદેશ પ્રમુખ વિરભદ્રસિંહ જાડેજાએ ક્ષત્રિય યુવાનો અને બહેન દિકરીઓને આહવાન કરતા કહ્યું હતું કે, જ્યાં સુધી પુરૂષોત્તમ રૂપાલાની ટિકિટ રદ ના થાય તેમજ જયાં સુધી ન્યાય ના મળે ત્યાં સુધી કાળો ખેસ ધારણ કરી તેમજ બહેન દિકરીઓએ કાળો દુપટ્ટો પહેરી વિરોધ ચાલુ રાખશે.

આ પ્રસંગે મહાકાલ સેનાનાં પ્રદેશ અધ્યક્ષ વિજયસિંહ ચાવડા, રાજપુત સંસ્થા સંકલન સમિતીના પ્રદેશ મહિ્લા વીંગનાં પ્રમુખ તૃપ્તિબા રાઉલ, કટોસણ સ્ટેટનાં રાજવી ધર્મપાલસિંહ ઝાલા, યુવા ક્ષત્રિય સેનાંનાં અભિજીતસિંહ બારડ, રાજપુત સેવા સંધનાં પ્રદેશ પ્રમુખ દશરથબા પરમાર, ગોતા રાજપુત ભવનનાં મહિલા પ્રમુખ ગીતાબા વાધેલા ઉપસ્થિત રહ્યા હતા. આ સંમેલનને કહેવાયું કે, આ લડાઈ ગુજરાતની અસ્મિતાની લડાઈ છે. માં દીકરીઓનાં અપમાનનાં બદલા માટેની લડાઈ છે, ત્યારે સમગ્ર સમાજે કાયદાની મર્યાદામાં રહી લડાઈમાં જોડાવા આહવાન કર્યું હતું. 

ક્ષત્રિય સમાજનાં આ સમેલનમાં આગામી લોકસભાની ચુંટણીમાં માત્ર રાજકોટમાં પુરૂષોત્તમ રૂપાલાને નહી પણ 26 બેઠકો પર ભાજપનાં ઉમેદવારોને  હરાવવા માટે 100 ટકા મતદાન કરવા અનુરોધ કરવામાં આવ્યા હતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news