મધ્યાહન ભોજન એલાઉન્સમાંથી BOBએ ટ્રાન્જેક્શન ચાર્જના નામે મસમોટી રકમ કાપી લીધી

બાળકો માટે એલાઉન્સ પેટે જમા કરાવાયેલા 38,000 માંથી 25,000 જેટલી રકમ કાપી લેવાઈ છે. ત્યારે ગરીબ બાળકોને મળવાપાત્ર તેમના હકના નાણાં કાપી લેવાતા શાળાના પ્રિન્સિપાલ પણ ચોંકી ઉઠ્યા

મધ્યાહન ભોજન એલાઉન્સમાંથી BOBએ ટ્રાન્જેક્શન ચાર્જના નામે મસમોટી રકમ કાપી લીધી

અતુલ તિવારી/અમદાવાદ :ગરીબ બાળકોને આપતા મધ્યાહન ભોજન એલાઉન્સમાંથી બેંકે ટ્રાન્જેક્શન ચાર્જના નામે મસમોટી રકમ કાપી લેતા વિવાદ ઉભો થયો છે. મ્યુનિસિપલ સ્કૂલના બાળકો માટે જમા કરાવાયેલા નાણાં કાપી બેંક ઓફ બરોડા વિવાદમાં આવી છે. શાહીબાગની મ્યુનિ. શાળામાં એલાઉન્સ પેટે અંદાજે 35 હજાર જેટલી રકમ જમા થઈ હતી. ત્યારે જમા થયેલ રકમમાંથી BOB એ 65 થી 70 ટકા જેટલી મોટી રકમ ટ્રાન્જેક્શન ચાર્જના નામે કાપી લીધી છે. 

બાળકો માટે એલાઉન્સ પેટે જમા કરાવાયેલા 38,000 માંથી 25,000 જેટલી રકમ કાપી લેવાઈ છે. ત્યારે ગરીબ બાળકોને મળવાપાત્ર તેમના હકના નાણાં કાપી લેવાતા શાળાના પ્રિન્સિપાલ પણ ચોંકી ઉઠ્યા છે. પ્રિન્સિપાલે નગરપ્રાથમિક સમિતિ અમદાવાદના શાસનાધિકારીને રૂપિયા કપાયા અંગે જાણ કરી છે. શાસનાધિકારીએ BOB ના અધિકારીને પત્ર લખ્યો છે. 0 (ઝીરો) બેલેન્સની શરત સાથે બાળકોના BOB માં ખાતા ખોલાવવામાં આવ્યા હતા. શાસનાધિકારીએ વર્ષ 2011માં થયેલ કરારનો પત્ર બેંકને ફરિયાદ સાથે લખેલા પત્ર સાથે મોકલ્યો છે. 

શાસનાધિકારીના પત્ર લખ્યાના 20 દિવસ બાદ પણ બેંકે કાપેલા નાણાં પરત ના કર્યા. આ વિશે નગર પ્રાથમિક શાળા સમિતિના ચેરમેન ધીરેન્દ્રસિંહ તોમર જણાવે છે કે, કોર્પોરેશન સંચાલિત અમદાવાદમાં 368 શાળાઓ આવેલી છે. અંદાજે 1 લાખ 20 હજાર જેટલા ગરીબ બાળકો તેમાં અભ્યાસ કરે છે. નગર પ્રાથમિક શાળા સમિતિ અમદાવાદને હવે ટ્રાન્જેક્શનના નામે મોટી રકમ કપાયાની એક બાદ એક ફરિયાદ મળી રહી છે. કોરોનાના કારણે લોકડાઉન થતા બાળકોને મધ્યાહન ભોજનની સુવિધા પૂરી પાડી ન શકાતા એલાઉન્સ પેટે બાળકોના ખાતામાં રકમ જમા કરાવવાનો નિર્ણય લેવાયો હતો. 

ધોરણ 1 થી 5 ના 1 વિધાર્થી દીઠ કુકિંગ કોસ્ટ રૂપે 4.97 રૂપિયા પ્રતિદિન જમા કરાવાયા હતા. ધોરણ 6 થી 8ના 1 વિદ્યાર્થી દીઠ કુકિંગ કોસ્ટ રૂપે 7.45 રૂપિયા પ્રતિદિન જમા કરાવ્યા હતા. આ સિવાય બાળકોને લોકડાઉન દરમિયાન ઘઉં અને ચોખા રાશનની દુકાનથી વિના મૂલ્યે પુરા પાડવામાં આવ્યા હતા. ધોરણ 1થી 5 ના વિદ્યાર્થીઓને 1 દિવસ લેખે 50-50 ગ્રામ ઘઉં અને ચોખા અપાયા હતા. તો ધોરણ 6થી 8 ના વિદ્યાર્થીઓને 1 દિવસ લેખે 75-75 ગ્રામ ઘઉં અને ચોખા અપાયા હતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news