કેબિનેટ મંત્રી દિલીપ ઠાકોર પર તેમની પુત્રવધુ જૂમાબહેને ત્રાસ ગુજારવાનો લગાવ્યો આક્ષેપ

દિલીપ ઠાકોરે તમામ આક્ષેપો પાયાવિહોણા જણાવીને ફગાવી દેતા કહ્યું કે, આ ઘણી જુની બાબત છે, કોર્ટમાં કેસ ચાલુ જ છે, અત્યારે ખોટી ઉછાળવામાં આવી રહી છે 

કેબિનેટ મંત્રી દિલીપ ઠાકોર પર તેમની પુત્રવધુ જૂમાબહેને ત્રાસ ગુજારવાનો લગાવ્યો આક્ષેપ

દિયોદરઃ કેબિનેટ મંત્રી દિલીપ ઠાકોરની પુત્રવધુ જૂમાબહેને પ્રેસ કોન્ફરન્સ યોજીને પતિ, સાસુ અને સસરા પર શારીરિક-માનસિક ત્રાસ ગુજારવાના ગંભીર આક્ષેપ લગાવ્યા છે. તેણે જણાવ્યું છે કે, પુત્રીનો જન્મ થતાં સાસરિયાઓએ ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. સસરા મંત્રી હોવાના કારણે પોલીસ પણ ફરિયાદ ન લેતી હોવાને કારણે પત્રકાર પરિષદ યોજી હતી. 

પુત્રવધુએ આરોપ લગાવ્યો છે કે, છૂટાછેડા લેવા માટે તેના સસરા દિલીપ ઠાકોર અને તેમના પુત્ર મિતેશ સતત ધમકીઓ આપી રહ્યા છે. આ અંગે પોલીસમાં ફરિયાદ કરી પરંતુ પોલીસ દ્વારા કોઈ જ કાર્યવાહી કરાઈ નથી. આથી અમે દિયોદર કોર્ટમાં ફરિયાદ કરી છે.

એક તરફ રાજ્ય સરકાર પુત્રીના જન્મના વધામણાની વાતો કરે છે ત્યારે તેમના જ મંત્રીના ઘરે પુત્રીજન્મને કારણે પુત્રવધુ પર ત્રાસ ગુજારવાનો આક્ષેપ થયો છે. દિલીપ ઠાકોરની પત્નીએ એવો પણ આક્ષેપ કર્યો છે કે, મંત્રીના પુત્ર મિતેશે અગાઉ પણ 3  લગ્ન કર્યાં છે. અને ત્રણેય વખત પુત્રીજન્મ થતાં ત્રણેય પુત્રવધુઓને પુત્રી સાથે કાઢી મુકવામાં આવી છે. તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની મદદ ન મળતાં જૂમાબાનના પરિવારે હવે પછી બનાસકાંઠામાં મંત્રી દિલીપ ઠાકોર જ્યાં પણ કાર્યક્રમ હશે ત્યાં જઈને તેમનો ઘેરાવો કરવાની ચીમકી ઉચ્ચારી છે. 

પુત્રવધુ જુમાબહેને જણાવ્યું કે, દિકરીનો જન્મ થયો. જન્મ થયા બાદ 12 મહિના બહુ સારી રીતે રાખી. ત્યાર પછી મારી નણંદ, મારી સાસુ, મારા સસરા, મારા પતિ સહિત બધા જ મને ત્રાસ આપવા લાગ્યા હતા. મને એમ કહેતા હતા કે, મને રાખવાનો તેમનો ઈરાદો નથી. મને શારીરિક અને માનસિક રીતે ખુબ જ ત્રાસ આપવાનું શરૂ કરાયું હતું. આથી, કંટાળીને મેં ન્યાય માટે અરજી કરી છે. 

મંત્રી દિલીપ ઠાકોરે આ અંગે જણાવ્યું કે, આ તમામ આક્ષેપ પાયાવિહોણા છે. આવી કોઈ બાબત નથી. આ જૂની બાબત છે. કોર્ટમાં કેસ ચાલે છે અને મારો દિકરો નિયમિત રીતે ભરણપોષણ પણ ચુકવી રહ્યો છે. પતિ-પત્ની વચ્ચે જ્યારે મનમેળ ન હોય તો આપણે શું કરી શકીએ. અમે વડીલ તરીકે અને સમાજના આગેવાનોને સાથે રાખીને સમજાવાના ખુબ જ પ્રયાસ કર્યા છે. આ પુત્રવધુનો પિતા જ તેની દિકરીને આવીને તેના ઘરે લઈ ગયો છે. 

દિકરીના જન્મ અંગે તેમણે જણાવ્યું કે, અમે તો તેમને કહ્યું છે કે, તમે દિકરી અમારે ત્યાં આપી જાઓ. દિકરો હોય કે દિકરી હોય બધા સમાન છે. ત્રણ પત્ની હોવાની વાત તદ્દન ખોટી છે.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news