હાર્દિક પટેલ તેના નિવાસસ્થાને જ ઉપવાસ પર બેસશે, આંદોલન કેસમાં વિસનગર કોર્ટે જામીન મંજૂર કર્યા


અનામત આંદોલન કેસમાં હાર્દિક પટેલ અને લાલજી પટેલને વિસનગર કોર્ટે બે વર્ષની સજા ફટકારેલી છે

હાર્દિક પટેલ તેના નિવાસસ્થાને જ ઉપવાસ પર બેસશે, આંદોલન કેસમાં વિસનગર કોર્ટે જામીન મંજૂર કર્યા

મહેસાણાઃ હાર્દિક પટેલ વિરમગામ ખાતે આવેલા પોતાના ઘરે જ ઉપવાસ પર બેસશે એવી વિસનગરમાં જાહેરાત કરી હતી. અહીં અનામત આંદોલન કેસમાં હાર્દિક અને લાલજી પટેલ જામીન લેવા આવ્યા હતા. વિસનગર કોર્ટે તેમના જામીન મંજૂર કર્યા હતા. હાર્દિકે જણાવ્યું હતું કે, જો તેને જોલમાં જવું પડશે તો જેલમાં જશે અને જેલમાં ઉપવાસ શરૂ કરશે. 

મારા ઘરે જ ઉપવાસ પર બેસીશઃ હાર્દિક
વિસનગર કોર્ટમાં જામીન લેવા આવેલા હાર્દિકને જ્યારે ઉપવાસ અંગે પુછવામાં આવ્યું ત્યારે તેણે જણાવ્યું કે, "સરકારે મને પરવાનગી નથી આપી તે મારા માટે નહિ પણ સરકાર માટે શરમજનક વાત છે. હું આવતીકાલે મારા નિવાસસ્થાને ઉપવાસ ઉપર બેસવાનો છું. આ અંદોલનમાં કોઈ વ્યક્તિગત લડાઈ નથી. આ ખેડૂતો અને અન્યાય સહન કરનારા લોકો માટેની લડાઈ છે. હાર્દિકે કટાક્ષ કરતા કહ્યું હતું કે, ધીંગાણાનો ઢોલ વાગે ત્યારે જ મર્દાનગીની ખબર પડે તેમ છે. હું કોઈના દબાણમાં આવીને આ લડાઈને પડતી મુકવાનો નથી." 

વિસનગર કોર્ટની સજા પર હાઈકોર્ટે સ્ટે આપ્યો હતો
ઉલ્લેખનીય છે કે, મહેસાણાના અનામત આંદોલનની પ્રથમ ફરિયાદમાં હાર્દિક પટેલ, લાલજી પટેલ અને એ કે પટેલને વિસનગર કોર્ટ દ્વારા બે વર્ષની સજા ફટકારવામાં આવી હતી. એક મહિના પહેલાં હાઈકોર્ટે વિસનગર કોર્ટ દ્વારા ફટકારવામાં આવેલી બે વર્ષની સજા પર સ્ટે આપવામાં આવ્યો હતો. ત્યાર બાદ ત્રણેય નેતાઓએ કાયદેસરની પ્રક્રિયા પૂરી કરીને આજે વિસનગર કોર્ટમાં આવ્યા હતા. તેમણે સાંજે 3 વાગે વિસનગર કોર્ટેમાં સોલવંસી રજૂ કરી હતી. અહીં વિસનગર કોર્ટે તેમને રૂ.20,000ના મુચલકા પર જામીન આપ્યા હતા. 

હાર્દિક પટેલના ઉપવાસને લઈ મહેસાણામાં ચુસ્ત બંદોબસ્ત
હાર્દિક પટેલ 25 તારીખે વિરમગામમાં તેના ઘરે ઉપવાસ પર બેસવાનો છે ત્યારે પાટીદાર આંદોલનમાં સંવેદનશીલ રહેલા મહેસાણા જિલ્લામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. 900 પોલીસકર્મી તેમજ એસ.આર.પી.ની એક કંપનીને બંદોબસ્તની જવાબદારી સોંપાઈ છે. પાટીદારોના ગઢ એવા મહેસાણા, વિજાપુર, ઊંઝા, બહુચરાજી તેમજ વિસનગરમાં પોલીસને સ્ટેન્ડ ટુ રહેવા આદેશ અપાયા છે. 

અમદાવાદમાં પણ સુરક્ષાની પુરતી વ્યવસ્થા
એ ડીવીઝનના એસીપી એસ. એન. ઝાલા અને સોલા પોલીસ સ્ટેશનના પીઆઇ સહિતનો કાફલો મોડી સાંજે હાર્દીકના ઘરે પહોંચ્યો હતો. આ અગાઉ ગાંધીનગર કલેક્ટર દ્વારા હાર્દિકને ગાંધીનગરમાં ઉપવાસ પર બેસવાની મંજુરી ન આપી હતી. તેમણે સુરક્ષાના કારણો આગળ ધરીને મંજૂરી આપવા ઈનકાર કરી દીધો હતો. 

લાલજી પટેલે સમર્થન આપ્યું 
હાર્દિકના ઉપવાસ અંગે એસપીજી નેતા લાલજી પટેલે જણાવ્યું કે, હાર્દિકના મુદ્દે એસપીજી તેને સમર્થન કરે છે. તેના ઉપવાસમાં જોડાવા અંગે અનામત આંદોલન સાથે જોડાયેલા તમામ નેતાઓ સાથે ચર્ચા કર્યા બાદ આગળનો નિર્ણય લેવામાં આવશે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news