નીતિન પટેલનું મોટું નિવેદન, ગુજરાતમાં સ્વસ્થ યુવાઓને પસંદ કરી તેમના પર કોરોના વેક્સીનની ટ્રાયલ કરાશે

નીતિન પટેલનું મોટું નિવેદન, ગુજરાતમાં સ્વસ્થ યુવાઓને પસંદ કરી તેમના પર કોરોના વેક્સીનની ટ્રાયલ કરાશે
  • નાયબ મુખ્યમંત્રીએ કહ્યું, ગુજરાત પાસે 500 વેક્સીનના ડોઝ પાસે છે. સાથે ડોક્ટરની ટીમ પણ આવી છે. જે ગુજરાતના તબીબોને વેક્સીન આપવાની ટ્રેનિંગ આપશે. સ્વંયસેવકોનું લિસ્ટ પણ તૈયાર થયું છે

ગૌરવ પટેલ/અમદાવાદ :નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આજે અમદાવાદની કિડની હોસ્પિટલની મુલાકાત કરી હતી. અમદાવાદમાં ગઈકાલે આવેલી કોરોના વેક્સીન વિશે નીતિન પટેલે કહ્યું કે, ભારત સરકારના આરોગ્ય વિભાગના સહયોગથી સ્વદેશી વેક્સીન માટેની કાર્યવાહી ચાલી રહી છે. જુદા જુદા રાજ્યોની મોટી હોસ્પિટલમાં ટ્રાયલ માટે વેક્સીન મોકલાવામાં આવી છે. ગુજરાતમાં પણ સ્વસ્થ અને યુવા નાગરિકો પસંદ કરી તેમના પર ટ્રાયલ કરાશે. મહિનામાં બે ડોઝ આપી તેમને નિરીક્ષણ હેઠળ રખાશે. હાલ ગુજરાત પાસે 500 વેક્સીનના ડોઝ પાસે છે. સાથે ડોક્ટરની ટીમ પણ આવી છે. જે ગુજરાતના તબીબોને વેક્સીન આપવાની ટ્રેનિંગ આપશે. સ્વંયસેવકોનું લિસ્ટ પણ તૈયાર થયું છે. વેક્સીન લેનારાઓના ઘરે તેમની તબિયત અંગે કાળજી લેવામાં આવશે. એક વર્ષ સુધી વેક્સીનની ટ્રાયલ ચાલશે. અમદાવાદની સોલા સિવિલ ખાતે હાલ ટ્રેનીંગ ચાલી રહી છે. ટ્રાયલ માટે હેલ્થ વર્કરોને પણ જરૂર પડે તો સાંકળવામાં આવશે. વેક્સીનની ટ્રાયલ માટે સોલા સિવિલની પસંદગી થઇ એ આપણા માટે ગૌરવની વાત છે. ગુજરાત પણ કોરોનાની વેક્સીન શોધવાની ભૂમિકામાં સામેલ છે. કોરાના સિવાયના દર્દીઓ માટે પણ સરકાર ચિંતિત છે અને તમામની સારવાર ચાલી રહી છે. સરકારી હોસ્પિટલમાં ૮૦ હજાર દર્દીઓની ઓપીડી ચાલુ છે. 

અહમદ પટેલને શ્રદ્ધાંજલિ 
મીડિયા સંબોધનમાં તેઓએ કોંગ્રેસના નેતા અહમદ પટેલના નિધન પર શ્રદ્ધાંજલિ વ્યક્ત કરીને કહ્યું હતું કે, અહમદ પટેલ કોંગ્રેસના અગ્રણી નેતા હતા. તેઓ મૃદૂ ભાષી અને મળતાવડા સ્વભાવના હતા. દરેક સાથે હળી મળીને કામ કરવાની પ્રકૃતિવાળા હતા. અગાઉ પણ તેમની તબીયત નાદુરસ્ત થઇ હતી અને હૃદયની સર્જરી કરાવવી પડી હતી. ગુજરાત અને દેશે એક સમાજ સેવક અને અગ્રણી નેતા ગુમાવ્યા છે. સ્વ અહમદભાઇને શ્રધ્ધાંજલિ આપુ છું અને તેમના પરિવારને સાંત્વના પાઠવું છુ. 

કિડની હોસ્પિટલમાં જરૂર પડે તો કોરોના સારવાર શરૂ કરાશે 
મોદીજી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા, ત્યારે સિવિલના કેમ્પસમાં સિવિલ કિડની કેન્સર યુએન હાર્ટ હોસ્પિટલ વિકસીત થઇ હતી. જેની સારી સેવાઓને ધ્યાનમાં લઇ પાડોશી રાજ્યના દર્દીઓ ગુજરાતમાં સારવાર લેવા આવતા હતા. તેઓને સારી સેવા મળતી હોઇ હોસ્પિટલનું વિસ્તૃતકરણ કરવું જરૂરી હતું. જૂની મીલની જમીન સંપાદિત કરી નવી હોસ્પિટલનુ સંકુલ ઉભુ કરવા વ્યવસ્થા કરી. આ મીલના કમ્પાઉન્ડમાં આંખની હોસ્પિટલ અને કિડની હોસ્પિટલનો પાયો નાંખ્યો. આંખની હોસ્પિટલ કાર્યરત છે અને હવે કિડની હોસ્પિટલ પણ શરૂ થશે. દર વર્ષે 5૦૦ કરતાં વધારે કિડની ટ્રાન્સપ્લાન્ટના ઓપરેશન અહીં થાય છે. ત્યારે ૧૦ માળની નવી આધુનિક હોસ્પિટલ તૈયાર કરાવામાં આવી રહી છે. જેની સમીક્ષા કરવા આજે વિઝીટ કરી હતી. કિડની હોસ્પિટલનું કામ પુર્ણતાના આરે છે અને જાન્યુઆરીમાં લોકાર્પણ કરવાની તૈયારી છે. કોરાનાની મહામારીને સારી સારવારની જરૂર હોઇ કિડિની હોસ્પિટલની નવી બિલ્ડીગના ત્રણ ફ્લોર પર જરૂર પડે કોરોના સારાસાર આપવાનાં આવશે. ત્રીજા અને ચોથા માળે ૩૩૬ દર્દીને ઓક્સિજન આધારિત સારવારની તૈયારી થઇ ગઇ છે. નવી કિડની હોસ્પિટલમા આઇસીયુ બેડની પણ તૈયારી છે. 56 જેટલા આઇસીયુ બેડની તૈયારી છે. 3૦ તારીખની આસપાસ જરૂર પડે કોરોના દર્દીની સારવાર આ નવી હોસ્પિટલના ત્રણ માળમાં થશે. 1200 બેડમાં વધારાના 60 આઇસીયુ બેડ ઉમેર્યા છે. 

તેમણે કહ્યું કે, જે કેસ વધ્યા છે તે ઘટી શકે છે, પણ જો ન ઘટે તો સરકારનું આગોતરું આયોજન છે. આગામી અઠવાડિયામાં આ હોસ્પિટલમાં સુવિધા ઉભી કરી દેવાશે. રાજ્યના મોટા ભાગના કોવિડના દર્દીઓની સરકારે સારી સારવાર કરી છે. રાજ્યના કેસ બે લાખને પાર પહોંચ્યાછે. તમામની સારી સારવાર કરવામાં આવી છે. મોંઘી દવા અને સારવાર મફત અપાઇ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news