ગુજરાતમાં ચારેતરફ રૂપાલાનો વિરોધ : લોકોનો આક્રોશ વધતા પોલીસને અપાયો આદેશ

Parsottam Rupala Controversy : રૂપાલાના વિરોધને લઈને રાજપૂતોનો ગુસ્સો સાતમા આસમાને છે. ત્યારે બુધવારે અનેક જિલ્લાઓમાં રૂપાલાનો વિરોધ જોવા મળ્યો, ગુજરાતમાં ધીરે ધીરે વધુ ગામડાઓમાં રૂપાલા પ્રત્યે આક્રોશ વધી રહ્યો છે 

ગુજરાતમાં ચારેતરફ રૂપાલાનો વિરોધ : લોકોનો આક્રોશ વધતા પોલીસને અપાયો આદેશ

Loksabha Election : 2024 ની લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાં એકમાત્ર મુદ્દો છે રૂપાલા, રૂપાલા અને રૂપાલા. ત્રણ-ત્રણવાર માફી માંગવા છતાં ક્ષત્રિય સમાજ પરસોત્તમ રૂપાલાને માફી આપવા તૈયાર નથી. વટનો સવાલ હવે કોના માટે બન્યો છે તે તો રાજકારણમાં હંમેશા ચર્ચાનો મુદ્દો રહ્યો છે, પરંતુ રૂપાલાનો વિરોધ ચારેતરફ થઈ રહ્યો છે. ગઈકાલે ગુજરાતના ત્રણ જિલ્લાઓમાં રૂપાલાનો પ્રચંડ વિરોધ જોવા મળ્યો હતો. ગતરોજ ભાવનગર, તાપી અને સાબરકાંઠામાં રૂપાલાનો વિરોધ કરાયો હતો. 

ભાવનગરમાં વિરોધ પ્રદર્શન
રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગણી સાથે બુધવારે ભાવનગર શહેરના વેલેન્ટાઈનડે સર્કલ ખાતે ક્ષત્રિય સમાજના લોકો એકઠા થયા હતા. જેમાં ક્ષત્રિયો દ્વારા રૂપાલાના પૂતળાનું દહન કરાયું હતું. આ સાથે જ રૂપાલા અને ભાજપના નેતૃત્વ કરનારાઓને વિવેક બુદ્ધિ આપે તે માટે મહાઆરતી કરાઈ હતી. જોકે, પોલીસ સ્થળ પર પહોંચે તે પહેલા વિરોધ કરનારા યુવાઓ ત્યાંથી ફરાર થઈ ગયા હતા. 

વાલોડમાં નેતાઓને પ્રવેશ બંધી
તાપી જિલ્લાના વાલોડ તાલુકાના દોડીયા ફળિયા ખાતે રાજપૂતોનો રોષ જોવા મળ્યો. ગામના યુવાનો અને મહિલાઓએ ગામમાં ભાજપને પ્રવેશબંધીના બેનર રેલી કાઢી હતી. તેઓએ રૂપાલા વિરુદ્ધ અને ભાજપ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. ગામના લોકો રૂપાલાની વિરુદ્ધ રસ્તા પર ઉતરી આવ્યા હતા. સાથે જ ગામમાં ભાજપના પ્રવેશબંધીને બેનરો લગાવવામાં આવ્યા હતા. 

ઈડરમાં કાળા વાવટા ફરકાવી વિરોધ
ઈડરમાં બુધવારે સવારે ભાજપના કાર્યાલયનો શુભારંભ સમારોહ ચાલી રહ્યો હતો, ત્યારે મહાકાલ સેનાના રાજપૂત યુવકોએ ખુરશીઓ પર ચઢી જઈને રૂપાલા અને ભાજપ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. રાજપૂતોએ કાળા વાવટા ફરકાવી વિરોધ દર્શાવ્યો હતો. ક્ષત્રિય સમાજના લોકોનો વિરોધને કારણે ભાજપના કાર્યક્રમનો ફિયાસ્કો થયો હતો. જેના બાદ લોકસભાના ઉમેદવાર શોભના બારૈયા અને ધારાસભ્ય રમણ વોરા ત્યાંથી રવાના થઈ ગયા હતા. આ ઘટના બાદ પોલીસે વિરોધ કરનારાઓની અટકાયત કરી હતી. 

ગૃહવિભાગની પોલીસને ખાસ સૂચના
પરસોતમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ અંગે કરેલી ટીપ્પણીના પગલે હવે ક્ષત્રિય સમાજના યુવાનો દ્વારા ભાજપની જાહેરસભામાં કાળા વાવટા બતાવીને વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે ક્ષત્રિયોના આંદોલનને ડામવા માટે રાજ્યના ગૃહવિભાગે પોલીસના ચૂંટણીલક્ષી જાહેરનામામાં પ્રતિબંધિત કૃત્યોમાં કાળા વાવટા ફરકાવવા નહી તે વાતનો વિશેષ ઉલ્લેખ કરાયો છે. આ પ્રકારના જાહેરનામાં દ્વારા સત્તાવાર રીતે બહાર પાડીને ક્ષત્રિય આંદોલનના વિરોધને અટકાવવા માટે પોલીસને કામગીરી સોંપવામાં આવી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news