મોદીના ગુડબુકમાં રહેલા પૂર્ણેશ મોદી હશે કર્ણાટક ચૂંટણીનો મુખ્ય ચહેરો

Karnataka Assembly Election : કર્ણાટક ચૂંટણીમાં ગુજરાત ભાજપના નેતાઓ જશે...સરકાર સંગઠનના 6 મોટા નેતાઓ સતત કર્ણાટક પ્રવાસમાં રહેશે...125 આગેવાનો પણ જશે કર્ણાટક...15 એપ્રિલ બાદ ભાજપના નેતાઓ જશે કર્ણાટક...કર્ણાટક ચૂંટણી માટે ભાજપના સહ પ્રભારી છે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા... ત્યારે પૂર્ણેશ મોદીને કર્ણાટક ચૂંટણીમાં મુખ્ય ચહેરો બનાવવાની તૈયારીઓ ચાલી રહી છે 
 

મોદીના ગુડબુકમાં રહેલા પૂર્ણેશ મોદી હશે કર્ણાટક ચૂંટણીનો મુખ્ય ચહેરો

Karnataka Election : હાલ ભાજપનું ફોકસ કર્ણાટક વિધાનસભાની ચૂંટણી છે. જેમ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે પરચમ લહેરાવ્યો, તેમ કર્ણાટકમાં પણ ભાજપ ભુક્કા બોલાવવા માંગે છે. ગુજરાત ભાજપે ઐતિહાસિક જીત હાંસિલ કરી છે. તેથી હવે કર્ણાટકની ચૂંટણીમાં ભાજપે ગુજરાત મોડલ અપનાવ્યું છે. ગુજરાતની ચૂંટણીમાં વપરાયેલા વિવિધ સ્લોગનનો કર્ણાટકના શહેરોમાં લગાવાયા છે. એટલુ જ નહિ, ગુજરાતના નેતાઓ કર્ણાટકમાં જઈને ચૂંટણીનો પ્રચાર કરશે. ગુજરાતના ઢગલાબંધ નેતાઓ કર્ણાટક જઈને જોરશોરથી ભાજપની વાહવાહી કરશે. જોકે, આ તમામ બાબતોમાં આંખો ઉડીને વળગે તેવી બાબત એ છે કે દક્ષિણ ગુજરાતા દિગ્ગજ નેતા પૂર્ણેશ મોદી મુખ્ય ચહેરો રહેશે. કર્ણાટક ચૂંટણીમાં પૂર્ણેશ મોદી પર મુખ્ય ફોકસ રહેશે. પૂર્ણેશ મોદીએ જ રાહુલ ગાઁધી પર મોદી અટકને લઈને ફરિયાદ કરી હતી, અને રાહુલ ગાંધીને સજા થઈ હતી. 

પૂર્ણેશ મોદી સ્ટાર પ્રચારક
કર્ણાટક ચૂંટણીમાં પૂર્ણેશ મોદી સ્ટાર પ્રચારક બનીને ચર્ચામાં આવ્યા છે. રાહુલ ગાંધીના મોદી સરનેમ કેસની પણ ચર્ચા સપાટી પર રહેવાની સંભાવનાઓ વ્યક્ત કરાઇ હતી. જેના લીધે કર્ણાટકની ચૂંટણીમાં સુરતના ધારાસભ્ય પૂર્ણેશ મોદીને પણ પ્રચારક તરીકે સ્થાન મળ્યું હોવાનું જાણવા મળ્યું હતું.

મોદીના ખાસ છે પૂર્ણેશ મોદી
પૂર્ણેશ મોદી પીએમ મોદીના ખાસ અને તેમની ગુડબુકમાં હોવાનું કહેવાય છે. આંતરિક સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, પૂર્ણેશ મોદી અને સીઆર પાટીલ એક જ પક્ષમાં હોવા છતાં એકબીજાના વિરોધી છે. મંત્રીમંડળમાં પણ અગાઉ તેમનું પત્તુ કપાયુ હતું, પરંતુ બાદમાં દિલ્હીથી સીધો નિર્ણય લેવાયો હતો અને પૂર્ણેશ મોદીને કેબિનેટમાં સ્થાન અપાયું હતું. જોકે, હાલ રાહુલ ગાંધીને સજાને કારણે પૂર્ણેશ મોદી લાઈમલાઈટમાં છે, તેથી તેઓ કર્ણાટકની ચૂંટણીમાં ભાજપ માટે મુખ્ય ચહેરો બનીને ઉભરશે. 

કોણ કોણ કર્ણાટક જશે
કર્ણાટક ચૂંટણી પ્રચારમાં ગુજરાત ભાજપના નેતાઓ જશે. ગુજરાતથી ભાજપના નેતાઓની આખી ફૌજ કર્ણાટક જશે. સરકાર સંગઠનના 6 મોટા નેતાઓ સતત કર્ણાટક પ્રવાસમાં હાજર રહેશે. પ્રાપ્ત માહિતી અનુસાર, ગુજરાત ભાજપના 125 આગેવાનો પણ તેમની સાથે કર્ણાટક જવાના છે. 15 એપ્રિલ બાદ પ્રદેશ ભાજપના નેતાઓનો કર્ણાટક પ્રવાસ ગોઠવાયો છે. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા કર્ણાટક ચૂંટણી માટે સહપ્રભારી છે. ત્યારે તેમના માથા પર મોટી જવાબદારી છે. આ ઉપરાંત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, જીતુ વાઘાણી, ગણપત વસાવા, પ્રવીણ માળી, પ્રદીપસિંહ વાઘેલા, પૂર્ણેશ મોદી સહિતના નેતાઓ પણ કર્ણાટક જશે. 

કર્ણાટકની ગલીઓમાં ગુજરાતના નારા 
કર્ણાટકની ચૂંટણીમાં ભાજપે ગુજરાત મોડલ અપનાવ્યું છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી સમયે કેટલાક સ્લોગન બહુ જ ફેમસ થયા હતા, ત્યારે ભાજપે આ જ સ્લોગનના તર્જ પર કર્ણાટકની ચૂંટણી જીતવા માંગે છે. તેથી કર્ણાટકની ગલીઓમાં હાલ ગુજરાતના નારા ગુંજી રહ્યાં છે. ‘ભરોસાની ભાજપ સરકાર’ સ્લોગનનો કર્ણાટકમાં ઉપયોગ કરાયો છે. તો ડબલ એન્જિન સરકાર, સપના સાકાર સ્લોગનનો પણ કર્ણાટકની ચૂંટણીમાં ઉપયોગ કરાઈ રહ્યો છે. આ તમામ સ્લોગન ગુજરાત ચૂંટણી સમયે બનાવાયા હતા. ગુજરાત ભાજપના 100થી વધુ કાર્યકર્તાઓ કર્ણાટક જવાની તૈયારી કરી રહ્યાં છે. બુથ પ્રમાણે કાર્યકર્તાઓને કર્ણાટકમાં જવાબદારી સોંપવામાં આવશે. મહત્વનું છે કે ગુજરાતમાં પીએમ મોદીએ ખુલ્લી જીપમાં બેસીને જાહેર સભા સ્થળમાં લોકોનું અભિવાદન ઝીલ્યું હતું અને કર્ણાટકમાં પણ આ જ મોડલનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news