30 ઓક્ટોબરે વડા પ્રધાન મોદી ફરી માદરે વતનની મુલાકાત લેશે, જાણો સંપૂર્ણ કાર્યક્રમ

સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી નિમિત્તે સરદાર સરોવર ડેમ ખાતે તેઓ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા 'સ્ટેચ્યુ ઓફ યુનિટી'નું લોકાર્પણ કરવા ગુજરાત આવી રહ્યા છે 

30 ઓક્ટોબરે વડા પ્રધાન મોદી ફરી માદરે વતનની મુલાકાત લેશે, જાણો સંપૂર્ણ કાર્યક્રમ

ગાંધીનગરઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી 30 ઓક્ટોબરના રોજ ફરીથી માદરે વતનની મુલાકાતે આવી રહ્યા છે. આ વખતે તેઓ તેમના ડ્રીમ પ્રોજેક્ટ એવા 'સ્ટેચ્યુ ઓફ યુનિટી'નું લોકાર્પણ કરવા માટે ગુજરાત આવી રહ્યા છે. સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી નિમિત્તે સરદાર સરોવર ખાતે નિર્માણ પામેલી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા 'સ્ટેચ્યુ ઓફ યુનિટી'નું તેઓ લોકાર્પણ કરશે. 

વડા પ્રધાન નરેન્દ્ર મોદી 30 ઓક્ટોબરની સાંજે જ અમદાવાદ આવી પહોંચશે. તેઓ એનેક્સી અથવા તો સર્કિટ હાઉસમાં રાત્રિરોકાણ કરશે. અહીંથી સવારે 9 કલાકે તેઓ ચોપર મારફતે કેવડિયા કોલોની જશે. અહીં પહોંચ્યા બાદ વડા પ્રધાન મોદી 'વેલી ઓફ ફ્લાવર'ની મુલાકાત લેશે. 15થી 20 મિનિટના રોકાણ બાદ તેઓ ટેન્ટ સીટી જોવા પહોંચશે. ટેન્ટ સીટીમાં પણ વડા પ્રધાન 15થી 20 મિનિટ સુધી રોકાય એવી સંભાવના છે. 

ટેન્ટ સીટીની મુલાકાત બાદ વડા પ્રદાન મુખ્ય કાર્યક્રમમાં ભાગ લેવા માટે જશે. આ કાર્યક્રમ લગભગ 1 કલાક જેટલો ચાલશે. જેમાં તેઓ જનમેદનીને પણ સંબોધશે. 

ત્યાર બાદ વડા પ્રધાન 'સ્ટેચ્યુ ઓફ યુનિટી'ના મુખ્ય સ્થળે જવા માટે રવાના થશે. અહીં પહોંચવાના માર્ગમાં બંને બાજુએ દેશનાં અન્ય રાજ્યોની સાંસ્કૃતિક ઝાંખીનું પ્રદર્શન કરવામાં આવનારું છે. પીએમ મોદી સૌ પ્રથમ 'વોલ ઓફ યુનિટી'નું લોકાર્પણ કરશે અને ત્યાર બાદ સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીને વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા એવી 'સ્ટેચ્યુ ઓફ યુનિટી'નું લોકાર્પણ કરશે. 

સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણ બાદ પીએમ સરદાર પટેલની જીવન ઝાંખી રજુ કરતા પ્રદર્શનની મુલાકાત લેશે. અહીંથી તેઓ લીફ્ટમાં બેસીને સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં બનાવવામાં આવેલી ગેલેરીમાં જશે. આ ગેલેરીમાંથી સરદાર સરોવર ડેમનો સુંદર નજારો દેખાય છે.  
વડા પ્રધાન મોદીનો સંપૂર્ણ કાર્યક્રમ 2.00થી 2.30 કલાકનો રહેવાની સંભાવના છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણની સાથે જ ભારત વિશ્વમાં સૌથી ઊંચી પ્રતિમા ધરાવતો દેશ બની જશે. 

વડાપ્રધાન મોદીનો ગુજરાત મુલાકાતનો કાર્યક્રમ

  • 30 ઓક્ટોબરે સાંજે અમદાવાદ આવી પહોંચશે 
  • એનેક્સી અથવા સર્કિટ હાઉસમાં રાત્રિરોકાણ
  • સવારે 9 કલાકે ચોપર મારફતે કેવડિયા કોલોની રવાના
  • કેવડિયા પહોંચ્યા બાદ વેલી ઓફ ફ્લાવર પહોંચશે PM 
  • વેલી ઓફ ફ્લાવરની મુલાકાત બાદ ટેન્ટ સિટીની લેશે મુલાકાત
  • બન્ને સ્થળોએ 15 થી 20 મિનિટ સુધી કરશે નિરીક્ષણ
  • ટેન્ટ સિટીની મુલાકાત બાદ મુખ્ય કાર્યક્રમમાં  આપશે હાજરી
  • 1 કલાક સુધી ચાલશે મુખ્ય કાર્યક્રમ
  • મુખ્ય કાર્યક્રમ બાદ સરદાર પટેલની પ્રતિમા તરફ થશે રવાના
  • રસ્તાની બન્ને બાજુએ જુદી જુદી ઝાંખીઓ કરશે રજૂ
  • અન્ય રાજ્યોની સંસ્કૃતિ અંગે દર્શાવાશે ઝાંખી
  • સૌ પ્રથમ વોલ યુનિટીનું PM મોદીના હસ્તે થશે લોકાર્પણ
  • લોકાર્પણ બાદ સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરશે
  • પુષ્પાંજલિ અર્પણ કર્યા બાદ એક્ઝીબિશનની લેશે મુલાકાત
  • એક્ઝિબિશન બાદ લિફ્ટ મારફથે વ્યૂઇંગ ગેલેરી પહોંચશે
  • PM મોદીનો સંપૂર્ણ કાર્યક્રમ આશરે ત્રણ કલાકનો રહેશે

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news