આસામ સરકારે ખેડૂતોની 600 કરોડની લોન કરી માફ, 8 લાખ ખેડૂતોને થશે ફાયદો

આસામની ભાજપ સરકારનો ખેડૂતોની દેવામાફીનો નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં કોંગ્રેસની નવી સરકાર બનવાની સાથે જ ખેડૂતોના દેવામાફીની જાહેરાત કરાઈ હતી 
 

આસામ સરકારે ખેડૂતોની 600 કરોડની લોન કરી માફ, 8 લાખ ખેડૂતોને થશે ફાયદો

ગુવાહાટીઃ પાંચ રાજ્યોમાં ચૂંટણી પરિણામ બાદ હવે દેશમાં ખેડૂતોના દેવામાફીની સ્પર્ધા ચાલી છે. મધ્યપ્રદેશ અને છત્તીસગઢ બાદ હવે આસામની ભાજપ સરકારે પણ ખેડૂતોને રાહત આપી છે. આસામ સરકારે રૂ.600 કરોડનું કૃષિ ધિરાણ માફ કરવાને મંજૂરી આપી છે. તેનાથી રાજ્યના 8 લાખ ખેડૂતોને ફાયદો થશે. 

આસામ સરકારના પ્રવક્તા અને સંસદીય બાબતોના મંત્રી ચંદ્રમોહન પટવારીએ જણાવ્યું કે, આ યોજના અંતર્ગત સરકાર ખેડૂતોના 25 ટકા જેટલા ધિરાણને ડૂબના ખાતામાં નાખશે. તેની મહત્ત્મ મર્યાદા રૂ.25,000 હશે. આ માફીમાં તમામ પ્રકારના કૃષિ ધિરાણનો સમાવેશ થાય છે. આ કૃષિ ધિરાણ એ તમામ ધિરાણ પર લાગુ થશે જે ખેડૂતોએ ક્રેડિટ કાર્ડ દ્વારા તથા સરકારી બેન્કોમાંથી લીધું છે. 

સરકારે વ્યાજ રાહત યોજનાને પણ મંજુરી આપી છે. જેના અંતર્ગત લગભઘ 19 લાખ ખેડૂતો આવતા નાણાકિય વર્ષથી શૂન્ય વ્યાજ દર પર લઈ શકશે. મંગળવારે મંત્રીમંડળની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. 

આ યોજનાઓથી ચાલુ નાણાકિય વર્ષમાં સરકારી ખજાના પર રૂ.600 કરોડનો બોજો પડશે. આગામી નાણાકિય વર્ષથી બજેટમાં તેની જોગવાઈ કરવામાં આવશે. મંત્રીમંડળે ખેડૂતોને ક્રેડિટ કાર્ડ દ્વારા ધિરાણ લેવા માટે પ્રોત્સાહિત કરવા રૂ.10,000 સુધીની સબસિડી આપવાની યોજનાને પણ મંજૂરી આપી છે. 

આ ઉપરાંત મંત્રીમંડળે રાજ્યમાં સ્વતંત્રતા સેનાનીઓનું પેન્શન રૂ.20,000થી વધારીને રૂ.21,000 કરવાને પણ મંજુરી આપવામાં આવી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news