રશિયામાં તાલિબાન સાથે બેઠક મુદ્દે દેશમાં મચ્યો હોબાળો, સરકારને કરવી પડી સ્પષ્ટતા

ભારતે અફઘાનિસ્તાનમાં શાંતિ માટે શુક્રવારે રશિયામાં આયોજિત એક બેઠકમાં ભાગ લેવા માટે પોતાના બે પૂર્વ અધિકારીઓને મોકલ્યા હતા. આ બેઠકમાં અનેક દેશોનાં પ્રતિનિધિ અને તાલિબાનના પ્રતિનિધિ હાજર રહ્યા હતા, જેના કારણે દેશમાં સરકાર સામે સવાલ ઊભા થઈ રહ્યા છે 

રશિયામાં તાલિબાન સાથે બેઠક મુદ્દે દેશમાં મચ્યો હોબાળો, સરકારને કરવી પડી સ્પષ્ટતા

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે શુક્રવારે સ્પષ્ટતા કરી છે કે મોસ્કોમાં ભારતે 'બિન આધિકારિક' તરીકે અફઘાનિસ્તાન અંગે આયોજિત બહુપક્ષીય સંમેલનમાં ભાગ લીધો હતો, જે તેની અફઘાનિસ્તાન નીતિને અનુરૂપ છે. સાથે જ સ્પષ્ટતા પણ કરી કે તે તાલિબાન સાથે વાટાઘાટો નથી કરી રહ્યું. 

ઉલ્લેખનીય છે કે, રશિયાના મોસ્કોમાં અફઘાનિસ્તામાં શાંતિની સ્થાપના માટે શુક્રવારે આયોજિત એક બેઠકમાં ભાગ લેવા માટે ભારતના બે પૂર્વ રાજદૂતને મોકલ્યા હતા. આ બેઠકમાં અનેક દેશોની સાથે તાલિબાન નેતાઓએ પણ ભાગ લીધો હતો. 

'અમે ક્યાં કહ્યું કે તાલિબાન સાથે વાટાઘાટો થશે'
ભારતે આ બેઠકમાં 'બિન આધિકારિક' રીતે શા માટે પોતાના બે પ્રતિનિધિને મોકલ્યા, જ્યારે તેમાં તાલિબાનના પ્રતિનિધિ પણ ભાગ લઈ રહ્યા હતા. એ સવાલના જવાબમાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે જણાવ્યું કે, ભારત એવી કોઈ પણ શાંતિ પ્રક્રિયાની વાટાઘાટોનો ભાગ લેશે જે અફઘાન માટેની હોય, અફઘાન સ્વામિત્વવાળી હોય અને અફઘાનિસ્તાન દ્વારા નિયંત્રિત હોય.

તેમણે વધુમાં જણાવ્યું કે, જે ભારત દેશની આફઘાનિસ્તાન નીતિને અનુરૂપ હશે એવી કોઈ પણ પ્રક્રિયામાં ભાગ લેશે. સરકારે નિર્ણય લીધો હતો કે આપણી ભાગીદારી બિન આધિકારિક સ્તરની રહેશે. બેઠકમાં તાલિબાનના ભાગ લેવા અંગેના સવાલના જવાબમાં તેમણે જણાવ્યું કે, 'અમે ક્યાં કહ્યું છે કે તાલિબાન સાથે વાટાઘાટો કરવામાં આવશે. અમે આવું ક્યારેય કહ્યું નથી.'

અનેક દેશોના પ્રતિનિધિઓએ ભાગ લીધો
રશિયા દ્વારા આયોજિત આ સંમેલનમાં અફઘાનિસ્તાનના પ્રતિનિધિઓ ઉપરાંત અમેરિકા, પાકિસ્તાન, ચીન સહિત અનેક દેશનાં પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. પ્રારંભમાં આ બેઠક 4 સપ્ટેમ્બરના રોજ પ્રસ્તાવિત હતી, પરંતુ અફઘાનિસ્તાન સરકાર તેમાંથી નિકળી જવાને કારણે રદ્દ કરવામાં આવી હતી. ભારતે એ સમયે પણ બેઠકમાં ભાગ લેવાનો ઈનકાર કરી દીધો હતો. 

(બેઠકમાં અનેક દેશોનાં પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. ફોટો- Reuters)

આધિકારિક સૂત્રોએ જણાવ્યું કે, ભારતે અમર સિન્હા અને ટી.સી.એ. રાઘવનને શુક્રવારે બેઠકમાં બિન આધિકારિક સભ્ય તરીકે મોકલ્યા હતા. સિન્હા અફઘાનિસ્તાનમાં ભારતના રાજદૂત રહી ચૂક્યા છે, જ્યારે રાગવન પાકિસ્તાનમાં ભારતના પૂર્વ હાઈ કમિશનર છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news