જમ્મુ-કાશ્મીરનો વિકાસ પ્રાથમિક એજન્ડા, મોદી કેબિનેટ આવતીકાલે કરી શકે છે મોટી જાહેરાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં બુધવારે કેબિનેટની બેઠક યોજાવાની છે, મંગળવારે જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન વિધેયક, 2019 પર ચર્ચા માટે ગૃહમંત્રાલયની આંતરિક બેઠક યોજાઈ હતી 
 

જમ્મુ-કાશ્મીરનો વિકાસ પ્રાથમિક એજન્ડા, મોદી કેબિનેટ આવતીકાલે કરી શકે છે મોટી જાહેરાત

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં બુધવારે કેબિનેટની બેઠક યોજાવાની છે. આંતરિક વર્તુળો પાસેથી મળેલી માહિતી મુજબ આ બેઠકમાં જમ્મુ-કાશ્મીર અંગે મોદી સરકાર વિકાસના કોઈ મોટા પેકેજની જાહેરાત કરી શકે છે. સાથે જ જમ્મુ-કાશ્મીરમાં સામાન્ય સ્થિતિ ઊભી કરવા અંગે પણ કેબિનેટમાં ચર્ચા થઈ શકે છે. 

સરકાર કાશ્મીરના યુવાનો માટે નજીકના ભવિષ્યમાં નોકરીની વિશાળ તકોની જાહેરાત કરી શકે છે. આ સાથે જ એવું પણ જાણવા મળ્યું છે કે, સરકાર સેના અને અર્ધસૈનિક દળોને કાશ્મીરી યુવાનોની ભરતી કરવાનું પણ જણાવી શકે છે. 

આ સંદર્ભમાં લઘુમતિ બાબતોના મંત્રાલયનું એક પ્રતિનિધિમંડળ કાશ્મીરની બે દિવસની મુલાકાતે પહોંચ્યું છે અને તેઓ કયા વિસ્તારોમાં વિકાસકાર્યો હાથ ધરી શકાય છે તેના અંગે કેન્દ્ર સરકારને એક રિપોર્ટ સુપરત કરશે. મંત્રાલયના સચિવ સહિતના કેન્દ્રીય અધિકારીઓ આ પ્રતિનિધિમંડળમાં સામેલ છે. 

આ અગાઉ મંગળવારે જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન વિધેયક, 2019 પર ચર્ચા કરવા માટે ગૃહમંત્રાલયની આંતરિક બેઠક યોજાઈ હતી. આ વિધેયક રાજ્યને બે કેન્દ્રશાસિત પ્રદેશમાં વહેંચે છે. આ બેઠકની અધ્યક્ષતા નવા નિમાયેલા કેન્દ્રીય ગૃહ સચિવ અજય કુમારે કરી હતી. ગૃહ સચિવ જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી કલમ 370 નાબુદ થયા પછી રાજ્યની પરિસ્થિતિ જાણવા મુલાકાત લઈ શકે છે. 

સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ આ બેઠકમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે જમ્મુ-કાશ્મીરની સ્થિતિ અંગે માહિતી આપી હતી. ડોભાલે કાશ્મીર ઘાટીની મુલાકાત લીધા પછી ગૃહમંત્રાલયને ફીડબેક આપ્યો હતો. 

જુઓ LIVE TV....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news