મરાઠા ક્રાંતિ મોરચાએ 'મહારાષ્ટ્ર બંધ' પાછુ ખેંચ્યુ, લોકો પાસે માફી માંગી

મહારાષ્ટ્રમાં મરાઠા સમુદાય માટે અનામતની માગણીને લઈને ચાલી રહેલું રાજ્યવ્યાપી આંદોલન આજે હિંસક બની ગયું.

મરાઠા ક્રાંતિ મોરચાએ 'મહારાષ્ટ્ર બંધ' પાછુ ખેંચ્યુ, લોકો પાસે માફી માંગી

મુંબઈ: મહારાષ્ટ્રમાં મરાઠા સમુદાય માટે અનામતની માગણીને લઈને ચાલી રહેલું રાજ્યવ્યાપી આંદોલન આજે હિંસક બની ગયું. પ્રદર્શનકારીઓના પથ્થરમારામાં એક કોન્સ્ટેબલનું મોત નિપજ્યું જ્યારે 9 લોકો ઘાયલ થયાં. મરાઠા ક્રાંતિ મોરચાએ આજે મુંબઈ બંધનું એલાન આપ્યું હતું. આ દરમિયાન મુંબઈમાં સવારે અનેક જગ્યાઓ પર બેસ્ટની બસો પર પથ્થરમારો કરવામાં આવ્યો. હિંસક પ્રદર્શન બાદ મરાઠા ક્રાંતિ મોરચાએ મહારાષ્ટ્ર બંધ પાછું ખેચ્યું છે. અત્રે જણાવવાનું કે મહારાષ્ટ્રમાં મરાઠા અનામત મામલે થઈ રહેલી વાર અને સોમવારે પ્રદર્શન દરમિયાન એક વ્યક્તિએ નદીમાં કૂદીને કરેલી આત્મહત્યાના વિરોધમાં મહારાષ્ટ્ર બંધનું એલાન અપાયું હતું જેની અસર પણ જોવા મળી. મુંબઈમાં પણ ખાસ્સી અસર જોવા મળી અને બંધ હિંસક બન્યું. મરાઠા ક્રાંતિ મોરચાએ આજે  નવી મુંબઈ, થાણે, રાયગઢ અને પાલઘર વિસ્તારમાં બંધનું એલાન અપાયું હતું. સંગઠન તરફથી અધિકૃત રીતે કહેવાયું છે કે 7 જિલ્લાઓમાં અપાયેલા બંધને પાછું લેવામાં આવી રહ્યું છે. આ સાથે જ સંગઠને બંધના કારણે લોકોને પડેલી અગવડતા બદલ માફી માગી છે.

બંધ દરમિયાન નવી મુંબઈના ઘનસૌલી વિસ્તારમાં બેસ્ટની બસો પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. લાતૂરમાં બે સમૂહો વચ્ચે ઝડપ થવાથી વિસ્તારમાં તણાવનું વાતાવરણ બન્યું હતું.  આ બાજુ થાણેમાં પણ પ્રદર્શનકારીઓએ જબરદસ્તીથી દુકાનો બંધ કરાવી દીધી હતી. વાશીથી ઐરોલી વિસ્તારમાં બેસ્ટની બસ સર્વિસ સંપૂર્ણ રીતે ઠપ્પ કરવામાં આવી હતી. બંધના કારણે મહારાષ્ટ્રની લગભગ 70 ટકા શાળાઓ અને કોલેજો બંધ કરાવવામાં આવી. જોગેશ્વરીમાં ટ્રેનોને પણ રોકવાની કોશિશ કરવામાં આવી હતી.

— ANI (@ANI) July 25, 2018

મહારાષ્ટ્ર બંધની સૌથી વધુ અસર ઔરંગાબાદ અને આસપાસના જિલ્લાઓમાં જોવા મળી. જ્યાં ગઈ કાલે અનામત મામલે કાઢવામાં આવેલી એક માર્ચ દરમિયાન એક પ્રદર્શનકારીનું મોત થયું હતું. ઝેર ખાનારા બીજા પ્રદર્શનકારીનું પણ હોસ્પિટલમાં મોત નિપજ્યું. આ વ્યક્તિનું નામ જગન્નાથ સોણાન જણાવવામાં આવી રહ્યું છે. 

બંધ દરમિયાન હિંસક બનાવો....

મરાઠા આંદોલનના બીજા દિવસે થાણેમાં પ્રદર્શનકારીઓએ બસોમાં તોડફોડ કરી. મુંબઈ, થાણે, પાલઘર અને રાયગઢમાં આંદોલનની ખાસ્સી અસર જોવા મળી.
થાણેના માઝીવાડામાં ટાયર બાળ્યાં. ગોખલે રોડ પર જબરદસ્તીથી મરાઠા ક્રાંતિ મોરચાના કાર્યકર્તાઓએ દુકાનો બંધ કરાવી.
મુંબઈના કાંજૂરમાર્ગ અને ભાંડૂપ વિસ્તારોમાં બેસ્ટની બે બસો પર પ્રદર્શનકારીઓએ હુમલા કર્યાં. પ્રભાવિત વિસ્તારોમાં બેસ્ટ દ્વારા બસો બંધ કરાઈ. સ્થિતિ સુધરતા બસસેવા બહાલ કરાશે.

— ANI (@ANI) July 25, 2018

તીન હાથનાકા જંકશન સહિત અનેક રસ્તાઓ રોકાયા બાદ મુંબઈ જનારા રસ્તાઓ પર ભીષણ ચક્કાજામ.
લાતુર જિલ્લામાં જબરદસ્તીથી બંધના પાલનમાં બે જૂથો વચ્ચે ઝડપ. 
મુંબઈ અને થાણેમાં લોકલ સેવાને બાધિત કરવાના પ્રયત્નો., પુણેમાં જો કે અસર નથી.
હિંસક થઈ રહેલા આંદોલન વચ્ચે પુણે-ગોવાના હાઈવેને જોડનારી સાયન-પનવેલ રોડથી આંદોલનકારીઓને હટાવવા માટે પોલીસે કર્યો લાઠીચાર્જ. પથ્થરમારા બાદ પોલીસે હવામાં ફાયરિંગ કર્યું. 
મરાઠા આંદોલનના કારણે અનેક લાંબા અંતરની ટ્રેનો પ્રભાવિત

— ANI Digital (@ani_digital) July 25, 2018

માનખુર્દમાં પ્રદર્શનકારીઓએ એક બસ પર પથ્થરમારા બાદ તેને આગને હવાલે કરી.
કલ્યાણમાં બેસ્ટની બસ સહિત 9 બસોની તોડફોડ કરી. કલંબોલીમાં પોલીસની 3 ગાડીઓમાં આગચંપી.
થાણેમાં મરાઠા ક્રાંતિ મોરચાના કાર્યકર્તાઓએ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસનું એક પોસ્ટર ફાડ્યું. 
સવારથી ચાલતા આ આંદોલન વચ્ચે અચાનક જાણવા મળ્યું કે મરાઠા ક્રાંતિ મોરચાએ મુંબઈ બંધ પાછો ખેચ્યો છે. 
મોરચા તરફથી દાવો કરવામાં આવ્યો છે કે તેઓ એ સંદેશો આપવામાં સફળ રહ્યાં છે કે મુંબઈને તેમના લોકો બંધ કરી શકે છે અને આ માટે તેમને કોઈ રાજકીય સમર્થનની જરૂર નથી. 

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news