Modi Cabinet Expansion: મોદી સરકારના મંત્રીમંડળનું આજે વિસ્તરણ, જાણો કયા આધાર પર સામેલ થશે નવા ચહેરા

સતત બીજીવાર સત્તામાં આવેલી મોદી સરકારમાં કેબિનેટનો આ પહેલો ફેરબદલ અને વિસ્તરણ હશે. નવા મંત્રીઓનો શપથ ગ્રહણ સમારોહ કોરોના પ્રોટોકોલને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રપતિ ભવનના અશોક હોલમાં આયોજિત કરાશે. 

Modi Cabinet Expansion: મોદી સરકારના મંત્રીમંડળનું આજે વિસ્તરણ, જાણો કયા આધાર પર સામેલ થશે નવા ચહેરા

નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ના નેતૃત્વવાળા કેન્દ્રીય મંત્રીમંડળનું આજે સાંજે 6 વાગે વિસ્તરણ થવાનું નક્કી છે. સતત બીજીવાર સત્તામાં આવેલી મોદી સરકારમાં કેબિનેટનો આ પહેલો ફેરબદલ અને વિસ્તરણ હશે. નવા મંત્રીઓનો શપથ ગ્રહણ સમારોહ કોરોના પ્રોટોકોલને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રપતિ ભવનના અશોક હોલમાં આયોજિત કરાશે. 

કેબિનેટ વિસ્તરણ પહેલા પીએમ મોદી આજે સવારે 11 વાગે મંત્રીઓ સાથે બેઠક યોજશે. જેમાં નવા મંત્રીઓના નામ અને તેમના વિભાગો પર મહોર લાગી શકે છે. 

જાતિ અને રાજ્યોનું પ્રતિનિધિત્વ
મળતી માહિતી મુજબ કેબિનેટ વિસ્તરણમાં રાજ્યો અને જાતિ આધારિત કોટાને પણ ધ્યાનમાં રાખવામાં આવ્યો છે. નવી કેબિનેટમાં અન્ય પછાત વર્ગ (OBC) નું સૌથી વધુ પ્રતિનિધિત્વ હશે અને નવી કેબિનેટમાં 25થી વધુ OBC મંત્રીઓ હશે. આ ઉપરાંત SC અને ST કોટાના 10-10 મંત્રીઓને કેબિનેટ વિસ્તરણમાં જગ્યા અપાશે. 

રાજ્યોના પ્રતિનિધિત્વને પણ વિસ્તરણમાં ખાસ ધ્યાનમાં રાખવામાં આવશે અને લગભગ દરેક રાજ્યના પ્રતિનિધિ કેબિનેટમાં સામેલ થશે. મધ્ય પ્રદેશ, અસમ, મહારાષ્ટ્ર, બિહાર, યુપી, ઓડિશા, કર્ણાટક, હરિયાણા, અને દિલ્હીના નેતાઓની મોદી કેબિનેટમાં એન્ટ્રી લગભગ નક્કી માનવામાં આવી રહી છે. 

બનશે સૌથી યુવા કેબિનેટ!
આ સાથે જ નવી બનનારી કેબિનેટ દેશની સૌથી યુવા કેબિનેટ બનશે કારણ કે વિસ્તરણમાં યુવાઓને વધુ મહત્વ અપાયું છે જેમની ઉંમર સરરાશ ઉમર કરતા ઓછી છે. એ જ રીતે ભણેલા ગણેલા લોકોને કેબિનેટમાં સામેલ કરવામાં આવશે અને વધુમાં વધુ મહિલાઓની ભાગીદારી પણ સુનિશ્ચિત કરાઈ છે. 

સૌથી મહત્વની વાત એ છે કે રાજ્યોમાં મંત્રી અને મુખ્યમંત્રી રહી ચૂકેલા નેતાઓને કેબિનેટમાં જગ્યા અપાશે જેથી કરીને તેમના અનુભવનો ફાયદો ઉઠાવી શકાય. રાજ્યોના અનુભવનો ઉપયોગ કેન્દ્ર સરકારના કામકાજને સરળ બનાવવા માટે કરાશે. 

આ નેતાઓના નામ આગળ
આજે જે નેતાઓને કેબિનેટમાં જગ્યા મળી શકે તેમ છે તેમાં કોંગ્રેસ છોડીને ભાજપમાં આવેલા જ્યોતિરાદિત્ય સિંધિયા અને સર્બાનંદ સોનોવાલના નામ સૌથી ઉપર છે. આ ઉપરાંત બિહારના ડેપ્યુટી સીએમ રહી ચૂકેલા ભાજપના નેતા સુશીલ મોદી, એલજેપીના કોટામાંથી પશુપતિ પારસ, જેડીયુના આરસીપી સિંહ કે લલન સિંહ, અપના દળના અનુપ્રિયા પટેલ, રીતા બહુગુણા જોશી, અજય ભટ્ટ, મહારાષ્ટ્રથી નારાયણ રાણે, હિના ગાવિત, યુપીથી વરુણ ગાંધી જેવા નેતાઓના નામ સામેલ છે. 

આ ઉપરાંત કર્ણાટકથી પ્રતાપ સિંહા, હરિયાણાથી બિજેન્દ્ર સિંહ, પરવેશ વર્મા, ઝફર ઈસ્લામ, ઓડિશાથી અશ્વિની વૈષ્ણવને મંત્રી પરિષદમાં સામેલ કરવામાં આવી શકે છે. અત્રે જણાવવાનું કે હાલ કેબિનેટમાં કુલ 52 જેટલા મંત્રીઓ છે. નિયમો મુજબ મંત્રીઓની વધુમાં વધુ સંખ્યા 81 હોઈ શકે છે. 

કેબિનેટ વિસ્તાર અને ફેરબદલની અટકળોને મંગળવારે ત્યારે વધુ બળ મળ્યું જ્યારે કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી થાવરચંદ ગેહલોતને કર્ણાટકના રાજ્યપાલ નિયુક્ત કરાયા અને જે નેતાઓને મંત્રી બનાવવાની ચર્ચા છેલ્લા કેટલાક સમયથી ચાલી રહી છે તેમને ફોન કરીને દિલ્હી બોલાવવામાં આવ્યા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news