PM મોદીએ 'મહિલા'વાળી ટિપ્પણી બદલ રાહુલ પર સાધ્યું નિશાન, મહિલા આયોગે પાઠવી નોટિસ

રાષ્ટ્રીય મહિલા આયોગે રક્ષા મંત્રી નિર્મલા સીતારમન બાબતે કથિત રીતે 'અપમાનજનક' ટિપ્પણી કરવા મામલે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને નોટિસ ફટકારીને સ્પષ્ટીકરણ માંગ્યુ છે. 

PM મોદીએ 'મહિલા'વાળી ટિપ્પણી બદલ રાહુલ પર સાધ્યું નિશાન, મહિલા આયોગે પાઠવી નોટિસ

નવી દિલ્હી: રાષ્ટ્રીય મહિલા આયોગે રક્ષા મંત્રી નિર્મલા સીતારમન બાબતે કથિત રીતે 'અપમાનજનક' ટિપ્પણી કરવા મામલે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને નોટિસ ફટકારીને સ્પષ્ટીકરણ માંગ્યુ છે. રાહુલ ગાંધીને આજે જારી કરેલી નોટિસમાં આયોગે મીડિયામાં આવેલા અહેવાલોનો હવાલો આપતા કહ્યું કે આ નિવેદન નારી વિરોધી, આક્રમક, અનૈતિક અને 'અપમાનજનક' છે. આયોગે ગાંધીની કથિત ટિપ્પણીની ટીકા કરતા કહ્યું કે તેઓ પોતાના 'બેજવાબદારીવાળા' નિવેદનને લઈને સંતોષજનક સ્પષ્ટીકરણ આપે. 

વાત જાણે એમ હતી કે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ બુધવારે એક રેલીમાં રાફેલ મામલાનો હવાલો આપતા કહ્યું હતું કે "56 ઈંચની છાતી ધરાવનાર ચોકીદાર ભાગી ગઓ અને એક મહિલા સીતારમનજીને કહ્યું કે મારો બચાવ કરો. હું મારો બચાવ કરી શકું તેમ નથી. મારો બચાવ કરો." 

આ બધી મહિલાઓનું અપમાન
રાહુલ ગાંધીના આ નિવેદનના જવાબમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે તેમના પર  આકરા પ્રહારો કર્યા હતાં પીએમ મોદીએ આ નિવેદનને દેશની તમામ મહિલાઓનું અપમાન ગણાવ્યું. સીતારમનના સંદર્ભમાં પીએમ મોદીએ કહ્યું કે આ માત્ર એક મહિલાનું નહીં પરંતુ સમગ્ર ભારતની મહિલા શક્તિનું અપમાન છે. જેના માટે આવા બેજવાબદાર નેતાઓએ કિંમત ચૂકવવી પડશે. વડાપ્રધાને કહ્યું કે ગર્વની વાત છે કે એક મહિલા દેશમાં પહેલીવાર રક્ષામંત્રી બન્યાં. 

આ અગાઉ મહારાષ્ટ્રમાં સોલાપુર અને ઉત્તર પ્રદેશના આગરામાં રેલીઓમાં કોંગ્રેસની સાથે સાથે સપા અને બસપા વિરુદ્ધ પણ આક્રમક વલણ અપનાવતા મોદીએ પોતાને ચોકીદાર ગણાવ્યાં અને કહ્યું કે એવો ચોકીદાર જે ભ્રષ્ટાચાર વિરુદ્ધ લડાઈમાં અંધેરામાં પણ ખોટું કરનારાને પકડી શકે છે. 

પીએમ મોદીએ કહ્યું કે ભ્રષ્ટાચારને મીટાવવાના તેમના 'સફાઈ' અભિયાનથી વિપક્ષ ચોકીદારથી એટલો ડરી ગયો છે કે કટ્ટર હરિફ સપા અને બસપા તેમને સત્તામાંથી બહાર કરવા માટે એક સાથે આવી ગયા છે. મોદીએ પોતાના માટે ચોકીદાર શબ્દપ્રયોગ કર્યો. રાહુલ ગાંધી વડાપ્રધાન પર આકરા પ્રહારો કરવા માટે છાશવારે આ શબ્દનો ઉપયોગ કરે છે. 

પીએમ મોદીએ કહ્યું હતું કે કોંગ્રેસે જણાવવાનું રહેશે કે રાફેલને લઈને તેમના આરોપોનો આધાર શું છે. વડાપ્રધાને દાવો કર્યો હતો કે ઓગસ્ટા વેસ્ટલેન્ડ વીવીઆઈપી હેલિકોપ્ટર કૌભાંડના મામલે ધરપકડ કરાયેલા કથિત વચેટિયા ક્રિશ્ચિયન મિશેલ રાફેલની કટ્ટર હરિફ કંપની માટે કામ કરી રહ્યો હતો. પીએમ મોદીએ મીડિયામાં ચાલી રહેલા અહેવાલોનો ઉલ્લેખ કરતા કહ્યું કે મિશેલ 'કોઈ અન્ય પ્રતિસ્પર્ધી'ની વકાલત કરી રહ્યો હતો. 

તેમણે કહ્યું કે પૂર્વની યુપીએ સરકાર સમયે વચેટિયા સંસ્કૃતિ સિસ્ટમનો ભાગ હતી. તેમણે ગરીબોનો હક છીનવ્યો અને દેશની સુરક્ષા સાથે રમત રમી. તેમણે કહ્યું કે તેણે (મિશેલ) ચોંકાવનારા  ખુલાસા કર્યાં. મીડિયામાં આવેલા અહેવાલો મુજબ તે માત્ર હેલિકોપ્ટર ડીલમાં સામેલ હતો એવું નથી પરંતુ ગત સરકાર દરમિયાન તે વિમાનોની ખરીદીની ડીલમાં પણ સંડોવાયેલો હતો. 

તેમણે કહ્યું કે મીડિયાનું કહેવું છે કે તે કોઈ અન્ય કંપની માટે કામ કરી રહ્યો હતો. કોંગ્રેસે જણાવવું જોઈએ કે રાફેલ ડીલને લઈને અવાજ ઉઠાવી રહેલા તેમના કયા નેતાના સંબંધ મિશેલ સાથે છે. તેમણે ખર્ચની એક એક પાઈનો હિસાબ આપવો જોઈએ. 

તેમણે કહ્યું કે હવે મિશેલ મામાની કથા તો બરાબર યાદ આવી ગઈ ને... હવે તો રાજદાર હિન્દુસ્તાનના કબ્જામાં આવી ગયો છે. આથી તેમને પરસેવો છૂટી ગયો છે કે જો તે બધુ બોલી જશે તો શું થશે. આથી રાજદારને જેવો પકડી લાવ્યાં કે કોંગ્રેસે પોતાનો એક વકીલ તેની રક્ષા માટે મોકલી દીધો. 

ચોકીદારને ન ખરીદી શકાય છે ન ડરાવી શકાય છે
પીએમ મોદીએ પોતાને ચોકીદાર ગણાવતા કહ્યું કે તેમણે ભ્રષ્ટાચાર ખતમ કરવા માટે સફાઈ અભિયાન શરૂ કર્યું છે. ચોકીદારને ન તો ખરીદી શકાય છે કે ન તો ડરાવી શકાય છે. તેઓ અટક્યા વગર કામ કરશે. વડાપ્રધાને કહ્યું કે ચોકીદાર ખોટું કામ કરનારાઓને અંધેરામાં પણ પકડી શકે છે. 

તેમણે કહ્યું કે મોદી અલગ માટીનો બનેલો છે. તેને ખરીદી શકાતો નથી. કે ડરાવી શકાતો નથી. હું એક એક પાઈનો હિસાબ લઈશ. આ ચોકીદાર સૂતો નથી અને અંધારામાં પણ ખોટું કરનારાને પકડી શકે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news