Bilkis Bano Case: દોષિતોને સુપ્રીમ કોર્ટે ન આપી રાહત, 21 જાન્યુઆરી સુધીમાં કરવું પડશે સરેન્ડર

Bilkis Bano Case: બિલ્કીસ બાનો કેસમાં દોષિતોને સરેન્ડર મામલે રાહત આપવાની સુપ્રીમ કોર્ટે ના પાડી દીધી છે. કોર્ટે દોષિતોની એ અરજીને ફગાવી દીધી, જેમાં અલગ અલગ કારણ બતાવીને સરેન્ડર મામલે રાહતની માંગણી કરાઈ હતી.

Bilkis Bano Case: દોષિતોને સુપ્રીમ કોર્ટે ન આપી રાહત, 21 જાન્યુઆરી સુધીમાં કરવું પડશે સરેન્ડર

બિલ્કીસ બાનો કેસમાં દોષિતોને સરન્ડર મામલે રાહત આપવાની સુપ્રીમ કોર્ટે ના પાડી દીધી છે. કોર્ટે 11માંથી 10 દોષિતોની એ અરજીને  ફગાવી દીધી, જેમાં અલગ અલગ કારણ બતાવીને સરેન્ડર મામલે રાહતની માંગણી કરાઈ હતી. સુનાવણી દરમિયાન જસ્ટિસ નાગરત્નાએ કહ્યું કે અરજીને રેકોર્ડમાં લેવામાં આવી છે. આ દરમિયાન બેન્ચે કહ્યું કે અરજીમાં કોઈ દમ નથી. આથી અરજી ફગાવવામાં આવે છે. તમામ દોષિતોએ 21 જાન્યુઆરી સુધીમાં સરેન્ડર કરવું પડશે. 

અત્રે જણાવવાનું કે આ મામલે દોષિતો સુપ્રીમ કોર્ટમાં ગયા હતા. પીડિતા સાથે રેપ અને તેના પરિજનોની હત્યાના મામલે ઉમર કેદની સજામાંથી રાહત મેળવનારા 11 દોષિતોએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. દોષિતોએ આત્મસમર્પણ માટે વધુ સમયની માંગણી કરી હતી. આ અરજીઓ પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ અને કોર્ટે તમામ અરજીઓને રદ કરી દીધી. 

ગુજરાતના પ્રખ્યાત બિલ્કીસ બાનો કેસમાં સુપ્રીમ કોર્ટે 08 જાન્યુઆરી 2024ના રોજ મહત્વનો ચુકાદો આપ્યો હતો. જસ્ટિસ બીવી નાગરત્નાની બેન્ચે બિલ્કીસ બાનો કેસમાં 11 દોષિતોને નિર્દોષ છોડવાના ગુજરાત સરકારના નિર્ણયને રદ કર્યો હતો. આટલું જ નહીં, SCએ પોતાના નિર્ણયમાં દોષિતોને બે અઠવાડિયામાં આત્મસમર્પણ કરવાનું કહ્યું હતું.

— Press Trust of India (@PTI_News) January 19, 2024

દોષિતોએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને આત્મસમર્પણનો સમય વધારવાની માંગ કરી હતી છે. આ ગુનેગારોએ અંગત કારણો ટાંક્યા છે. જે નીચે મુજબ છે...

1. ગોવિંદભાઈ નાઈએ કહ્યું હતું કે તેમના પિતાની ઉંમર 88 વર્ષ અને માતાની ઉંમર 75 વર્ષ છે, દેખભાળ માટે તેઓ એકમાત્ર વ્યક્તિ છે. 

2. રમેશ રૂપાભાઈ ચંદનાએ કહ્યું હતું કે તેમણે તેમના પુત્રના લગ્નની વ્યવસ્થા કરવાની છે. 

3. મિતેશ ચિમનલાલ ભટ્ટે કહ્યું હતું કે તેમનો શિયાળુ પાક લલણી માટે તૈયાર છે. તેઓ આત્મસમર્પણ કરતા પહેલા આ કામ પૂરું કરવા માંગે છે. 

— Press Trust of India (@PTI_News) January 19, 2024

4. પ્રદીપ રમણલાલ મોઢિયાએ કહ્યું હતું કે હાલ તેમના ફેફસાની સર્જરી થઈ છે અને તેમને સાજા થવા માટે સમય જોઈએ છે. 

5. બિપિનચંદ્ર કનૈયાલાલ જોશીએ કહ્યું હતું કે હાલમાં જ મારા પગની સર્જરીના કરાણે તેઓ આંશિક રીતે વિકલાંગ છે. 

6. જસવંતભાઈ ચતુરભાઈ નાઈએ કહ્યું હતું કે તેમણે શિયાળુ પાકની લલણી કરવાની છે. 

7. રાધેશ્યામ ભગવાનદાસ શાહે કહ્યું હતું કે તેમણે વૃદ્ધ માતા પિતાની દેખભાળ કરવાની છે. તેમનો એક પુત્ર કોલેજમાં છે. આથી તેમણે આત્મસમર્પણ પહેલા પરિવાર માટે આર્થિક વ્યવસ્થા કરવી પડશે. 

8. કેશરભાઈ ખીમાભાઈ વોહનિયાએ વૃદ્ધાવસ્થાનો હવાલો આપતા કહ્યું હતું કે તેમના પુત્રના લગ્ન નક્કી થઈ ગયા છે. 

9. શૈલેષભાઈ ચિમનભાઈ  ભટ્ટે વૃદ્ધાવસ્થા, પરિવારમાં લગ્ન અને શિયાળુ પાકની લલણીનો હવાલો આપ્યો હતો. 

10. રાહુભાઈ બાબુલાલ સોનીએ માતાની વધતી ઉંમર, અને કરોડના મણકાની સર્જરી કરાવી રહેલી પત્નીના સ્વાસ્થ્યની સમસ્યાઓનો હવાલો આપ્યો હતો. 

નોંધનીય છે કે હકીકતમાં 2002માં ગુજરાતના ગોધરા સ્ટેશન પર સાબરમતી એક્સપ્રેસના કોચને સળગાવી દેવામાં આવ્યો હતો. આ પછી ગુજરાતમાં તોફાનો ફેલાયા હતા. આ રમખાણોની ઝપેટમાં બિલ્કીસ બાનોનો પરિવાર પણ આવી ગયો. બિલ્કીસ બાનો પર માર્ચ 2002માં ટોળાએ બળાત્કાર ગુજાર્યો હતો. તે સમયે બિલ્કીસ 5 મહિનાની ગર્ભવતી હતી. એટલું જ નહીં ટોળાએ તેના પરિવારના 7 સભ્યોની પણ હત્યા કરી નાખી હતી. બાકીના 6 સભ્યો ત્યાંથી ભાગી ગયા હતા.

શું છે બિલ્કીસ બાનો કેસ?
સીબીઆઈ કોર્ટે આ કેસમાં 11 લોકોને દોષિત ઠેરવ્યા હતા અને તેમને આજીવન કેદની સજા ફટકારી હતી. આમાંના એક દોષિતે ગુજરાત હાઈકોર્ટમાં માફીની નીતિ હેઠળ તેને મુક્ત કરવાની માંગણી કરીને અપીલ દાખલ કરી હતી. ગુજરાત હાઈકોર્ટે તેને ફગાવી દીધી હતી. આ પછી દોષિતોએ સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો. મે 2022માં સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને આ મામલે નિર્ણય લેવા જણાવ્યું હતું. આ પછી, ગુજરાત સરકારે રિલીઝ અંગે નિર્ણય લેવા માટે એક સમિતિની રચના કરી હતી. સમિતિની ભલામણ પર ગુજરાત સરકારે તમામ 11 દોષિતોને મુક્ત કર્યા હતા.

જસવંત નાયી, ગોવિંદ નાયી, શૈલેષ ભટ્ટ, રાધેશ્યામ શાહ, બિપીનચંદ્ર જોષી, કેસરભાઈ વોહનિયા, પ્રદીપ મોરદહિયા, બકાભાઈ વોહનિયા, રાજુભાઈ સોની, મિતેશ ભટ્ટ અને રમેશ ચંદનાને મુક્ત કરવામાં આવ્યા હતા. પરંતુ સુપ્રીમ કોર્ટે મુક્તિનો નિર્ણય રદ કર્યો છે. હવે આ દોષિતોને ફરી જેલમાં જવાનો વારો આવ્યો છે. આ દોષિતોએ જેલમાંથી બહાર નીકળ્યા બાદ કરેલી ઉજવણી તેમને ભારે પડી ગઈ છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news