ટ્રિપલ તલાક બિલઃ જાણો સંસદમાં આ વિષય પર કોણે શું કહ્યું?

ટ્રિપલ તલાક બિલ સંસદમાં 17 ડિસેમ્બરના રોજ લોકસભામાં રજૂ કરવામાં આવ્યું હતું, આ બિલને લોકસભામાં મંજૂરી મળી જશે તો તે સપ્ટેમ્બરમાં લાગુ કરવામાં આવેલા વટહુકમનું સ્થાન લેશે 

ટ્રિપલ તલાક બિલઃ જાણો સંસદમાં આ વિષય પર કોણે શું કહ્યું?

નવી દિલ્હીઃ ટ્રિપલ તલાક બિલ ઉપર લોકસભામાં ગુરુવારે પણ આખો દિવસ ચર્ચા ચાલતી રહી. લોકસભા સ્પીકરે સરકાર અને વિરોધ પક્ષને આ બિલના સંદર્ભે ચર્ચા માટે 4 કલાકનો સમય આપ્યો હતો. વિરોધ પક્ષે જણાવ્યું કે, આ ખરડામાં ત્રણ તલાકને દંડનીય અપરાધના દાયરામાંથી દૂર કરવી જોઈએ, જ્યારે સરકારે તેને મુસ્લિમ મહિલાઓના સશક્તિકરણ માટે મહત્વનું હોવાનું જણાવ્યું હતું. 

20 ઈસ્લામિક દેશમાંથી નાબૂદ, ભારતમાં કેમ નહીં: રવિશંકર 
કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે ચર્ચા દરમિયાન જણાવ્યું કે, ત્રણ તલાક લેનારા મુસ્લિમ પુરુષો માટે સજાની જોગવાઈ કરનારો આ ખરડો રાજનીતિ નથી, પરંતુ મહિલાઓને ન્યાય આપનારો અને તેમને સશક્ત કરનારો છે. આ બિલને રાજકીય દૃષ્ટિકોણથી ન જોવું જોઈએ. આ માનવતા અને ન્યાય માટે છે. તેમણે જણાવ્યું કે, '20 ઈસ્લામિક દેશ તેના પર પ્રતિબંધ લગાવી ચૂક્યા છે. તેમ છતાં ભારત જેવા સેક્યુલર દેશમાં આવું કેમ થઈ શકે નહીં? મારો તમને સૌને આગ્રહ છે કે આ સંવેદનશીલ મુદ્દાને રાજકીય ચશ્માની નજરે ન જૂઓ.'

સિલેક્ટ કમિટીને મોકલવામાં આવે બિલઃ કોંગ્રેસ, ઓવૈસી
આ બિલની અનેક જોગવાઈ ગેરબંધારણિય છે. આ બિલને બંને ગૃહની સંયુક્ત સિલેક્ટ સમિતિને રિફર કરવો જોઈએ, જેથી તેની સ્ક્રુટિની થઈ શકે. એઆીડીએમકે નેતા પી.વેણુગોપાલ, ટીએમસીના સુદીપ બંદોપાધ્યાય, એઆઈએમઆઈએમના અસદુદ્દીન ઓવૈસી અને એનસીપીના સુપ્રિય સુળેએ પણ આવી જ માગ કરી હતી. 

સ્પીકર સુમિત્રા મહાજન
લોકસબાના સભાપતિ સુમિત્રા મહાજને જણાવ્યું કે, આવો જ એક ખરડો લોકસભામાં ચર્ચા કર્યા બાદ પસાર થઈ ચૂક્યો છે. જોકે, સભ્યો ચર્ચા દરમિયાન પોતાનો મુદ્દો ઉઠાવી શકે છે. અચાનક એવી માગ ઉઠાવી શકાય નહીં કે આ ખરડાને સિલેક્ટ સમિતિ પાસે મોકલવામાં આવે. 

કોંગ્રેસ સાંસદ બોલ્યાં, મહિલાઓને માત્ર અદાલત મળશે
કોંગ્રેસના સાંસદ સુષ્મિતા દેવે જણાવ્યું કે, સશક્તિકરણના નામ પર સરકાર મહિલાઓને માત્ર કોર્ટની ઝંઝટમાં નાખી રહી છે. આ બિલનો ઉદ્દેશ્ય મુસ્લિમ મહિલાઓને સશક્ત કરવાનો કરતાં મુસ્લિમ પુરુષોને સજા આપવાનો છે. 

લેખીનો સવાલ, કુરાનની કઈ સુરાહમાં ત્રણ તલિકનો ઉલ્લેખ
ભાજપના સાસંદ મીનાક્ષી લેખીએ જણાવ્યું કે, ત્રણ તલાકનો વિરોધ કરનારા લોકોને હું એ પુછવા માગું છું કે, કુરાનની કઈ સુરાહમાં 'તલાક-એ-બિદ્દત'નો ઉલ્લેખ કરાયો છે. આ મહિલા વિરુદ્ધ પુરુષનો મુદ્દો નથી, પરંતુ સંપૂર્ણ રીતે માનવાધિકારના ઉલ્લંઘન સાથે જોડાયેલી બાબત છે. 

ઉલ્લેખનીય છે કે, ત્રણ તલાકને દંડનીય અપરાધ ઠેરવનારું આ બિલ 17 ડિસેમ્બરના રોજ લોકસભામાં રજૂ કરાયું હતું. જો, આ ખરડાને મંજૂર મળી જાય છે તો તે સપ્ટેમ્બરમાં લાગુ કરવામાં આવેલા વટહુકમનું સ્થાન લેશે. પ્રસ્તાવિત કાયદા અનુસાર ત્રણ તલાક લેવાનું ગેરકાયદે રહેશે અને આમ કરવામાં જો દોષિત સાબિત ઠરે તો પતિને ત્રણ વર્ષ સુધીની જેલની સજા પણ થશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news