ઉર્જિત પટેલ વિશે જાણવા જેવી ખાસ 5 બાબતો અને ગુજરાત કનેક્શન...

ઉર્જિત પટેલે 4 સપ્ટેમ્બર, 2016 રોજ ભારતની કેન્દ્રીય બેન્ક 'રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા'ના ગવર્નર પદનો ભાર સંભાળ્યો હતો અને હવે આજે એટલે કે 10 ડિસેમ્બરના રોજ તેમણે તાત્કાલિક ધોરણે અંગત કારણોસર રાજીનામું આપી દીધું છે, તેમણે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના ગવર્નર રઘુરામ રાજનનું સ્થાન લીધું હતું 

ઉર્જિત પટેલ વિશે જાણવા જેવી ખાસ 5 બાબતો અને ગુજરાત કનેક્શન...

યુનુસસલીમ/ઝી ડિજિટલ, અમદાવાદઃ  ઉર્જિત પટેલે 4 સપ્ટેમ્બર, 2016 રોજ ભારતની કેન્દ્રીય બેન્ક 'રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા'ના ગવર્નર પદનો ભાર સંભાળ્યો હતો અને હવે આજે એટલે કે 10 ડિસેમ્બરના રોજ તેમણે તાત્કાલિક ધોરણે અંગત કારણોસર રાજીનામું આપી દીધું છે, તેમણે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના ગવર્નર રઘુરામ રાજનનું સ્થાન લીધું હતું. 52 વર્ષના ઉર્જિત પટેલે ભારતમાં નાણા નીતિ કેટલું મહત્વ ધરાવે છે તેનું એક મજબૂત માળખું તૈયાર કર્યું હતું. ઉર્જિત પટેલ જ્યારે ગવર્નર બન્યા ત્યારે તેમની સામે વધતી ગ્રાહક ભાવ આધારિત મોંઘવારીને કાબુમાં લેવાનો સૌથી મોટો પડકાર હતો. તેમણે ભારતના વિકાસ દરને જાળવી રાખવામાં અને તેમાં વૃદ્ધિ કરવામાં મહત્વનો ભાગ ભજવ્યો હતો. 

ઉર્જિત પટેલ વિશે જાણવા જેવી 5 બાબતો...
1. ઉચ્ચ શિક્ષણ 
RBIના ગવર્નરે વિશ્વની ટોચની યુનિવર્સિટીઓમાંથી ઉચ્ચ શિક્ષણ મેળવ્યું હતું. તેમણે લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સમાંથી બેચલર્સની ડિગ્રી, ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાંથી M. Phil (1986) અને યેલ યુનિવર્સિટીમાંથી Ph.D.(1990) કર્યું હતું. 

2. કેન્યાથી ભારત સુધીની સફર
દક્ષિણ આફ્રિકાના દેશ કેન્યામાં જન્મેલા ઉર્જિત પટેલે લંડનમાં અભ્યાસ કર્યો અને અમેરિકામાં પીએચડીની ડિગ્રી હાંસલ કરીને ત્યાં જ પોતાની કારકિર્દી બનાવી હતી. ત્યાંથી તેઓ ભારત આવ્યા હતા. 

ઉર્જિત પટેલે શિક્ષણ પુરું કર્યા બાદ અમેરિકા, ભારત, બહામાસ અને મયાંમારમાં IMF (ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ)ની વિવિધ ઓફિસમાં કામ કર્યું હતું. ત્યાર બાદ 1996માં ઉર્જિત પટેલ IMFમાંથી ભારતની RBIમાં નોકરીની શરૂઆત કરી હતી. અહીં તેમણે બજાર ખાત, બેન્કિંગ ક્ષેત્રના સુધારા, પેન્શન ફંડના સુધારા, રિયલ એક્સચેન્જ રેટ ટાર્ગેટિંગ  અને ભારતમાં ફોરેન એક્સચેન્જ માર્કેટના ક્ષેત્રે નવા સુધારા લાગુ કરાવ્યા હતા. 

3. આર્થિક ક્ષેત્રે કામગીરીની અત્યંત અસરકારક પ્રોફાઈલ 
ઉર્જિત પટેલે નાણા, ઉર્જા અને માળખાગત ક્ષેત્રમાં 17 વર્ષ સુધી કામ કરીને અત્યંત ઉજળી કારકિર્દી બનાવી હતી. ભારતમાં RBIના ડેપ્યુટી ગવર્નરનું પદ સંભાળતાં પહેલાં ઉર્જિત પટેલ ઊર્જા અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રની જાણીતી કંપની ધ બોસ્ટન કન્સલ્ટિંગ ગ્રુપમાં આર્થિક સલાહકાર હતા. 1997થી 2006 દરમિયાન તેમણે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના બિઝનેસ ડેવલપમેન્ટ વિભાગમાં પ્રમુખ પદ સંભાળ્યું હતું. 

1998થી 2006 દરમિયાન ઉર્જિત પટેલ ભારત સરકારના નાણા મંત્રાલયના આર્થિક બાબતોના વિભાગના સલાહકાર હતા. 

આ ઉપરાંત વર્ષ 2000થી 2004 દરમિયાન ઉર્જિત પટેલે કેન્દ્ર અને રાજ્ય સરકારોની વિવિધ સમિતિઓમાં સલાહકાર તરીકે કામ કર્યું હતું, જેમાંની મુખ્ય છે ટાસ્ક ફોર્સ ઓન ડાયરેક્ટ ટેક્સ, ધ મિનિસ્ટ્રી ઓફ ફાઈનાન્સ, ધ સેક્રેટરિએટ ઓફ પ્રાઈમ મિનિસ્ટર્સ ટાસ્ક ફોર્સ ઓન ઈન્ફ્રાસ્ટ્રક્ચર. 

4. પટેલનાં પ્રશંસકો પણ એટલા જ મોટા માથા 
ભારતમાં આર્થિક ક્ષેત્રે અત્યંત ઉજળી અને બહોળી કારકિર્દી ધરાવવાને કારણે ભારતના ટોચનાં અર્થશાસ્ત્રીઓ અને નેતાઓ પણ ઉર્જિત પટેલના પ્રશંસક હતા. જેમાં મુખ્ય જોઈએ તો, પૂર્વ દિવંગત વડા પ્રધાન પી.વી. નરસિમ્હા રાવ, પૂર્વ વડા પ્રધાન અને અર્થશાસ્ત્રી ડો. મનમોહન સિંહ, પૂર્વ નાણામંત્રી અને અર્થશાસ્ત્રી પી. ચિદમ્બરમ, વર્તમાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી, વર્તમાન નાણા પ્રધાન અરૂણ જેટલી અને આરબીઆઈના પૂર્વ ગવર્નર રઘુરામ રાજનનો સમાવેશ થાય છે. 

વર્ષ 2013માં જ્યારે તેમને આરબીઆઈના ડેપ્યુટી ગવર્નર પદની ઓફ કરવામાં આવી હતી ત્યારે તેમની ભલામણ બીજા કોઈએ નહીં પરંતુ તત્કાલિક વડા પ્રધાન ડો. મનમોહન સિંહે કરી હતી અને તેમણે લખ્યું હતું કે, "તેઓ આ દેશ માટે અત્યંત મહત્વની વ્યક્તિ છે."

આરબીઆઈના ડેપ્યુટી ગવર્નર પદે કામ કરતા સમયે ઉર્જિત પટેલ RBIના તત્કાલિન ગવર્નર રઘુરામ રાજનના અત્યંત ખાસ વિશ્વાસુ અને જમણો હાથ હતા. તેઓ કેન્દ્રીય બેન્કની નાણા નીતિ તૈયાર કરનારી સમિતિના વડા હતા. તેમણે ભારત દેશ માટેના સૌથી મોટા પડકાર એવા મોંઘવારીનો સામનો કરવામાં અત્યંત કુશળ નીતિ બનાવીહતી અને 1991 બાદ આ સૌથી મહત્વપૂર્ણ સુધારા હતા. 

5. ગુજરાત કનેક્શન
ઉર્જિત પટેલના દાદા 20મી સદીમાં બ્રિટિશ રાજ દરમિયાન ગુજરાતથી સ્થળાંતર કરીને કેન્યામાં સ્થાયી થયા હતા. તેમના પિતાનો જન્મ કેન્યામાં થયો હતો અને તેઓ નૈરોબીમાં એક સફળ બિઝનેસમેન બન્યા હતા. તેમના પિતાના નિધન બાદ માતા સાથે વધુ સમય સુધી રહેવા માટે તેમણે શાંઘાઈમાં બનેલી BRICS Bankની નોકરીની ઓફર પણ ઠુકરાવી દીધી હતી. RBIના ગવર્નર બન્યા બાદ પણ તેઓ માતાના નાનકડા મકાનમાં જ રહેતા હતા. 

નોટબંધીમાં ઉર્જિત પટેલની ભૂમિકા 
કેન્દ્રની મોદી સરકાર દ્વારા 8 નવેમ્બર, 2016ના રોજ ભારતીય ચલણમાં રહેલી રૂ.500 અને રૂ.1000ની મહાત્મા ગાંધી શ્રેણની નોટ બંધ કરવાની જાહેરાત કરી હતી. તેની સાથે જ ભારતીય ચલણમાં રૂ.500 અને રૂ.2000ની નવી ચલણી નોટ દાખલ કરવાની પણ જાહેરાત કરવામાં આવી હતી. સરકાર દ્વારા આ નોટબંધીનો હેતુ દેશમાંથી કાળુ નાણું બહાર લાવવા, ચલણમાં રહેલી નકલી નોટો બંધ કરવા અને આતંકવાદને જે ફંડિગ મળી રહ્યું છે તેને કાબુ લેવાનો દર્શાવાયો હતો. ભારત સરકાર દ્વારા લાગુ કરાયેલી આ નોટબંધીને અત્યંત સફળતાપૂર્વક લાગુ કરવામાં RBIના ગવર્નર ઉર્જિત પટેલે અત્યંત મહત્વની ભૂમિકા ભજવી હતી. 

ઉર્જિત પટેલની ઉજ્જવળ કારકિર્દી

  • સલાહકાર, બોસ્ટન કન્સલ્ટિંગ ગ્રૂપ
  • પ્રિસડન્ટ (બિઝનેસ ડેવલપમેન્ટ), રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ (1997-2006)
  • એક્ઝીક્યુટિવ ડિરેક્ટર, ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ફાઈનાન્સ કંપની (1996-1997)
  • સભ્ય, ઈન્ટિગ્રેટેડ એનર્જી પોલિસી કમિટિ, કેન્દ્ર સરકાર, ભારત (2004-2006)
  • નોન-એક્ઝીક્યુટિવ ડિરેક્ટર, ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન
  • નોન-એક્ઝીક્યુટિવ ડિરેક્ટર, મલ્ટી કોમોડિટી એક્સચેન્જ ઓફ ઈન્ડિયા લિમિટેડ
  • ડેપ્યુટી ગવર્નર, રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા
  • ગવર્નર, રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (4 સપ્ટેમ્બર, 2016થી 10 ડિસેમ્બર, 2018

ઉર્જિત પટેલની પ્રોફાઈલ
નામઃ ઉર્જિત રવિન્દ્ર પટેલ
જન્મઃ 28 ઓક્ટોબર, 1963 (55 વર્ષ), નૈરોબી, કેન્યા
નાગરિક્તાઃ નૈરોબી(2013 સુધી), ભારત (2013થી)
અભ્યાસઃ 
બેચલર્સ ડિગ્રી, લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સ, લંડન
M. Phil, ઓક્સફોર્ડ યુનિવર્સિટી, લંડન
Ph.D, યેલ યુનિવર્સિટી, અમેરિકા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news