ભારતના બે મોસ્ટ વોન્ટેડ અપરાધી હાફિઝ અને દાઉદ પર PAK પીએમનું મોટું નિવેદન 

આતંકીઓ માટે સેફ હેવન તરીકે બદનામ થઈ ગયેલા પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને ભારત માટે મોસ્ટ વોન્ટેડ અપરાધી ગણાતા હાફિઝ સઈદ અને દાઉદ ઈબ્રાહિમ વિશે મોટું નિવેદન આપ્યું છે.

ભારતના બે મોસ્ટ વોન્ટેડ અપરાધી હાફિઝ અને દાઉદ પર PAK પીએમનું મોટું નિવેદન 

ઈસ્લામાબાદ: આતંકીઓ માટે સેફ હેવન તરીકે બદનામ થઈ ગયેલા પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને ભારત માટે મોસ્ટ વોન્ટેડ અપરાધી ગણાતા હાફિઝ સઈદ અને દાઉદ ઈબ્રાહિમ વિશે મોટું નિવેદન આપ્યું છે. ઈમરાન ખાને કહ્યું કે અમારી જમીનનો ઉપયોગ બહાર આતંકવાદ ફેલાવવા માટે થાય તે તેમના દેશના પણ હિતમાં નથી. મુંબઈ હુમલાના ગુનેહગાર હાફિઝ સઈદ અને મોસ્ટ વોન્ટેડ આતંકી દાઉદ ઈબ્રાહિમ વિશે જ્યારે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે તેમની સરકારને આ મુદ્દા વિરાસતમાં મળ્યાં છે. ઈમરાને ખાને ગોળગોળ જવાબ આપતા કહ્યું હતું કે આપણે ભૂતકાળમાં જીવી શકીએ નહીં. આપણે ભૂતકાળને પાછળ છોડવો પડશે અને આગળ જોવું પડશે. અમારી પાસે પણ ભારતમાં વોન્ટેડ લોકોની સૂચિ છે.ઈમરાન ખાને વધુમાં કહ્યું કે તેઓ તેમના ભારતીય સમકક્ષ પીએમ મોદી સાથે વાતચીત માટે તૈયાર છે. અત્રે જણાવવાનું કે ભારતે વલણ અપનાવ્યું છે કે આતંકવાદ અને વાતચીત સાથે થઈ શકે નહીં જેના જવાબમાં ઈમરાને પોતાનું નિવેદન આપ્યું. 

ભારતે કહ્યું છે કે પાકિસ્તાન સાથે તે ત્યાં સુધી વાતચીત નહીં કરે જ્યાં સુધી સરહદ પાર આતંકવાદને સમર્થન અને સંરક્ષણ આપવાનું તે બંધ નહીં કરે. ઈસ્લામાબાદમાં ભારતીય પત્રકારો સાથે વાતચીત કરતા ઈમરાન ખાને કહ્યું કે ઈતિહાસ પાસેથી આપણે શીખવું જોઈએ, તેમાં રહેવું જોઈએ નહીં. હાફિઝ સઈદને દંડ આપવાના સવાલ પર તેમણે કહ્યું કે હાફિઝ સઈદ વિરુદ્ધ સંયુક્ત રાષ્ટ્રનો પ્રતિબંધ છે. પહેલેથી જ તેના પર સકંજો કસવામાં આવ્યો છે. અત્રે જણાવવાનું કે એક દિવસ પહેલા જ કરતારપુર કોરિડોરના શિલાન્યાસ કાર્યક્રમમાં ઈમરાન ખાને ભારત સાથે સંબંધ આગળ વધારવાની વાત કરી હતી. 

જો કે કતારપુર ઈવેન્ટમાં ઈમરાન ખાને આતંકવાદ પર ચૂપ્પી સાધી રાખી હતી પરંતુ ધાર્મિક કાર્યક્રમમાં કાશ્મીરનો મુદ્દો જરૂર ઉઠાવ્યો હતો. જેના પર ભારતે નારાજગી વ્યક્ત કરી હતી. જો કે ત્યારબાદ પત્રકારો સાથે વાતચીતમાં કહ્યું કે પાકિસ્તાનના લોકો ભારત સાથે શાંતિ ઈચ્છે છે. અહીંના લોકોની માનસિકતા બદલાઈ ચૂકી છે. 

મોસ્ટ વોન્ટેડ આતંકી દાઉદ ઈબ્રાહિમને લઈને પૂછવામાં આવેલા સવાલમાં ઈમરાન ખાને જવાબ આપતા કહ્યું કે આપણે ભૂતકાળમાં જીવી શકીએ નહીં. હકીકતમાં દાઉદ 1993 મુંબઈ બોમ્બ વિસ્ફટોનો માસ્ટરમાઈન્ડ છે અને તે સતત પાકિસ્તાનમાં રહે છે. જો કે સયુંક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે પણ આતંકીઓની જે સૂચિ જારી કરી હતી તેમાં દાઉદ સામેલ હતો અને તેનું એડ્રસ કરાચી બતાવવામાં આવ્યું હતું. 

કાશ્મીર મુદ્દે બોલતા તેમણે કહ્યું હતું કે તેનું સમાધાન શક્ય છે. પરંતુ સૈન્ય સમાધાન થઈ શકે નહીં. તેમણે કહ્યું કે અમે ભારતના વલણ માટે ભારતમાં ચૂંટણી પૂરી થાય તેની રાહ જોઈ રહ્યાં છીએ. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news