વીએસની ઘોર બેદરકારી: નસરીનનો મૃતદેહ મિત્તલના પરિજનોને અપાઈ ગયો, દફનવિધિ પણ થઈ ગઈ

અમદાવાદની વાડીલાલ સારાભાઈ હોસ્પિટલ ફરી વિવાદમાં આવી છે. હોસ્પિટલ તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. હોસ્પિટલના કોલ્ડ સ્ટોરેજમાં મૂકવામાં આવેલા મહિલાઓના મૃતદેહની અદલાબદલી થઈ ગઈ.

 વીએસની ઘોર બેદરકારી: નસરીનનો મૃતદેહ મિત્તલના પરિજનોને અપાઈ ગયો, દફનવિધિ પણ થઈ ગઈ

અમદાવાદ: અમદાવાદની વાડીલાલ સારાભાઈ હોસ્પિટલ ફરી વિવાદમાં આવી છે. હોસ્પિટલ તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. હોસ્પિટલના કોલ્ડ સ્ટોરેજમાં મૂકવામાં આવેલા મહિલાઓના મૃતદેહની અદલાબદલી થઈ ગઈ. નસરીન નામની એક ગર્ભવતી મહિલાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જે મહિલાનું પ્રસૂતિ પહેલાં મોત નિપજ્યું હતું. તેનો મૃતદેહ કર્ણાટક મોકલવાનો હોવાથી કોલ્ડસ્ટોરેજમાં મૂકવામાં આવ્યો હતો. બીજી તરફ બાવળામાં યુવકે એક તરફી પ્રેમમાં મિત્તલ જાદવ નામની યુવતીની હત્યા કરી હતી. આ મિત્તલનો મૃતદેહ પણ અહીંના કોલ્ડ સ્ટોરેજમાં મૂકવામાં આવ્યો હતો. બાવળાની મિત્તલ જાધવનો મૃતદેહ સ્વીકારવા જ્યારે તેના પરિવારજનો આવ્યા ત્યારે મિત્તલ જાધવના બદલે હોસ્પિટલના કર્મચારીઓએ નસરીનબાનુનો મૃતદેહ સોંપી દીધો અને મિત્તલના પરિવારજનોએ એ મૃતદેહ લઈને તેની દફનવિધિ પણ કરી દીધી. આ તરફ નસરીનના પરિવારજનો વીએસ હોસ્પિટલ પહોંચ્યા.પરંતુ કોલ્ડ સ્ટોરેજમાં નસરીનનો મૃતદેહ ન જોતાં તેઓ રોષે ભરાયા અને હલ્લાબોલ કર્યો. શરૂઆતમાં એવી વાતો થઈ કે કોલ્ડસ્ટોરેજમાંથી મૃતદેહ લાપતા થઈ ગયો અને એ મૃતદેહ ગયો તો ક્યાં ગયો. પરંતુ પછી હકીકત સામે આવી કે અખ્તરબાનુનો મૃતદેહ તો મિત્તલ જાધવના પરિવારજનોને સોંપાઈ ગયો. હોસ્પિટલ તંત્રની બેદરકારી સામે રોષે ભરાયેલા નસરીનના પરિવારજનોએ વીએસ હોસ્પિટલમાં હોબાળો મચાવ્યો.

મૃતદેહ જે મહિલાનો હતો તેનું નામ નસરીન છે. આ મહિલાનું ડિલિવરી દરમિયાન મોત થયું હતું. નસરીનના પરિવારે આરોપ લગાવ્યો કે હોસ્પિટલની બેદરાકારીથી લાશની અદલાબદલી થઈ. ખુબ જ ચોંકાવનારી વસ્તુ કહેવાય કે હોસ્પિટલના મડદા ઘરમાં આવી ઘટના ઘટે. નસરીન અને મિત્તલ જાદવના મૃતદેહો બદલાઈ ગયા હોવાનું કહેવાય છે. મૃતક નસરીનનું બોડી કર્ણાટક મોકલવાનો હતો. નસરીનના પરિજનોએ વીએસ હોસ્પિટલમાં હોબાળો મચાવી દીધો અને મૃતદેહની માગણી કરી. 

મિત્તલની બહેને પણ કર્યો ચોંકાવનારો ખુલાસો
મિત્તલની બહેન મમતા જાદવે પણ આ અંગે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. તેના કહેવા મુજબ મૃતદેહની અદલા-બદલી થઇ છે. તેણે કહ્યું કે અમને બીજી મહિલાનો મૃતદેહ આપવામાં આવ્યો, મૃતક મિત્તલ જાદવની બહેન મમતાએ ZEE 24 કલાક સાથેની વાતચીતમાં કહ્યું કે, નાકની નથણીથી અમને બીજા મૃતદેહની ખબર પડી. નસરીનના મૃતદેહને કર્ણાટક મોકલવાનો હતો. પરંતુ કહેવાય છે કે મિત્તલના પરિવારને જે મૃતદેહ અપાયો તે નસરીનનો હતો અને તેની દફનવિધિ હિન્દુવિધિ પ્રમાણે કરી નાખવામાં આવી છે. આ બાજુ હવે દફનવિધિ થઈ ગયા પછી મિત્તલની બહેન મમતા જાધવનું પણ કહેવું છે કે તેની બહેન નથણી પહેરતી ન હતી. તેમણે કહ્યું કે નથણી પરથી ખબર પડી કે આ મિત્તલનો ડેડબોડી નથી. તેણે ગંભીર આરોપ લગાવતા કહ્યું કે પોલીસે દગાબાજી કરી છે અમને બીજુ કઈ બતાવ્યું નથી. 

બદરૂદ્દીન શેખનો દાવો
પૂર્વ મનપા વિપક્ષના નેતા બદરૂદ્દીન શેખે કહ્યું કે કોલ્ડરૂમાં જેની લાશ હોય તેની ચીઠ્ઠી લખેલી હોય છે. હું કોલ્ડરૂમમાં જોઈને આવ્યો કે મિત્તલના નામની ચીઠ્ઠીવાળો મૃતદેહ ત્યાં છે. અમારી માગણી છે કે મિત્તલના નામે જેની દફનવિધિ થઈ છે તે મૃતદેહ પાછો આપી દેવો જોઈએ. જેથી કરીને તેની યોગ્ય રીતે દફનવિધિ થઈ શકે. 

જવાબદારો સામે પગલાં લેવાની મેયર બિજલ પટેલની બાહેંધરી
અમદાવાદ શહેરના મેયર બિજલ પટેલે આ સમગ્ર મામલે કહ્યું કે મૃતદેહ ગાયબ થયો નથી. તેમણે કહ્યું કે મિત્તલનો મૃતદેહ પણ અહીં હતો. આ બંને મૃતદેહ અહીં જ હતાં. તેમની તકરાર પતી જતા જ્યારે તેઓ મૃતદેહ લેવા આવ્યાં ત્યારે ભૂલથી મિત્તલની જગ્યાએ બીજો મૃતદેહ અપાઈ ગયો છે. મૃતદેહ ગાયબ થયો નથી પરંતુ અદલાબદલી થઈ છે. આ એક ગંભીર ભૂલ છે. મેયર બીજલ પટેલે વીએસ હોસ્પિટલમાં મૃતદેહ ગાયબ થવા મામલે તપાસના આદેશ આપ્યાં છે. ઝી 24 કલાક સાથેની વાતચીતમાં મેયરે જવાબદારો સામે પગલા લેવાની બાંહેધરી આપી.

AMC ખાતે બેઠક યોજાઈ
મૃતદેહ બદલાઇ જવા મામલે  અમદાવાદ કોર્પોરેશન ખાતે અધિકારીઓની એક બેઠક પણ યોજાઈ. મ્યુનિ. કમિશનર, ડેપ્યુટી કમિશનર અને વી.એસ હોસ્પિટલનાં સુપ્રિટેન્ડન્ટ બેઠકમાં હાજર રહ્યાં હતાં. આ સમસ્યાનો ઉકેલ કઇ રીતે લાવવો તેના પર ચર્ચા કરાઈ.  બેદરકારી દાખવનારાઓ સામે પગલાં લેવામાં આવશે.  

જુઓ LIVE TV

પોલીસ  ગર્ભવતી મહિલાના પરિજનોને લઈને ધોલેરા પહોંચી, કબરમાંથી કાઢીને મૃતદેહ સોંપાશે
વીએસ હોસ્પિટલમાં નસરીન અને મિત્તલના મૃતદેહ બદલાઈ જતા મિત્તલના પરિવારને નસરીનનો મૃતદેહ આપી દેવાયો હોવાની ઘોર બેદરકારી સામે આવી છે. આ ગર્ભવતી મહિલાનું ગુરુવારે મોત નિપજ્યું હતું. મિત્તલની બાવળામાં હત્યા થઈ હતી. બંનેના મૃતદેહો સાથે કોલ્જસ્ટોરેજમાં રાખવામાં આવ્યાં હતાં. મિત્તલના પરિવારને નસરીનનો મૃતદેહ સોંપાયો હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ નસરીનના પરિજનોને લઈને જ્યાં નસરીનની મિત્તલ સમજીને દફનવિધિ કરાઈ હતી ત્યાં ધોલેરા પહોંચી. 

નસરીનનો મૃતદેહ કબરની બહાર કાઢી લેવાયો
હાલ નસરીનનો મૃતદેહ બહાર કાઢી લેવાયો છે. તેને બાવળા હોસ્પિટલ લઈ જઈને પરિવાર પાસે ઓળખ કરાવવામાં આવશે. આ બાજુ મિત્તલનો મૃતદેહ હજુ હોસ્પિટલના પીએમ રૂમમાં જ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news