ખેડૂતોની મહત્વની યોજનામાં ગુજરાત સરકારે કર્યા મોટા ફેરફાર, હવે નહિ થાય ખેતરોને નુકસાન

Tar Fencing Yojana 2023: ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયને પગલે રાજ્યભરના લાભો ખેડૂતોને તેનો લાભ મળી શકશે. હવે ખેતરોમાં ઉભા પાકને તહેસનહેસ કરતા પ્રાણીઓને અંકુશમાં રાખી શકાશે

ખેડૂતોની મહત્વની યોજનામાં ગુજરાત સરકારે કર્યા મોટા ફેરફાર, હવે નહિ થાય ખેતરોને નુકસાન

Tar Fencing Yojana 2023 : ગુજરાતના ધરતીપુત્રોના પ્રશ્નોને હકારાત્મક વાચા આપતો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે વધુ એક ખેડૂત હિતલક્ષી નિર્ણય કર્યો છે. ખેડૂતોની સતત રજૂઆતોને ધ્યાને લઇ કાંટાળા તારની વાડ કરવાની યોજનાને રાજ્ય સરકારે વધુ સરળ બનાવી તેવી જાહેરાત કૃષિ મંત્રી રાઘવજી પટેલ દ્વારા કરવામાં આવી. સહાયપાત્ર વિસ્તારની મર્યાદા લઘુત્તમ પાંચ હેક્ટરથી ઘટાડીને બે હેક્ટર કરાઈ. ચાલુ વર્ષના બજેટમાં આ યોજના માટે રૂ. ૩૫૦ કરોડ જેટલી માતબર રકમની જોગવાઈ કરાઈ.

ગુજરાત સરકારે ફરી એક વાર રાજ્યના ખેડૂતોના પ્રશ્નોને હકારાત્મક વાચા આપતો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. કૃષિ મંત્રી રાઘવજી પટેલે આ સંદર્ભે જણાવ્યું હતું કે, રાજ્યના વિવિધ વિસ્તારોના ખેડૂતો અને ખેડૂત સંગઠનો દ્વારા ‘કાંટાળા તારની વાડ બનાવવાની યોજના’ની મર્યાદામાં સુધારો કરવા રજૂઆતો મળી હતી. રાજ્યના વધુમાં વધુ ખેડૂતો આ યોજનાનો લાભ મેળવી શકે તે માટે તેમની રજૂઆતોને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે હકારાત્મક પ્રતિસાદ આપ્યો છે. અગાઉ આ યોજના હેઠળ લઘુત્તમ પાંચ હેક્ટર વિસ્તારમાં તાર ફેન્સિંગ માટે સહાય આપવામાં આવતી હતી, જેમાં હવે વિસ્તારની મર્યાદા ઘટાડીને લઘુત્તમ બે હેક્ટર નક્કી કરવામાં આવી છે.

કૃષિ મંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, ખેતરની ફરતે તાર ફેન્સિંગ કરવાની યોજનાનો રાજ્યના મહત્તમ ખેડૂતો લાભ લઈ શકે તે માટે ચાલુ વર્ષે અંદાજપત્રમાં આ યોજના માટે રૂ. ૩૫૦ કરોડ જેટલી માતબર રકમની જોગવાઈ કરવામાં આવી છે. આ યોજના હેઠળ રાજ્યના અંદાજીત ૨૭,૭૦૦ હેક્ટર વિસ્તાર માટે રનીંગ મીટર દીઠ રૂ. ૨૦૦ અથવા ખરેખર થનાર ખર્ચના ૫૦ ટકા બંનેમાંથી જે ઓછુ હોય તે મુજબ સહાય આપવામાં આવશે. આ માટે આગામી સમયમાં આઈ-ખેડૂત પોર્ટલ પર અરજીઓ લેવામાં આવશે.

ભૂંડ, રોઝ અને નીલ ગાય જેવા પ્રાણીઓ દ્વારા ખેડૂતોના મહામૂલા ઊભા પાકને થતા નુકશાનને અટકાવવા ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૦૫માં ખેતરની ફરતે લોખંડની કાંટાળી તારની વાડ બનાવવાની યોજના અમલમાં મૂકી હતી. આ યોજનાને વધુ અસરકારક અને ઉ૫યોગી બનાવવા રાજ્ય સરકાર દ્વારા સમયાંતરે તેમાં ઘણા સુધારાઓ પણ કરવામાં આવ્યા, અને આજે વધુ એક નવો સુધારો કરવામાં આવ્યો છે, તેમ મંત્રી રાઘવજી પટેલે ઉમેર્યું હતું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news