સાત લોકોનાં સામુહિક આપઘાતમાં સોલંકી પરિવારનું નવું રહસ્ય ખૂલ્યું : મનીષ દર મહિને લાખોનો લોનનો હપ્તો ભરતો

surat family mass suicide : સુરતમાં એક જ પરિવારના સાત લોકોના સામુહિક આપઘાત કેસમાં મોટો ખુલાસો થયો... મનીષ સોલંકી કયા કારણોસર તણાવમાં હતો તે પોલીસને જાણવા મળ્યું 

સાત લોકોનાં સામુહિક આપઘાતમાં સોલંકી પરિવારનું નવું રહસ્ય ખૂલ્યું : મનીષ દર મહિને લાખોનો લોનનો હપ્તો ભરતો

Surat News સુરત : સુરતના અડાજણ વિસ્તારમાં મનીષ સોલંકી પરિવાર 7 લોકોના સામુહિક આપઘાત મામલામાં રોજ નવા નવા વળાંક આવી રહ્યાં છે. આર્થિક સંકડામણ અનુભવતા પરિવારના મોભી મનીષ સોલંકીએ આ પગલુ ભર્યુ હતું. પરંતું તપાસમાં સામે આવ્યું કે, મનીષ સોલંકી દર મહિને જુદી જુદી બેંકમાં 1.20 લાખનો લોનનો હપ્તો ભરતો હતો. ત્યારે પોલીસે હવે એ દિશામાં તપાસ શરૂ કરી છે કે, શું મનીષ સોલંકી બેંકના હપ્તો ભરવાના તણાવમાં રહેતો હતો કે શું. આ ઉપરાંત સુરત પોલીસે મનીષ સોલંકી અને સોલંકી પરિવારના અન્ય લોકોના નાણાંકીય વ્યવહાર માટે 10 સગા સબંધીઓના પણ નિવેદન લીધા છે. સામુહિક આપઘાત કેસની કડી શોધવા તમામ સભ્યોની કોલ ડિટેઈલ અને આર્થિક વ્યવહારની પણ તપાસ શરૂ કરાઈ છે. 

શું મનીષ તાંત્રિક વિધિના રવાડે ચઢ્યો હતો?
સુરતની આ ઘટનામાં મનીષ કોઈ તાંત્રિક વિધિના ચક્કરમાં ફસાયો હતો કે કેમ તે પણ એક સવાલ છે. આ વાતની સાબિતી આપતો એક વિડીયો પણ બહાર આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે કે જેમાં એક તાંત્રિક પાસે બેઠેલો વ્યક્તિ મનીષ હોવાના દાવા થઈ રહ્યા છે. આ જ તાંત્રિક પાસે મનીષ અવારનવાર વિધિ કરાવતો હતો તેવી વાત પણ બહાર આવી છે.

ઝેર બાદ બચી ગયેલા માતા-મોટી પુત્રીનું ગળું દબાવ્યું
સુરત નવી સિવિલ હોસ્પિટલના આરએમઓ ડો. કેતન નાયકે એક્સક્લુઝિવ વાતચીતમાં જણાવ્યું હતું કે, શનિવારે બપોરે લગભગ 3 થી 4 કલાક સુધી પોસ્ટમોર્ટમ ચાલ્યું હતું. સાત મૃતદેહો હતા. મનીષ સોલંકીએ ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. બાકીના છ મૃતદેહોમાંથી, બેની ગરદન પર દબાણના નિશાન હતા, એટલે કે ગળું દબાવવામું આવ્યું હતું. બાકીના ચારનું ઓર્ગેનોકેમિકલ એનાલિસિસ કરવામાં આવ્યું હતું, જેમાં પ્રાથમિક દૃષ્ટિએ ઝેર હોવાનું જણાય છે. જ્યારે તેનો રિપોર્ટ આવશે ત્યારે મૃત્યુની અંતિમ માહિતી આપવામાં આવશે.

શુ બની હતી ઘટના
સુરતના પાલનપુર પાટિયા વિસ્તારના સિદ્ધેશ્વર એપાર્ટમેન્ટમાં સી-2 બ્લિડિંગમાં રહેતા મનિષ સોલંકીએ પરિવારમાં માતા-પિતા, પત્ની અને ત્રણ બાળકોને ઝેરી દવા આપ્યા બાદ પોતે ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હોવાની વિગતો સામે આવી રહી છે. ઘટનાની જાણ થતાં જ પોલીસના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. ફર્નિચરના વ્યવસાય સાથે જોડાયેલા અને મોટા કોન્ટ્રાક્ટ રાખતાં મનિષ સોલંકી લાંબા સમયથી આર્થિક સંકરામણ અનુભવતા હોય તેવું પ્રાથમિક રીતે લોકોનું કહેવું છે. ઘટના જાણ થતા જ તેમના સંબંધીઓ તાત્કાલિક દોડી આવ્યા હતા. સુરત પોલીસે જણાવ્યું કે, હાલ અમારી તપાસ ચાલી રહી છે. અમને આપઘાત સ્થળથી એક ચિઠ્ઠી મળી આવી છે. જેમાં આર્થિક ભીંસમાં આવીને આપઘાત કર્યો હોય તેવુ લાગી રહ્યું છે. પરિવારના મોભી ફર્નિચર બનાવવાના કામ સાથે જોડાયેલા હતા. તેમના માથા પર દેવુ હતું, જેને કારણે આર્થિક ભીંસમાં આવી જતા તેમણે આપઘાત કરી લીધો હતો. છેલ્લા કેટલાક સમયથી રૂપિયાની ઉઘરાણી કરવામાં આવતી હતી. પરંતુ રૂપિયા ચૂકવવામાં અસક્ષમ પરિવારના મોભીએ આ પગલુ ભર્યુ હતું.

અલગ અલગ લોકો પાસેથી 1 કરોડથી વધુની રકમ લેવાની નીકળતી હતી
મનીષ સોલંકી મૂળ સુરેન્દ્રનગરના રહેવાસી હતો. પોતે આપઘાત કરી લેનાર મનીષ સોલંકીના પરિવારના સભ્યએ જણાવ્યું હતું કે તેમને અલગ અલગ લોકો પાસેથી 1 કરોડથી વધુની રકમ લેવાની નીકળતી હતી. પરંતુ લોકો તેમને રૂપિયા પરત આપતા ન હતા. જેથી રૂપિયા સલવાયા હોવાના કારણે પણ તેમણે આવું પગલું ભર્યું હોય તેવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે.

જીવતા પણ કોઈને હેરાન નથી કર્યા અને મર્યા પછી પણ કોઈને હેરાન નહિ કરીએ
મૃતક મનિષ સોલંકીએ આપઘાત નોટમાં એવું પણ લખ્યું કે જાણતા-અજાણતા કોઈ ભૂલચૂક થઈ હોય તો માફ કરજો, અમારી જાતિના જવાબદાર વ્યક્તિઓના નામ લખવા નથી. જવાબદાર લોકોને કુદરત જરૂરથી પરચો આપશે. કોઈના નામ લખવામાં અમને સંકોચ થશે. જીવતા પણ કોઈને હેરાન નથી કર્યા અને મર્યા પછી પણ કોઈને હેરાન નહીં કરીએ.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news