ગીરના 23 બબ્બર શેર જે કારણે મોતને ભેટ્યા, જાણો કેટલો ખતરનાક છે તે વાયરસ

ગીરના 23 બબ્બર શેર જે કારણે મોતને ભેટ્યા, જાણો કેટલો ખતરનાક છે તે વાયરસ

જેની ત્રાડની ગુંજ આખા વિશ્વમાં સંભળાતી હતી, તે એશિયાટીક સિંહો ખુદ ગીરમાં આજે શિકાર થઈ રહ્યાં છે. ઘાતક વાયરસને પગલે ગીરનો રાજા ખુદ દયનીય હાલતમાં ઉભો છે. ગુજરાત ટુરિઝમમાં જે ગીર દ્વારા ગુજરાતનું ભરપૂર માર્કેટિંગ કરાયું હતું, ત્યા સિંહોનો મૃત્યુઆંક 23 સુધી પહોંચી ગયો છે. ત્યારે ગુજરાત સરકાર તથા વનવિભાગ માટે આ શરમજનક સ્થિત કહી શકાય કે, તેઓ ગીરમાં તેઓ સિંહોને સાચવવામાં નિષ્ફળ રહ્યાં. અત્યાર સુધી સિંહોનો મૃત્યુઆંક 23 પર પહોંચી ગયો છે, જેથી કહી શકાય કે વન વિભાગ આ મામલે ઘોર અંધારામાં રહ્યું છે.  20 દિવસના ગાળામાં જ ટપોટપ 23 સિંહો મોતને ભેટ્યા છે. એક વાયરસને કારણે સિંહોના મોત થયા છે તેવી વાત સપાટી પર આવી ગઈ છે, તો હવે આ વાયરસ શું છે અને તે કેવી રીતે પ્રાણીઓને મોત આપે છે તેની વિગત જાણવા જેવી છે.

શું છે સીડીસી વાઈરસ
સીડીસી એટલે કેનાઈન ડિસ્ટેમ્પર વાયરસ. આ જીવલેણ વાયરસ કૂતરા અને મવેશીઓમાંથી જંગલી પ્રાણીઓમાં ફેલાય છે. આ વાયરસ એટલો ખતરનાક છે કે, 1994માં તાન્ઝાનિયાના સેરેંગેટી રિઝર્વમાં આ વાયરસના શિકારથી 100 સિંહોના મોત થયા હતા. જેને પગલે આખી દુનિયા હચમચી ગઈ હતી. સિંહ કે વાઘ જંગલમાં કૂતરાનો શિકાર કરે તો તેઓ આ વાયરસના સંક્રમણમાં આવે છે. કૂતરા દીપડાનો આહાર છે અને દીપડા અને સિંહ-વાઘ શિકારમાં આમનેસામને થાય તો સિંહ-વાઘ દીપડાને મારે છે. આવામાં તે સંક્રમણ થઈ જાય છે. તેની સારવાર પણ બહુ જ મુશ્કેલ છે. કેમ કે તે સીધા જ નર્વસ સિસ્ટમ પર અસર કરે છે. ગીરમાં મરનારા 23માંથી 6 સિંહોના મોત પ્રોટઓજા ઈન્ફેક્શનથી થયા હોવાનું પણ કહેવાય છે. આ એ જ ઈન્ફેક્શન છે, જે કૂતરાઓના શરીરમાં મળતા કીડાઓમાંથી જંગલી પ્રાણીઓમાં ફેલાય છે. પહેલા આ વાયરસની કોઈ સારવાર ન હતી, પણ બાદમાં તેની વેક્સીન શોધાઈ હતી. 

vlcsnap-2018-10-03-11h43m13s099.png

કેવી રીતે અસર કરે છે આ વાયરસ
આ બીમારીથી ગ્રસ્ત પ્રાણીઓનું બચવુ બહુ જ મુશ્કેલ હોય છે. કેનાઈન ફેમિલીમાં સામેલ રકૂન, શિયાળમાં પણ આ બીમારીના લક્ષણો જોવા મળે છે. શરૂઆતમાં આ વાયરસ કૂતરાના ટોન્સલ, લિંફ પર હુમલો કરે છે. બીમારીના લક્ષણ આ વાયરસથી ગ્રસિત હોવાના અંદાજે એક સપ્તાહમાં સામે આવવા લાગે છે. જેના બાદ આ બીમારી કૂતરાની શ્વાસ નળી, કિડની અને લિવર પર હુમલો બોલાવે છે. થોડા દિવસો બાદ વાયરસ મગજ તંત્રિકાઓ સુધી પહોંચી જાય છે અને કૂતરાનું મોત થઈ જાય છે. કૂતરાને હાઈ ફીવર, લાલ આંખ, નાક તથા કાન પાસેથી પાણી વહેવુ એ આ બીમારીના મુખ્ય લક્ષણ છે. આ ઉપરાંત તેને કફ, ઉલટી અને ડાયેરિયા પણ થઈ શકે છે. આ બીમારીને કારણે કૂતરાઓ સુસ્ત અને ઢીલા થઈ જાય છે. આ બીમારી ખરાબ વેક્સીનથી પણ ફેલાઈ શકે છે. જોકે, આવા કિસ્સા બહુ જ રેર હોય છે. બેક્ટેરીયા ઈન્ફેક્શનથી આ બીમારી ફેલાવાનો ખતરો રહે છે. આ વાયરસ બાયોમેડિકલ ટેસ્ટ અને કૂતરાના યુરિન ટેસ્ટથી ચકાસી શકાય છે. 

વનવિભાગ ઊંઘતું ઝડપાયું 
જે વિસ્તારમાં સિંહોને આ વાયરસ લાગ્યો છે તેનું નામ ઢાંકલિયા છે. સિંહોના મોત બાદ અત્યાર સુધી ઊંઘતા ઝડપાયેલું વન વિભાગ હવે હરકતમાં આવી ગયું છે. બીમાર સિંહોને શોધી કાઢવા માટે તપાસ ચાલી રહી છે. 26 સિંહોને બચાવવાના હેતુથી તેમને ગીર પૂર્વથી પશ્ચિમમાં એક સ્થળે મોકલી દેવાયા છે. હાલ જામવાળા એનિમલ કેર સેન્ટરમાં નજરહેઠળ કુલ 27 સિંહોને રાખવામાં આવ્યા છે. જેને પગલે હવે આ સેન્ટર પર હાઉસફુલ થઈ ગયું છે. તેથી હવે ગીરમાંથી જે સિંહોને લાવવામાં આવશે તેમણે સાસણ લઈ જવાશે. આ મામલે ભારત સરકારની પણ મદદ લેવાઈ છે. પૂણેની નેશનલ લેબની મદદથી સમગ્ર ટેસ્ટીંગ કરાયું છે. હજી પણ 3 સિંહો આ બીમારી સામે ઝઝૂમી રહ્યાં છે. જોકે, આ બધુ તો પૂર બાદની સ્થિતિ છે, વનવિભાગે જો પાણી પહેલા જ પાળ બાંધી દીધી હતો, તો સિંહોનો મૃત્યુઆંક 23 સુધી પહોંચ્યો જ ન હોત. તો ગીરનું જંગલ 23 સિંહોના મોતનું સ્મશાન બન્યું ન હોત. વનવિભાગે જો અન્ય પ્રાણીઓને પણ ચકાસણી કરી હતી, તો કૂતરાઓમાં રહેલા આ વાયરસ વિશેની માહિતી સામે આવી શકી હોત. આ બીમારી ફેલાવા માટે જવાબદાર કૂતરાઓ સામે શું કામગીરી કરી છે તે હજી સામે આવ્યુ નથી. 

657936-lionsasiatic-030618.jpg

સિંહો પર રાજનીતિ
સિંહોનો મોતનો આંકડો દિવસેને દિવસે વધી રહ્યો છે ત્યાં ભાજપ અને કોંગ્રેસ આ મામલે રાજકારણ રમી રહ્યું છે. એકબાજુ કોંગ્રેસ આક્ષેપ કર્યો છે કે, સરકાર મોતના સાચા આંકડા આપી નથી રહ્યું. સરકાર આ મામલે લાપરવાહી બતાવી રહી છે. તો બીજી તરફ ગુજરાત સરકાર સબ સલામતીના બણગા ફૂંકીને કહી રહ્યું છે કે, ગીર રેન્જમાં તમામ સિંહોની કાળજી લેવામાં આવી રહી છે. પૂણે અને અન્ય જગ્યાઓથી નિષ્ણાતોની ટીમ બનાવાઈ છે. સિંહની ચકાસણી કરવામાં આવી રહી છે. અમેરિકાથી વેક્સીન પણ મંગાવાઈ છે. જેમાં 31 સિંહોનું રસીકરણ કરવામાં આવશે.

પહેલા પણ મળી હતી ચેતવણી
અગાઉ 2011માં આ વાયરસ અંગે સચેત કરાયા હતા, જ્યારે પશુ રોગ અનુસંધાન અને નિદાન કેન્દ્ર (સીએડીઆરએડી), બેંગલુરુ અને ભારતીય પશુ ચિકિત્સા અનુસંધાન સંસ્થાન (આઈવીઆરઆઈ), ઉત્તરાખંડે 2007માં માર્યા ગયેલ એક વાઘના મોત બાદ વિશ્લેષણ કરાયું હતું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news