કર્ણાટકઃ મંદિરનો પ્રસાદ ખાધા પછી 11નાં મોત અને 80 લોકો હોસ્પિટલમાં

કર્ણાટકના ચામરાજનગર જિલ્લાના સુલિવાદી ગામમાં આ ઘટના સર્જાઈ છે, દાખલ કરાયેલા લોકોમાંથી 12ની હાલ ગંભીર હવાનું જાણવા મળ્યું છે 

કર્ણાટકઃ મંદિરનો પ્રસાદ ખાધા પછી 11નાં મોત અને 80 લોકો હોસ્પિટલમાં

બેંગલુરુઃ કર્ણાટકના ચામરાજનાર જિલ્લાના સુલિવાદી ગામમાં એક મંદિરમાં પ્રસાદ આરોગ્ય બાદ બે બાળકો સહિત ઓછામાં ઓછા 11 લોકોનાં મોત થયા છે અને લગભગ 80 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હોસ્પિટલમાં દાખલ કરાયેલા લોકોમાંથી 12ની હાલત ગંભીર હોવાનું હોસ્પિટલના સૂત્રોએ જણાવ્યું છે. 

પોલીસ પાસેથી મળેલી પ્રાથમિક માહિતી અનુસાર જેમની હાલત ગંભીર છે તેમને ઈલાજ માટે તાત્કાલિક મૈસુર ખસેડવામાં આવ્યા છે. મૃતકોમાં ગોપીયમ્મા(55), પપ્પન્ના(50), શાંતા (20), અનીતા(14) અને અનિલ(12)નો સમાવેશ થાય છે. 

જિલ્લા આરોગ્ય અધિકારી પ્રસાદે જણાવ્યું કે, પ્રસાદમાં ઝેર ભળી ગયું હોવાની આશંકા છે, જેના કારણે આ દુઃખદાયક ઘટના ઘટી છે. તેમણે પત્રકારોને જણાવ્યું કે, "અમે પ્રસાદના નમૂના લીધા છે અને તપાસ માટે લેબોરેટરીમાં મોકલી અપાયા છે."

પોલીસે જણાવ્યું કે, ગુરુવાની સવારે મરમ્મા મંદિરનો પાયો નાખવામાં આવી રહ્યો હતો. આ પ્રસંગે મંદિર પ્રશાસન તરફથી લોકોને પ્રસાદ વહેંચવામાં આવ્યો હતો. આ પ્રસાદ આરોગ્ય બાદ લોકોને ઉલટી થવાની સાથે જ પેટમાં દુખાવો શરૂ થઈ ગયો હતો. ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ લોકોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઈલાજ દરમિયાન 5 લોકોનાં મોત થઈ ગયા હતા અને ત્યાર બાદ અન્ય 6 લોકોનાં પણ મૃત્યુ થયા હતા. 

ઘટના અંગે ખેદ વ્યક્ત કરતાં મુખ્યમંત્રી એચ.ડી. કુમારસ્વામીએ અધિકારીઓને જણાવ્યું કે, પીડિતોના ઈલાજ માટે યોગ્ય વ્યવસ્થા કરવા માટે સ્થાનિક તંત્રને સુચના આપી દેવાઈ છે. કેટલાક પીડિતોએ જણાવ્યું કે, પ્રસાદમાં કેરોસિનની ગંધ આવતી હોવાની જાણ કરવામાં આવી હતી, પરંતુ મંદિરના વહિવટકર્તાઓએ એ તરફ ધ્યાન આપ્યું ન હતું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news