લોકસભા ચૂંટણી 2019: જૂઓ કયા જાણીતા ચહેરા આ ચૂંટણીમાં જોવા નહીં મળે

લોકસભા ચૂંટણી 2019 અનેક દૃષ્ટિએ અનોખી બની રહી છે. આ વખતે દેશમાં પ્રથમ વખત વોટ આપનારા યુવાનોની સંખ્યા સૌથી વધુ છે. રાજકીય ફલક પર પણ અનેક નવી-નવી અનપેક્ષિત ઘટનાઓ જોવા મળી રહી છે. સૌથી મોટી ઘટના આ વખતે વરિષ્ઠ રાજકારણીઓને ચૂંટણી જંગ લડવામાંથી આપવામાં આવેલી વિદાય છે. 

ઝી ડિજિટલ ડેસ્ક/ અમદાવાદઃ આ વખતની લોકસભા ચૂંટણીમાં અનેક વરિષ્ઠ નેતાઓને વિદાય આપવામાં આવી છે. આ નેતાઓ એવા છે કે જે એક સમયે જે-તે પાર્ટીનો પ્રમુખ ચહેરો હતા અને પાર્ટી તેમના ચહેરાથી જ ઓળખાતી હતી. ખાસ તો ભારતીય જનતા પાર્ટીમાં 75 વર્ષથી મોટી ઉંમરના નેતાઓને ચૂંટણી લડવા ન દેવાનો નિર્ણય લેવાયા પછી અનેક જાણીતા ચહેરાની વિદાય જોવા મળી છે. જેમાં ભારતીય જનતા પાર્ટીના સંસ્થાપક અને સૌથી વરિષ્ઠ નેતા એવા લાલકૃષ્ણ અડવાણી તથા મુરલી મનોહર જોશીનું નામ છે. આ ઉપરાંત અનેક નેતાઓએ ચૂંટણી લડવાની સામેથી જ ના પાડી દીધી છે. આવો, આવા જ કેટલાક નેતાઓ અને તેમની કારકિર્દી પર નજર દોડાવીએ. 

લાલકૃષ્ણ અડવાણીને લોકસભાની ટિકિટ ન અપાઈ

1/7
image

ભારતીય જનતા પાર્ટીમાં સૌથી લાંબા સમય સુધી અધ્યક્ષ પદે રહેલા એલ.કે. અડવાણીએ પાર્ટીના ઉદયમાં સૌથી મહત્વનો ભાગ ભજવ્યો છે. તેમને આ વખતે લોકસભા ચૂંટણી લડવા માટે ટિકિટ અપાઈ નથી. 91 વર્ષના એલ.કે. અડવાણીએ લોકસભામાં 2 સભ્યો ધરાવતી પાર્ટીને સત્તા સુધી પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. તેઓ 1998થી લોકસભા ગુજરાતની રાજધાની ગાંધીનગરથી લોકસભા ચૂંટણી લડતા આવ્યા છે. આ વખતે તેમને ટિકિટ નહીં આપીને પાર્ટીના વર્તમાન અધ્યક્ષ અમિત શાહ ગાંધીનગર ખાતેથી ચૂંટણી લડી રહ્યા છે. રસપ્રદ બાબત એ છે કે, એક સમયે અડવાણીની ગાંધીનગરની ચૂંટણીની જવાબદારી અમિત શાહના શીરે રહેતી હતી. 

સુષમા સ્વરાજે 2018માં જ ચૂંટણી લડવાની ના પાડી દીધી હતી

2/7
image

વર્તમાન સરકારમાં વિદેશ મંત્રીનું પદ ભોગવી રહેલા અને એક સફળ વિદેશ મંત્રી તરીકે સાબિત થયેલા સુષમા સ્વરાજે લોકસભા ચૂંટણીની જાહેરાત થાય તે પહેલાં જ નવેમ્બર, 2018માં જાહેરાત કરી દીધી હતી કે તેઓ આગામી 2019ની લોકસભા ચૂંટણી નહીં લડે. સુષમાએ જણાવ્યું હતું કે, "મેં આગામી લોકસભા ચૂંટણી ન લડવાનું મન બનાવી લીધું છે. મારા સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો છે." ઉલ્લેખનીય છે કે, ભારતીય જનતા પાર્ટીના સિનિયર નેતાઓમાંના એક એવા 66 વર્ષના સુષમા સ્વરાજે 2016માં કિડની ટ્રાન્સપ્લાન્ટની પ્રક્રિયામાંથી પસાર થવું પડ્યું હતું. 

મુરલી મનોહર જોશી પણ 2019ની લોકસભા ચૂંટણીની રેસમાં નથી

3/7
image

ભારતીય જનતા પાર્ટી દ્વારા 75 વર્ષથી મોટી ઉંમરના નેતાઓને ચૂંટણી માટેની ટિકિટ ન આપવાનો નિર્ણય લેવાયો હતો. આથા, પાર્ટીના સંસ્થાપક અને ભૂતપૂર્વ અધ્યક્ષ એવા મુરલી મનોહર જોશીને પણ આ વખતે ટિકિટ અપાઈ નથી. 85 વર્ષના મુરલી મનોહર જોશીએ 2014માં કાનપુર ખાતેથી લોકસભા ચૂંટણી લડી હતી અને તેમણે વડાપ્રધાન મોદી માટે 2014માં વારાણસીની બેઠક ખાલી કરી હતી. 

બી.સી. ખંડૂરી પણ લોકસભા ચૂંટણી નથી લડી રહ્યા

4/7
image

મધ્યપ્રદેશના પોરીથી સાંસદ એવા ભૂવન ચંદ્ર ખંડૂરીએ પણ આરોગ્યની સ્થિતિને ધ્યાનમાં રાખીને 2019ની લોકસભા ચૂંટણી ન લડવાની જાહેરાત કરવામાં આવી હતી. 

ઉમા ભારતીએ પણ અગાઉથી કરી હતી જાહેરાત

5/7
image

ભારતીય જનતા પાર્ટીના એક સમયના ફાયર બ્રાન્ડ નેતા એવા ઉમા ભારતીએ પણ 2018માં જ જાહેરાત કરી દીધી હતી કે તેઓ આગામી 2019ની લોકસભાની ચૂંટણી નહીં લડે. તેમણે પણ ચૂંટણી ન લડવા પાછળનું કારણ તબિયતને જણાવ્યું છે. ઉમા ભારતીએ જણાવ્યું હતું કે, "હું મારો વધુને વધુ સમય ગંગા નદીના સ્વચ્છતા અભિયાન પાછળ ગાળવા માગું છું. જોકે, લોકસભા ચૂંટણીના પ્રચાર માટે હું ઉપલબ્ધ રહીશ અને ભાજપ દ્વારા જે કોઈ જવાબદારી સોંપવામાં આવશે તે કરતી રહીશ."  

સુમિત્રા મહાજને પણ સ્વેચ્છાએ ના પાડી

6/7
image

મધ્યપ્રદેશના ઈન્દોરમાંથી સળંગ 8 વખતથી સાંસદ તરીકે ચૂંટાતા રહેલા સુમિત્રા મહાજને જ્યારે ભાજપ દ્વારા ઇન્દોરના ઉમેદવાર તરીકે તેમના નામની જાહેરાત કરવામાં સમય લેવામાં આવ્યો ત્યારે તેમણે પણ જાહેરાત કરી કે, તેઓ હવે ચૂંટણી લડવા માગતા નથી. ભાજપે 75 વર્ષથી મોટી ઉંમરના નેતાઓને ચૂંટણીની ટિકિટ ન આપવાનો નિર્ણય લીધો હોવાને કારણે 76 વર્ષના સુમિત્રા મહાજનને એ ચિંતા હતી કે પાર્ટી તેમને ટિકિટ આપશે કે નહીં આપે. પાર્ટી દ્વારા પણ આ બેઠક માટે યોગ્ય સમય સુધીમાં ઉમેદવારની જાહેરાત કરવામાં ન આવતાં અને તેમનો કોઈ પણ પ્રકારનો સંપર્ક કરવામાં ન આવતા તેમણે સ્વેચ્છાએ ચૂંટણી ન લડવાની જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું કે, "પાર્ટીમાં અસમંજસની સ્થિતી હતી. આથી પાર્ટી તેમની મરજીનો ઉમેદવાર પસંદ કરી શકે તેના માટે હું સ્વેચ્છાએ આગામી લોકસભા ચૂંટણી ન લડવાની જાહેરાત કરું છું."

ભારતીય રાજકારણના ખેલાડી શરદ પવાર પણ નથી લડી રહ્યા ચૂંટણી

7/7
image

નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી(NCP)ના સ્થાપક અને અધ્યક્ષ એવા શરદ પવારે પણ માર્ચ, 2019માં જાહેરાત કરી દીધી હતી કે તેઓ આગામી લોકસભા ચૂંટણી નહીં લડે. 78 વર્ષના ભારતીય રાજકારણના અઠંગ ખેલાડી એવા શરદ પવારે કહ્યું હતું કે, "હું 14 વખત ચૂંટણી જીતી ચૂક્યો છું, આથી હવે આ વખતે મેં ચૂંટણી ન લડવાનો નિર્ણય લીધો છે. પરિવારમાં બે લોકો ચૂંટણી લડતા હોય ત્યારે એક વ્યક્તિએ બેસી જવું જોઈએ અને આથી મેં નિર્ણય લીધો છે કે હવે યુવાનોને તક આપવી જોઈએ. મને લાગે છે કે, ચૂંટણી ન લડવાનો નિર્ણય લેવાનો આ સાચો સમય છે." જોકે, આ અગાઉ તેમણે એવી જાહેરાત કરી હતી કે તેઓ મહારાષ્ટ્રની માધા બેઠક પરથી ચૂંટણી લડશે.