Farmers of Gujarat: ગુજરાતના ખેડૂતો માટે ખુશખબર...સરકાર દ્વારા હાથ ધરાયેલાં પાક નુકસાનીના સરવેનું કામ તેજ ગતિએ વધી રહ્યું છે આગળ. અત્યાર સુધીમાં ઘણાં બધા જિલ્લાઓમાં થઈ ચુક્યો છે પાક નુકસાનીનો સરવે. પાક નુકસાનીના સરવે બાદ હવે જ્યા જ્યા વધારે નુકસાની છે ત્યાં તે જિલ્લાઓમાં તે વિસ્તારોમાં તે ખેડૂતોને સરકાર કરશે આર્થિક મદદ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રાપ્ત માહિતી મુજબ 9 જિલ્લામાં અંદાજે 4 લાખ હેક્ટરમાં પાક નુકસાની સરવે પૂરો કરી દેવામાં આવ્યો છે. મહત્ત્વનું છેકે, જિલ્લામાં ભારે વરસાદને કારણે ખેતી પાકને નુકસાન થયું હતું, નવ જિલ્લામાં આશરે ચાર લાખ હેક્ટર વિસ્તારમાં સર્વેની કામગીરી પૂરી કરાઈ છે અને એસડીઆરએફના ધારા-ધોરણો પ્રમાણે સહાય ચૂકવવા માટે દરખાસ્ત કરાશે, એકંદરે કેટલી સહાય ચુકવાશે તે વિશે મોટે ભાગે રાજ્ય સરકાર આગામી વિધાનસભાના ચોમાસુ સત્રમાં જાહેર કરશે, તેમ રાજ્યના કૃષિ વિભાગના સૂત્રો કહે છે. 


ગુજરાતમાં પાક નુકસાનીના સરવે માટે તંત્રની ૧૭૧ જેટલી ટીમો કામે લાગી હતી. સરકારને આ સરવે પૂર્ણ કરવામાં ૧૫થી ૨૦ દિવસનો સમય ગાળો લાગ્યો છે. દરમિયાન તુવેર અને અડદનો જથ્થો ડાયનેમિક પ્રાઈઝથી ખરીદવાનો સરકારે નિર્ણય કર્યો છે, એપીએમસીના મહત્તમ અને મોડલ બજાર ભાવ આધારિત ડાયનેમિક પ્રાઈઝથી જથ્થાની ખરીદી થતાં ખેડૂતોને લાભ થશે. 


આ લાભ માટે ખેડૂતોએ નાફેડના ઈ-સમૃદ્ધિ પોર્ટલ પર આગોતરી નોંધણી કરાવવાની રહેશે, જેની નોંધણી શરૂ થઈ છે. ઈ-સમૃદ્ધિ પોર્ટલ પર નોંધાયેલા ખેડૂતો પાસેથી કેન્દ્ર સરકારની નોડલ એજન્સી નાફેડ મારફત તુવેર અને અડદની સીધી ખરીદી કરાશે અને તેનું ચુકવણું ડીબીટીના માધ્યમથી સીધું ખેડૂતોના બેંક એકાઉન્ટમાં કરવામાં આવશે.