8th Pay Commission: નાણામંત્રી નિર્મલા સીતારમણ 23મી જુલાઈના રોજ કેન્દ્રીય બજેટ 2024-25 રજૂ કરશે. બજેટ પહેલા કેન્દ્રીય કર્મચારીઓએ પોતાની માંગણી બજેટમાં રજૂ કરી છે. કર્મચારીઓની જે મુખ્ય માંગણીઓ છે તેમાંની એક આઠમા પગાર પંચ વિશે છે. મીડિયા રિપોર્ટ મુજબ આ અગાઉ 6 જુલાઈના રોજ કેબિનેટ સચિવને લખાયલા એક પત્રમાં કેન્દ્રીય કર્મચારીઓ અને શ્રમિકોના કન્ફેડરેશને બજેટ 2024 પહેલા પોતાની માંગણી રજૂ કરી  છે. આ સાથે જ કર્મચારીઓના યુનિયને 8માં પગાર પંચની રચના માટે પ્રપોઝલ પણ સરકારને આપ્યું છે. એવી આશા છે કે ત્રીજીવાર સત્તામાં આવેલી મોદી સરકાર બજેટમાં આઠમાં પગાર પંચની રચનાની જાહેરાત કરી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બજેટ 2024-25માં સરકારી કર્મચારીઓ માટે એક મહત્વપૂર્ણ જાહેરાત થઈ શકે છે. કેન્દ્ર સરકારને 8માં પગાર પંચ અંગે પ્રસ્તાવ મળ્યો છે. જેની રચનાથી સરકારી કર્મચારીઓ અને પેન્શનર્સની હાલની સેલરી, ભથ્થા, અને અન્ય લાભોની સમીક્ષા થઈ શકશે. આ પ્રસ્તાવને પીએમ મોદીની સરકારને મોકલવામાં આવ્યો છે. જેથી કરીને તેને આવનારા બજેટમાં સામેલ કરી શકાય. 


8માં પગાર પંચનો પ્રસ્તાવ
રાષ્ટ્રીય પરિષદ કર્મચારી કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સંયુક્ત સલાહકાર મશીનરીના સચિવ શિવ ગોપાલ મિશ્રાએ કેબિનેટ સચિવને પત્ર લખીને 8માં પગાર પંચની રચનાની માંગણી કરી છે. દર 10 વર્ષે નવા કેન્દ્રીય પગાર પંચની રચના થાય છે. જે સરકારી કર્મચારીઓની સેલરી સ્ટ્રક્ચર, ભથ્થા અને અન્ય લાભોની સમીક્ષા કરે છે અને મોંઘવારીના આધારે જરૂરી ફેરફારના સૂચનો આપે છે. 


અગાઉનું પગાર પંચ
છેલ્લે આવેલું સાતમું પગાર પંચ પૂર્વ પીએમ મનમોહન સિંહ દ્વારા 28 ફેબ્રુઆરી 2014ના રોજ રચવામાં આવ્યું હતું. તેની ભલામણો 1 જાન્યુઆરી 2016થી લાગૂ થઈ. હાલની સરકારના કાર્યકાળમાં આ પહેલીવાર બનશે કે જ્યારે કોઈ નવા પગાર પંચની રચના કરવામાં આવશે. સામાન્ય રીતે દસ વર્ષના સમયગાળા મુજબ 8મું પગાર પંચ 1 જાન્યુઆરી 2026થી શરૂ કરવા અંગેનો પ્રસ્તાવ છે. જો કે હજુ સુધી સરકારે તેની કોઈ જ ઔપચારિક જાહેરાત કરી નથી. 


થઈ શકે જાહેરાત
8માં પગાર પંચની રચનાથી કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનર્સને પોતાના પગાર, ભથ્થા અને પેન્શનમાં સંભવિત વધારાનો લાભ મળી શકે છે. તેનાથી તેમની ખરીદશક્તિ વધશે. તેનાથી જીવનસ્તર સારું થશે. મોદી સરકારે એ નક્કી કરવું પડશે કે પગાર પંચની રચના સમયસર થાય અને તેની ભલામણો સરકારી કર્મચારીઓ અને પેન્શનર્સના હિતમાં હોય. બજેટ 2024-25માં આ પ્રસ્તાવ સામેલ થવાથી સરકારી કર્મચારીઓમાં પોઝિટિવ સંદેશો જઈ શકે છે અને પગાર પંચના પ્રસ્તાવિત ફેરફારોનો ફાયદો તેમને સમયસર મળી શકશે. બજેટ 2024-25માં 8માં પગાર પંચની જાહેરાતથી સરકારી કર્મચારીઓ અને પેન્શનર્સના જીવનમાં સકારાત્મક ફેરફારની આશા સેવાઈ રહી છે.