નવી દિલ્હી : જો તમારી પાસે વીઝા, માસ્ટર કાર્ડ અને અમેરિકન એક્સપ્રેસનું ડેબિટ કાર્ડ અથવા એટીએમ (ATM) કાર્ડ છે, તો તે 15 ઓક્ટોબર બાદ કામ કરવાનું બંધ કરી શકે છે. તેનું કારણ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા(RBI)નો એ નિયમ છે, જે અંતર્ગત યુઝર્સનો ડેટા વિશેષ રૂપે ભારતમાં જ સ્ટોર કરવો જરૂરી બનાવવામાં આવી રહ્યો છે. પરંતુ વીઝા અને માસ્ટરકાર્ડ સહિત 16 પેમેન્ટ કંપનીઓ તેને માની નથી રહી. તેમનો તર્ક છે કે, લોકલ ડેટા સ્ટોરેજથી તેમનો ખર્ચ ઘણો વધી રહ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


62 કંપનીઓએ આરબીઆઈના નિયમોને માન્યા
આરબીઆઈના નિયમ અંતર્ગત દરેક પેમેન્ટ કંપનીને પેમેન્ટ સિસ્ટમ સાથે જોડાયેલ ડેટાનું લોકલ સ્ટોરેજ કરવું જરૂરી છે. જે 16 ઓક્ટોબરથી અસરકારક નીવડશે. ભારતમાં આવી 78 પેમેન્ટ કંપનીઓ કામ કરી રહી છે, જેમાં 62એ આરબીઆઈના નિયમોને માની લીધા છે. જેમાં એમેઝોન, વોટ્સએપ અને અલીબાબા જેવી ઈ-કોમર્સ કંપનીઓ સામેલ છે. 


આરબીઆઈ વધુ સમય આપવાના મૂડમાં નથી
જે 16 કંપનીઓએ આરબીઆઈના નિયમોને માન્યા નથી, તેમનું કહેવું છે કે ભારતમાં ડેટા સ્ટોરેજ સિસ્ટમથી ન માત્ર ખર્ચ વધશે, પરંતુ ડેટાની સુરક્ષાને લઈને પણ સવાલો ઉભા થશે. તેમણે આરબીઆઈ પાસેથી આ સમયમર્યાદા વધારવાની માંગ કરી છે. મોટી અને વિદેશી પેમેન્ટ કંપનીઓએ ફાઈનાન્સ મંત્રાલયને આ મામલે હસ્તક્ષેપ કરવાનું કહ્યું છે. બિઝનેસ સ્ટાન્ડર્ડના સમાચાર મુજબ, આરબીઆઈ આ કંપનીઓને વધુ સમય આપવાના મૂડમાં નથી. આ કંપનીઓને પહેલા જ 6 મહિનાનો વધારાનો સમય આપી દેવામાં આવ્યો છે.



સરકારે બનાવી હતી સમિતિ
રિટાયર્ડ ન્યાયાધીશ બી.એન શ્રીકૃષ્ણની અધ્યક્ષતામાં એક ઉચ્ચ સ્તરીય સમિતિની અરજી પર સરકારે અંગત ડેટા સુરક્ષા ધારા અંગે જન-વિચારો માંગ્યા હતા. આ સૂચનો માંગવાની છેલ્લી તારીખ પહેલા 10 સપ્ટેમ્બર નક્કી કરાઈ હતી, પરંતુ બાદમાં તેને વધારીને 30 સપ્ટેમ્બર, 2018 કરાઈ હતી. ડેટા સુરક્ષા પર સમિતિએ પોતાની રિપોર્ટ જુલાઈમાં કેન્દ્ર સરકારને સોંપી હતી. 



ડેટા, લોકલાઈઝેશનથી અર્થવ્યવસ્થા પર પડશે મોટી અસર
જોકે, વિચાર મંચ બ્રાન્ડબેન્ડ ઈન્ડિયા ફોરમ (બીઆઈએફ)નું કહેવું છે કે, ડેટા લોકલાઈઝેશન જરૂરી કરવાથી દેશના આર્થિક વિકાસ દર પર અસર પડી શકે છે. તેથી સરકારે તેમાં ઉદારતાનું વલણ દાખવવું જોઈએ. બીઆઈએફના અનુસાર, ડેટા લોકલાઈઝેશનથી ખર્ચનો બોજો વધી જશે. જેનાથી અર્થવ્યવસ્થા પર અસર પડી શકે છે. વિચાર મંચે કહ્યું કે, બીઆઈએફ સરકાર પાસેથી ડેટા સુરક્ષાના અંતિમ ધારામાં વધુ ઉદારતાનું વલણ દર્શાવવા પર વિચાર કરવાની માંગ કરે છે.