અમેઝોને કર્મચારીનો આપી જબરદસ્ત રાહત, આવો ફાયદો નથી આપતી મોટાભાગની કંપનીઓ
અમેઝોન ઇન્ડિયાના કન્ટ્રી મેનેજર અમિત અગ્રવાલે પોતાના પ્રસ્તાવમાં આ જાહેરાત કરી છે
નવી દિલ્હી : ઓફિસનું નામ પડતા જ મનમાં માનસિક દબાણની સ્થિતિ આવી જાય છે. ઘણી જગ્યાએ તો કામનું દબાણ એટલું બધું હોય છે કે મોડીરાત સુધી કામ કરવું પડે છે અને નિંદર પુરી ન થાય તો પણ બીજા દિવસે ઓફિસ વહેલા પહોંચવું પડે છે. આ સંજોગોમાં દિનચર્યા ભારે તણાવવાળી થઈ જાય છે. જોકે અમેઝોન ઇન્ડિયાએ પોતાના કર્મચારીઓ માટે મોટી રાહતની જાહેરાત કરી છે.
અમેઝોન ઇન્ડિયાના કન્ટ્રી મેનેજરે પોતાના કર્મચારીઓને મોકલેલા ઓફિશિયલ મેઇલમાં જણાવ્યું છે કે કર્મચારીઓએ સાંજના છ વાગ્યાથી સવારના આઠ વાગ્યા સુધી ઓફિસનું કોઈ કામ કરવાની કે પછી કોઈ ઇ-મેઇલનો જવાબ આપવાની જરૂરી નથી. આ સમય દરમિયાન કામ ન કરો. તમે આરામ કરી શકો છો અથવા તો તમારી પર્સનલ પ્રવૃત્તિઓને સમય આપી શકો છો.
બ્લુમબર્ગના સમાચાર પ્રમાણે અમેઝોન ઇન્ડિયાના કન્ટ્રી મેન અમિત અગ્રવાલે પોતાના પ્રસ્તાવમાં કહ્યું છે કે -લોગ ઓફ, ગેટ અ લાઇફ. અમિત અગ્રવાલે કહ્યું છે કે કામકાજ અને અંગત જીવન વચ્ચે તાલમેલ બેસાડવો જરૂરી છે. તેમણે ઇ-મેઇલમાં કામના સમયે અનુશાસનની પણ વાત કરી છે. હાલમાં અમેઝોનના આ વિચારની સોશિયલ મીડિયા અને વોટ્સએપ ગ્રુપ પર પણ જોરદાર ચર્ચા છે.
અમેઝોન ઇંક માટે 130 કરોડની વસતી વાળો દેશ એક મોટું રણક્ષેત્ર બની ચૂક્યો છે. કંપનીએ અહીં પોતાનું નેટવર્ક મજબૂત કરવા માટે 5.5 અરબ ડોલરનું રોકાણ કરવાની તૈયારી બતાવી છે. હાલમાં અમેઝોન ભારતની સૌથી મોટી ઇ-કોમર્સ કંપની ફ્લિપકાર્ટ ખરીદવામાં વોલમાર્ટથી પાછળ રહી ગઈ હતી.