નવી દિલ્હી: જેટ એરવેઝના મુસાફરો માટે ખરાબ સમાચાર છે. એરલાઈનમાં પગાર કપાત અને વિભિન્ન વિભાગોમાં છટણીની આશંકાને લઈને જેટ એરવેઝના પાયલટ અને મેનેજમેન્ટ વચ્ચે વિવાદ વધી ગયો છે. જેટ એરવેઝે કર્મચારીઓને કહ્યું છે કે તેમના માટે કંપની બે મહિનાથી વધુ ચલાવવી શક્ય નથી. પાયલટ સમુદાયમાં હાજર સૂત્રોએ આ જાણકારી આપી. જો કે જેટ એરેવેઝે 60 દિવસથી વધુ એરલાઈનનું કામકાજ ચાલુ ન રહેવાના અહેવાલોને 'ખોટા અને દુર્ભાવનાપૂર્ણ' ગણાવ્યાં અને ભાગીદારી વેચવાના અહેવાલોને પણ ફગાવ્યાં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એરલાઈનમાં છે 16,000થી વધુ કર્મચારીઓ
સૂત્રોના જણાવ્યાં મુજબ જેટ એરવેઝે કર્મચારીઓને જણાવ્યું કે કેપ્ટન માટે એક વર્ષનો નોટિસ પીરિયડ પણ ખતમ કરી નાખવામાં આવશે. હાલમાં જેટ એરવેઝમાં 16,000થી વધુ કર્મચારી છે. કંપનીએ કહ્યું કે તેઓ ખર્ચ ઓછો રકવા માટે જરૂરી પગલા લઈ રહ્યાં છે. 


નરેશ ગોયલ સાથે થઈ હતી બેઠક
પાયલટ સમૂદાયના સૂત્રોએ જણાવ્યું કે આ અઠવાડિયાની શરૂઆતમાં કંપનીના ટોચના મેનેજમેન્ટ સાથે પાઈલટ સહિત અન્ય કર્મચારીઓની બેઠક થઈ હતી. જેમાં જણાવવામાં આવ્યું હતું કે જેટ એરવેઝની નાણાકીય હાલાત ખરાબ છે અને ખર્ચ ઓછો કરવા માટે તેમનો સહયોગ માંગવામાં આવ્યો છે. પ્રસ્તાવિત પગલાંમાં વેતન કપાત પણ સામેલ છે. આ બેઠકમાં જેટ એરવેઝના ચેરમેન નરેશ ગોયલ, સીઈઓ વિનય દુબે અને ડેપ્યુટી સીઈઓ અમિત અગ્રવાલ સહિત અન્ય લોકો હાજર રહ્યાં હતાં. 


બસ 60 દિવસ ચાલી શકશે કંપની
સૂત્રોના જણાવ્યાં મુજબ મેનેજમેન્ટમાં કહેવાયું કે જો ખર્ચ ઓછી કરવા માટે પગલાં ન લેવામાં આવ્યાં તો કંપની પાસે 60 દિવસથી વધુ સમય સુધી પરિચાલન માટે પૈસા નથી. જેટ એરવેઝે મુંબઈ શેરબજારને જણાવ્યું કે ખર્ચને ઓછો કરવાની સાથે સાથે વધુ રેવન્યુ મેળવવા માટે કેટલાક પગલાં લેવામાં આવી રહ્યાં છે. જેટ એરવેઝે આ જાણકારી મુંબઈ શેરબજાર દ્વારા મીડિયામાં આવેલા અહેવાલો પર સ્પષ્ટીકરણના જવાબમાં આપી છે. અહેવાલોમાં કહેવાયું હતું કે કંપની માટે 60 દિવસથી વધુ પરિચાલન કરવું સંભવ નથી.