નવી દિલ્હી: ઈન્ટરગ્લોબ એવિએશનની એરલાઈન ઈન્ડિગોના બે વિમાનો પરસ્પર ટકરાતા બચી ગયા. બંને વિમાન વચ્ચે અંતર એટલુ ઓછુ હતું કે જો ટક્કર થાત તો વિમાનમાં બેઠેલા તમામ મુસાફરોના જીવ જોખમમાં મુકાઈ શકત. ફ્લાઈટ ગણતરીની પળોના અંતરે હવામાં ટકરાતા બચી ગઈ. કહેવાય છે કે આ ઘટના 10 જુલાઈની છે. બેંગ્લુરુ એરબેઝની ઉપર ઈન્ડિગોની બંને ફ્લાઈટ્સ સામે સામે આવી ગઈ હતી. જો કે પાઈલટની સૂઝબૂઝ અને ત્વરિત એક્શનના પગલે મોટી દુર્ઘટના ટળી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હૈદરાબાદ-કોચ્ચીની ફ્લાઈટ ટકરાતા બચી
કહેવાય છે કે 10 જુલાઈના રોજ બેંગ્લુરુ એરબેઝ પર ઉડાણ ભરી રહેલી ઈન્ડિગોની કોઈમ્બતુરથી હૈદરાબાદ જઈ રહેલી ફ્લાઈટ  6E 779 અને બેંગ્લુરુથી કોચ્ચી જઈ રહેલી ફ્લાઈટ 6E 6505 વચ્ચે ટક્કર થતા થતા રહી ગઈ. એરલાઈન્સના વિમાન એકબીજાની ખુબ નજીક આવી ગયા હતાં. ગણતરીની પળોના અંતરે બંને વિમાન હતાં. ઈન્ડિગોનું કહેવું છે કે આ મામલાની જાણકારી રેગ્યુલેટરને આપવામાં આવી છે.



328 પેસેન્જરોના જીવ જઈ શકે તેમ હતાં
ઈન્ડિગોના જણાવ્યાં મુજબ હૈદરાબાદની ફ્લાઈટમાં લગભગ 162 મુસાફરો હતાં. જ્યારે કોચ્ચીની ફ્લાઈટમાં લગભગ 166 મુસાફરો હતાં. બંને વિમાનો વચ્ચે અંતર માત્ર 200 ફૂટનું હતું. વિમાનની ટક્કર પહેલા ટ્રાફિક કોલિઝન એવોયડેન્સ સિસ્ટમ (TCAS)ના એલાર્મથી દુર્ઘટના ટળી ગઈ. રિપોર્ટ મુજબ એરક્રાફ્ટ એક્સિડન્ટ ઈન્વેસ્ટિગેશન બોર્ડ (AAIB) એ મામલાની તપાસ શરૂ કરી દીધી છે.


પહેલા પણ ટળ્યા છે આવા અકસ્માતો
હવામાં વિમાન ટકરાવવાની ખબરો પહેલા પણ આવતી રહી છે. ઈન્ડિગોનો આ મામલો પહેલો નથી. આ અગાઉ પણ ઈન્ડિગોના વિમાન ટકરાતા બચ્યા છે. ગત વર્ષ નવેમ્બરમાં ઈન્ડિગોના એક વિમાનમાં લેપટોપ ફાટવાથી અફરાતફરી મચી હતી. તે અગાઉ દિલ્હી એરપોર્ટ પર ઈન્ડિગો અને એર ઈન્ડિયાના વિમાનની ટક્કર થતા બચી હતી. આ દરમિયાન એર ઈન્ડિયાનું પ્લેન ટેકઓફ કરવાનું હતું અને ઈન્ડિગોનું વિમાન લેન્ડ કરી રહ્યું હતું.