યુવાઓ કોઈ પણ દેશનું ભવિષ્ય ગણાય છે. જે દેશના યુવાઓ સશક્ત હોય છે તે દેશને પ્રગતિ કરતા કોઈ રોકી શકે નહીં. યુવાઓ જો પોતાની શક્તિ અને ક્ષમતાઓનો યોગ્ય ઉપયોગ કરે તો જીવનમાં કશું પણ એવું નથી કે હાંસલ  કરી શકાય નહીં. ભારત સરકાર પણ યુવાઓને સશક્ત અને આત્મનિર્ભર બનાવવા માટે અનેક પ્રકારની સ્કીમ ચલાવે છે. આ જ સ્કીમમાંથી એક સ્કીમ છે પ્રધાનમંત્રી મુદ્રા યોજના. જાણો આ યોજના વિશે...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું છે PMMY
જે યુવકો બેરોજગાર હોય અને પોતાનો બિઝનેસ શરૂ કરવા માંગતા હોય કે પછી નાના કારોબારી જે પોતાના વેપારને આગળ વધારવા માંગતા હોય પરંતુ તેમની પાસે મૂડી ન હોય કે ઓછી હોય તો આવા યુવાઓની મદદ હેતુસર આ યોજનાની શરૂઆત કરવામાં આવી છે. મોદી સરકારે આ સ્કીમને વર્ષ 2015માં શરૂ કરી હતી. આ યોજનામાં નોન કોર્પોરેટ, અને બિન કૃષિ કાર્યો માટે લોન આપવામાં આવે છે. સરકારની આ યોજના હેઠળ 10 લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે. 


સિક્યુરિટી વગર લોન
સામાન્ય રીતે જ્યારે તમે હોમ લોન, ગોલ્ડ લોન કે પછી ઓટો લોન લેતા હોવ છો તો તમારે તે માટે કોઈ ને કોઈ કોઈ પ્રોપર્ટી બેંક પાસે સિક્યુરિટી તરીકે ગિરવે મૂકવી પડે છે. પરંતુ પીએમ મુદ્રા લોન યોજનાની સારી વાત એ છે કે તે કોલેટરેલ ફ્રી છે એટલે કે આ યોજના દ્વારા તમને એવી લોન મળી જાય છે કે જેની કોઈ સિક્યુરિટી હોતી નથી. 


ત્રણ કેટેગરીમાં મળે લોન
જો તમે પ્રધાનમંત્રી મુદ્રા યોજના દ્વારા લોન લેવા માંગતા હોવ તો કોઈ પણ સરકારી-પ્રાઈવેટ બેંકો સથે ક્ષેત્રીય ગ્રામીણ બેંક, સ્મોલ ફાઈનાન્સ બેંક, નોન ફાઈનાન્શિયલ કંપનીમાં લોન માટે અરજી કરી શકો છો. કેટેગરી પ્રમાણે લોનની રકમની મર્યાદા નક્કી કરાઈ છે. 


- શિશુ લોન- તેમાં 50 હજાર રૂપિયા સુધીની આર્થિક સહાય કરાય છે. 
- કિશોર લોન- તેમાં 5 લાખ રૂપિયા સુધીની લોન અપાય છે. 
- તરુણ લોન- તેમાં 10 લાખ રૂપિયા સુધીની રકમ લોન તરીકે અપાય છે. 


શું છે યોગ્યતા
કોઈ પણ વ્યક્તિ જે પોતાનો બિઝનેસ શરૂ કરવા માંગતો હોય તે આ યોજના હેઠળ લોન માટે અરજી કરી શકે છે. જો તમે તમારો હાલનો કારોબાર આગળ વધારવા માંગતા હોવ તો પણ તેના માટે અરજી કરી શકો છો. પરંતુ આ માટે કેટલીક શરતો છે જેને પૂરી કરવી જરૂરી છે. 


- લોન માટે અરજી કરનાર વ્યક્તિ  ભારતીય નાગરિક હોવો જોઈએ. 
- અરજી કરનાર વ્યક્તિની બેંક ડિફોલ્ટ હિસ્ટ્રી ન હોવી જોઈએ. 
- જે પણ વેપાર માટે મુદ્રા લોન લેવી હોય તે કોર્પોરેટ સંસ્થા ન હોવી જોઈએ. 
- લોન માટે અરજી કરનારાનું બેંકમાં એકાઉન્ટ હોવું જોઈએ. 
- લોન માટે અરજી કરનારની ઉંમર 18 વર્ષથી વધુ હોવી જોઈએ. 


PMMY ના  ફાયદા
- પ્રધાનમંત્રી મુદ્રા યોજના દ્વારા તમે તમારી જરૂરીયાત મુજબ 50 હજાર રૂપિયાથી લઈને 10 લાખ રૂપિયા સુધી લોન લઈ શકો છો. લોન કોલેટરલ ફ્રી હોય છે. આ સાથે જ તેના પર કોઈ પણ પ્રકારની પ્રોસેસિંગ ફી લાગતી નથી. 
- આ સ્કીમ હેઠળ મળનારી લોનની ચૂકવણીનો કુલ સમયગાળો 12 મહિનાથી લઈને 5 વર્ષ સુધી હોય છે. પંરતુ જો તમે 5 વર્ષ સુધીમાં ન ચૂકવી શકો તો તેનો સમયગાળો 5 વર્ષથી વધુ આગળ વધારી શકો છો. 
- આ લોનની સારી વાત એ છે પણ છે કે તમને મંજૂર થયેલી લોનની પૂરી રકમ પર વ્યાજ નથી લાગતું. ફક્ત એ જ અમાઉન્ટ પર વ્યાજ લાગે છે જે તમે મુદ્રા કાર્ડ દ્વારા કાઢીને ખર્ચ કરી છે. 
- જો તમે પાર્ટનરશીપમાં કોઈ બિઝનેસ કરી રહ્યા છો તો પણ તમે મુદ્રા યોજના દ્વારા લોન લઈ શકો છો. તેમાં તમને ત્રણ કેટેગરીમાં લોન મળે છે. કેટેગરીના હિસાબથી વ્યાજ દર અલગ અલગ હોય છે. 


આ રીતે કરો અરજી
- સૌથી પહેલા મુદ્રા યોજનાની અધિકૃત વેબસાઈટ  mudra.org.in પર જાઓ. 
- હોમ પેજ ખુલશે જેના પર ત્રણ પ્રકારની લોન શિશુ લોન, કિશોર અને તરુણ લોન વિશે વિગતો સામે  આવશે, તમારે તે પ્રમાણે કેટેગરી પસંદ કરવાની છે. 
- એક નવું પેજ ખુલશે ત્યાંથી અરજી ફોર્મને ડાઉનલોડ કરવાનું રહેશે. અરજી પત્રકની પ્રિન્ટ આઉટ કાઢી લેવી. 
- અરજીપત્રકને યોગ્ય રીતે ભરો. ફોર્મમાં કેટલાક દસ્તાવેજોની ફોટોકોપી  માંગવામાં આવશે જેમ કે આધાર કાર્ડ, પાન કાર્ડ, સ્થાયી અને બિઝનેસ એડ્રેસનું પ્રુફ, આવકવેરા રિટર્ન, અને સેલ્ફ ટેક્સ રિટર્નની કોપી તથા પાસપોર્ટ સાઈઝ ફોટો વગેરે એટેચ કરી દો. 
- આ અરજી પત્રકને તમારી નજીકની બેંકમાં જમા કરાવી દો. બેંક તમારી અરજી વેરફાય કરશે અને યોગ્યતા પ્રમાણે તેના એક મહિનાની અંદર લોન મળશે. 
- ઓનલાઈન અરજી કરવા માટે યૂઝર નેમ અને પાસવર્ડ બનાવવો પડશે. તેની મદદથી મુદ્રા લોન વેબસાઈટ પર લોગઈન થશે. અહીં તમે ઓનલાઈન અરજી કરી શકો છો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube