નવી દિલ્હી : ઇન્કમટેક્ષ ડિપાર્ટમેન્ટ (આવકવેરા વિભાગ) દ્વારા તમામ કરદાતાઓને એલર્ટ કરવામાં આવ્યા છે. ખોટા મેસેજ અને ઇ-મેઇલ દ્વારા કરદાતાઓને ફસાવીને એમના એકાઉન્ટ હેક કરવામાં આવી રહયા છે. જો આવો કોઇ મેસેજ આવે તો સત્વરે ઇન્કમટેક્ષ વિભાગને જાણ કરવી તેમજ આવા કોઇ ફ્રોડ ટેક્સ રિફંડ મેસેજના ચક્કરમાં ન આવવા તાકીદ કરવામાં આવી છે. આ મેસેજ મારફતે કોઇ તમારી પાસેથી વિગતો મેળવીને તમારા બેંક ખાતા નંબર, પિન નંબર, ઓટીપી, પાસવર્ડ અને અન્ય વિગતો મેળવી તમારૂ અકાઉન્ટ સાફ કરી શકે છે એટલે આવી કોઇ વિગતો કોઇની સાથે શેયર કરવી નહી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

IT વિભાગ આવી વિગત માગતું નથી
ઇન્કમટેક્ષ વિભાગે પોતાના ઇ-મેઇલ મારફતે કહ્યું કે, આઇટી વિભાગ દ્વારા કરદાતાઓ પાસેથી આવી વિગતો ક્યારેય માંગવામાં આવતી નથી. કરદાતાઓ પાસેથી એમના ડેબિટ કે ક્રેડિટ કાર્ડના પિન, ઓટીપી, પાસવર્ડ જેવી કોઇ જાણકારી માંગવામાં આવતી નથી. સાથોસાથ ટેક્ષ રિફંડ માટે બેંક ખાતાની જાણકારી પણ વિભાગને જરૂરી નથી. આમ આવા કોઇ ફ્રોડ મેસેજ પર ધ્યાન ન આપવું. ઇન્કમટેક્ષ વિભાગનું કહેવું છે કે વિભાગ પાસે પહેલાથી જ કરદાતાઓની સમગ્ર માહિતી હોય જ છે. એટલે મેસેજ કે મેઇલ કરીને આવી વિગત મેળવવાનો કે જાણવાનો કોઇ મતલબ નથી. આવા મેસેજ કે મેઇલ ફ્રોડ હોય છે માટે સાવચેત રહેવું.


ફિશિંગ ઇ-મેઇલથી થાય છે ફ્રોડ
ઇન્કમટેક્ષ વિભાગે કહ્યું કે, આ પ્રકારની છેતરપિંડી ફિશિંગ ઇ-મેઇલ કે મેસેજ દ્વારા થાય છે. જેમાં કોઇ લિંક આપવામાં આવે છે જેની ખરાઇ કરવી એટલી સરળ નથી. પરંતુ જો થોડી સાવધાની રાખવામાં આવે તો આવી છેતરપિંડીથી બચી શકાય છે. જે ઇ મેઇલ આઇડીથી મેઇલ આવે છે એને ધ્યાનથી જોવો એમાં ક્યાંક સ્પેલિંગ અલગ હશે કે કોઇ ભૂલ હશે કે પછી આઇટી ડિપાર્ટમેન્ટને ભળતી કોઇ વેબસાઇટ હશે. જો આવું સહેજ પણ જણાય તો આપેલી લિંક પર કોઇ વિગતો શેયર કરવી નહીં. 


આવા ઇ-મેઇલ આવે તો શું કરવું?
આવા કોઇ મેઇલ આવે તો એમાં આપેલા કોઇ પણ પ્રકારની એટેચ ફાઇલ ખોલવી નહીં કે ક્લિક કરવું નહીં. ઇમેઇલમાં આપેલી કોઇ પણ લિંક પર ક્લિક કરવું નહીં. ભૂલથી જો કોઇ લિંક પર ક્લિક થઇ જાય તો એમાં ક્યાંય પણ તમારી બેંક અકાઉન્ટ, ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડ કે અન્ય કોઇ અંગત માહિતી આપવી નહીં.


બિઝનેસના અન્ય સમાચાર જાણવા અહીં ક્લિક કરો