સ્નેહલતા એ ઢોલીવુડના પ્રખ્યાત અભિનેત્રી છે. જેમણે 70 અને 80ના દાયકામાં ખુબ ધૂમ મચાવી હતી. તેમની ઉપેન્દ્ર ત્રિવેદી અને નરેશ કનોડિયાની સાથે જોડી ખુબ સફળ રહી અને ઘણી હિટ ફિલ્મો આપી છે. માત્ર ગુજરાતી જ નહીં તેમણે કેટલીક હિન્દી ફિલ્મોમાં પણ મહેમાન કલાકાર તરીકે  ભૂમિકા ભજવેલી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સ્નેહલતા વિશે બહુ ઓછી પર્સનલ માહિતી ઉપલબ્ધ છે પરંતુ જે પણ માહિતી ઈન્ટરનેટ અને મીડિયાના માધ્યમોથી ઉપલબ્ધ છે તે મુજબ ગુજરાતી ફિલ્મોમાં ધૂમ મચાવનારા અભિનેત્રીના લહેકા અને બોલવાની છાંટ ભલે ગુજરાતી લાગતા હોય પરંતુ તેઓ મૂળ ગુજરાતીભાષી નથી. ગુજરાતીઓના માનસપટલ પર ગામડાના ગોરી તરીકે અંકાઈ ગયેલા સ્નેહલતા ગુજરાતી નથી પરંતુ મીડિયા રિપોર્ટ મુજબ તેઓ મરાઠી છે. બીબીસીના એક રિપોર્ટ મુજબ તેમણે તેમને જ્યારે ગુજરાતી ભાષાના મૂળ વિશે સવાલ કરવામાં આવે તો તેઓને દુ:ખ થાય છે અને પોતાને ગુજરાતી જ ઓળખાવે છે. તેઓ કહે છે કે તેઓ પોતાની જાતને ગુજરાતી જ માને છે. ગુજરાત તેમનું છે અને ગુજરાત તેમની કર્મભૂમિ છે. ગુજરાતે જે પ્રેમ આપ્યો તે તેઓ ક્યારેય ભૂલી શકશે નહીં. 


અભિનયની કરિયર
સ્નેહલતા હાલ તો મુંબઈમાં પરિવાર સાથે રહે છે. તેઓ ફિલ્મ જગતથી દૂર છે. થોડા વર્ષો પહેલા જ્યારે તેઓ એક કાર્યક્રમમાં જોવા મળ્યા હતા ત્યારે એકદમ અલગ લાગતા હતા. તેમના દીકરી ઈન્દિરા ડોક્ટર છે. સ્નેહલતા હવે અભિનય કરવાની ઈચ્છા ધરાવતા નથી. તેમણે અનેક ગુજરાતી ફિલ્મો કરી પરંતુ કરિયરની શરૂઆત મરાઠી ફિલ્મોથી કરી હતી. જો કે ગુજરાતી ફિલ્મોમાં તેમની અને નરેશ કનોડિયાની જોડીએ ઢગલો સુપરહિટ ફિલ્મો આપી છે. બંનેના ડાન્સ લોકો આજે પણ યાદ કરે છે. 



કઈ રીતે ગુજરાતી પર મેળવ્યું પ્રભુત્વ
નરેશ કનોડિયા સાથે સ્નેહલતાએ ઢોલામારુ, પારસ પદમણી, મેરુ માલણ, ઉજળી મેરામણ સહિત અનેક ફિલ્મો કરી છે. મરાઠી હોવા છતાં ગુજરાતી કેવી રીતે આવડી તો સ્નેહલતાએ જણાવ્યું હતું કે રાજા ભર્તુહરિ તેમની પહેલી ફિલ્મ હતી. આ માટે તેમણે પંદર દિવસ સુધી માત્ર ગીત અને ડાન્સનું શુટિંગ હતું. તેમના કહેવા મુજબ એક ટેપ રેકોર્ડર તેમને આપવામાં આવ્યું, સવારથી સાંજ સુધી ગીતો સાંભળતા, ગીતના શબ્દો પણ લખીને આપ્યા હતા. ગુજરાતી ભાષાનો લહેકો ધીરે ધીરે તેમની જીભે બેસતો ગયો અને પછી તો ગુજરાતી બોલવામાં તેમની ફાવટ આવતી ગઈ. 



સ્નેહલતાની ફિલ્મો
સ્નેહલતાની અનેક ફિલ્મો માનસપટલ પર છવાયેલી હોય છે પરંતુ આમ છતાં કેટલીક યાદગાર ફિલ્મોમાં હિરણને કાંઠે, મેરુ માલણ, ઢોલા મારુ, મોતી વેરાણા ચોકમાં, પાલવડે બાંધી પ્રીત, તમે રે ચંપો ને અમે કેળ, ઝૂલણ મોરલી, પારસ પદમણી, પંખીડા ઓ પંખીડા, ઉજળી મેરામણ, શેરને માથે સવાશેર, મેરુ મુળાંદે, સાજણ તારા સંભારણા, લખતરની લાડીને વિલાયતનો વર સામેલ છે. 



સ્નેહલતા હવે ફિલ્મોથી દૂર રહે છે. ગ્લેમરનો પણ મોહ નથી. કોઈ પાર્ટી કે ફંકશનમાં બહુ જતા નથી. મુંબઈમાં પરિવાર સાથે જીવન વિતાવી રહ્યા છે. તેમને ઓફર તો ઘણી મળે છે પરંતુ હવે તેઓ એક્ટિંગ કરવા માંગતા નથી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube