બોલીવુડના ખૂંખાર ખલનાયકોમાં જેમનું નામ મોખરે રહ્યું તેવા પ્રાણ સાહેબની આજે 101મી જન્મજયંતિ...
હિન્દી ફિલ્મની કહાનીની સાદી વ્યાખ્યા કહીએ તો નાયક -નાયિકા અને ખલનાયક... હિન્દી ફિલ્મોમાં જેટલો હિરોનું મહત્વ છે તેટલું જ મહત્વ ખલનાયકનું રહ્યુ છે. હિન્દી ફિલ્મોના તેવા જ ખલનાયકનો જન્મદિવસ છે જેને વિલનની ભૂમિકામાં એવો દમદાર અભિનય કર્યો કે આ પાત્રો ન ભૂતો ન ભવિષ્યતિ ક્યારેય ભૂલી શકાશે નહીં. ઝંઝીરના શેરખાન એટલે કે દિવંગત અભિનેતા `પ્રાણ`ની 101મી જન્મજયંતિ છે.
ઝી બ્યૂરો, અમદાવાદઃ 12 ફેબ્રુઆરી, આ તારીખ બોલીવુડ માટે પણ ખાસ છે. કારણકે, આજે પ્રાણ સાહેબની 101મી જન્મજયંતિ છે. ઘણાં ઓછા લોકો જાણતા હશે કે પ્રાણ સાહેબ એક અદભુત અદાકારની સાથો-સાથ એક ઉમદા દિલના વ્યક્તિ પણ હતા. ભલુ કરીને ભુલી જવાની તેમની ફિલોસોફી રહી છે. એમણે અનેક કલાકારોને પહેલો બ્રેક અપાવ્યો અને જે બાદમાં મોટા સ્ટાર બની ગયાં. એમાંથી બોલીવુડના મહાનાયક પણ બાકાત નથી. અમિતાભ બચ્ચન જ્યારે પોતાની ફ્લોપ ફિલ્મોથી કંટાળીને બોરિયા બિસ્તરા બાંધીને પોતાના ઘરે પરત ફરવાની તૈયારી કરી રહ્યાં હતા એ જ સમયે તેમના જીવનમાં એક મહત્ત્વનો વળાંક આવ્યો. અને તેમને પ્રકાશ મહેરાએ ઝંઝીર ફિલ્મ માટે સાઈન કર્યાં. જેમાં તેમણે પોલીસ ઓફિસરની ભુમિકા ભજવી, જેમાં પ્રાણ પણ હતાં. અમિતાભને આ ફિલ્મ પ્રાણ સાહેબના કહેવાથી જ આપવામાં આવી હતી.
બોલીવુડના દિવંગત અભિનેતા પ્રાણે તેમના પાત્રમાં અનેક રંગ ભર્યા. ખલનાયકની ભૂમિકામાં પણ ક્યારેક હાસ્યનો રંગ ઉમેર્યો. પ્રાણનો અંદાજ ફિલ્મના હિરો પર પણ ભારે પડ્યો. હિન્દી ફિલ્મના પ્રાણ એવા અભિનેતા છે જેમને ફિલ્મના નાયક જેટલું સન્માન થયું. પ્રાણના પિતા સરકારી કર્મી હતા. પ્રાણના પિતા ઈચ્છતા હતા કે તેમનો પુત્ર એન્જિનિયર બને પરંતું પ્રાણે અભ્યાસ બાદ ફોટોગ્રાફી કરી. આ ભારતના વિભાજન પહેલાની વાત છે જ્યારે લાહૌરમાં પ્રાણ ફોટોગ્રાફી કરતા હતા. પ્રાણે પોતાની હિન્દી ફિલ્મોની શરૂઆત હિન્દી ફિલ્મ નહીં પરંતું પંજાબી ફિલ્મોથી કરી. વર્ષ 1940માં રિલિઝ થયેલી ફિલ્મનું નામ 'યમલા જટ' હતું. વિભાજન બાદ સ્થિતિ એવી બદલાઈ કે તેમને મુંબઈ આવીને વસવું પડ્યું. હિન્દી ફિલ્મોમાં કામ મેળવવા માટે પ્રાણને ઘણો સંઘર્ષ કરવો પડ્યો. પ્રાણની મદદ મશહૂર વાર્તાકાર સઆદત હસન મંટોએ કરી. મંટોએ પ્રાણની મુલાકાત ફિલ્મ દિગદર્શક સાથે કરાવી. શરૂઆતમાં પ્રાણ ખાનદાન, પિલપિલી સાહૈબ અને હલાકૂમાં મુખ્ય અભિનેતા તરીકે જોવા મળ્યા. બિમલ રોયની ફિલ્મ 'મધુમતી'માં તેમના અભિનયના વખાણ થયા. ત્યારબાદ પ્રાણને ખલનાયકની ભૂમિકાઓ મળતી ગઈ.
પ્રાણની શાનદાર ફિલ્મો
પ્રાણને શો મેન રાજકપૂરની ફિલ્મ 'જિસ દેશ મૈ ગંગા બહૈતી હૈ' ફિલ્મથી ખૂબ લોકપ્રિયતા મળી. આ ફિલ્મમાં કોમેડીનો તડકા પણ જોવા મળ્યો. ત્યારબાદ પ્રાણે કિશોરકુમાર સાથે 'હાફ ટિકિટ' માં શાનદાર અભિનય કર્યો. પ્રાણે 350થી વધુ ફિલ્મોમાં ખલનાયકની ભૂમિકા ભજવી દીધી. રામ શ્યામ, ઉપકાર, આંસુ બન ગયે ફૂલ. જોની મેરા નામ, ઝંઝીર, ડૉન અને દુનિયા પ્રાણની શ્રેષ્ઠ ફિલ્મોમાંથી એક છે. એશિયાના શ્રેષ્ઠ વિલનની યાદીમાં પ્રાણનું નામ અગ્રેસર આવે છે.
કહેવાય છે કે ઝંઝીર ફિલ્મમાં અમિતાભ બચ્ચનું નામ પ્રાણે જ ડિરેકટરને સૂચવ્યુ હતું. ઝંઝીર ફિલ્મ અમિતાભ બચ્ચનની કારકિર્દીની માઈલસ્ટોન સાબિત થઈ. ભારત સરકારે પ્રાણને પદ્મ ભૂષણથી સન્માનિત કર્યા. ભારતીય સિનેમામાં તેમના ફાળા બદલ પ્રાણને વર્ષ 2013માં દાદાસાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરાયા. વર્ષ 2013માં પ્રાણનું જૈફ વયે નિધન થયું. પ્રાણ સાહેબનો અદભુત અભિનય અને તેમના ડાયલોગ આજે પણ યાદગાર છે...
ઝંઝીર:
ઈસ ઈલાકે મે નયે આયે હો સાહેબ?...વરના શેરખાન કો કોન નહીં જાનતા
શેરખાન આજ કા કામ કલ પે નહીં છોડતા
પૂરબ અને પશ્ચિમ
અગર તુમ્હારે માથે કી બિંદિયા ઔર માથે કા સિંદૂર, સુહાગ કી નિશાની નહીં કલંક હૈ તો મિટા દો ઉસે
ડૉન
જી ચાહતા હે તુજે ગંદે કીડે કી તરહ મસલ દૂ... મગર મે અપને હાથ ગંદે કરના નહીં ચાહતા
ઈન્સાન અપની બુરાઈ છોડ શકતા હૈ...લેકિન ઈન્સાન કી બદનામી હમેશા ઉસ કે સાથ રહેતી હૈ
કર્ઝ
પ્યાર મૈ તો બુઢા ભી જવાન લગતા હૈ, લડકી શિરીન ઔર લડકા ફરહાદ લગતા હૈ..
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube