નવી દિલ્હી: રણબીર કપૂર અને આલિયા ભટ્ટ વચ્ચેની નીકટતા માધ્યમોમાં જ્યારથી ચર્ચામાં છે ત્યારથી ફેન્સ આ જોડીને લઈને ખુબ એક્સાઈટેડ છે. પરંતુ રણબીર કે આલિયાએ પોતાના સંબંધ અંગે ક્યારેય સ્પષ્ટપણે કશું કહ્યું નથી. પરંતુ રણબીરના પપ્પા એટલે કે ઋષિ કપૂર હંમેશા સીધી વાત કરવામાં વિશ્વાસ રાખે છે. જે મુદ્દે આલિયા અને રણબીર ચૂપ્પી સાંધીને બેઠા હતાં તેના પર હવે ઋષિ કપૂરે પોતાનો મત રજુ કરી નાખ્યો છે. ઋષિ કપૂરે સ્પષ્ટતા કરી કે રણબીર કપૂરને આલિયા ભટ્ટ ખુબ પસંદ છે. ફક્ત રણબીર નહીં પરંતુ તેમને અને પત્ની નીતુને પણ આલિયા ખુબ ગમે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મુંબઈ મિરરને હાલમાં આપેલા એક ઈન્ટરવ્યુંમાં ઋષિ કપૂરે કહ્યું કે 'તે રણબીરની જિંદગી છે. તે કોની સાથે લગ્ન કરવા માંગે છે તે સંપૂર્ણ રીતે તેનો દ્રષ્ટિકોણ છે. તેમણે વધુમાં કહ્યું કે નીતુ અને તેમને તે (આલિયા) ગમે છે. મને પસંદ છે. રણબીરને પસંદ છે. સમજી ગયા તમે? હું મારો દ્રષ્ટિકોણ રણબીર પર થોપવા માંગતો નથી. આખરે મેં, મારા અંકલ શમ્મીજી (શમ્મી કપૂર) અને શશિજી (શશિ કપૂર)એ પોતાના જીવનસાથીની પસંદગી પોતે કરી છે. રણબીર પણ પોતાનો જીવનસાથી પોતે જાતે પસંદ કરશે.'


અત્રે જણાવવાનું કે મંગળવારે ઋષિ કપૂરનો જન્મ દિવસ હતો અને તેમણે પરિવાર સાથે જન્મદિવસ ઉજવ્યો. મંગળવારે ઋષિ 66 વર્ષના થયાં. પોતાના અગાઉ એક ઈન્ટરવ્યુમાં તેઓ આલિયાના વખાણ કરતા બોલ્યા હતાં કે તે આલિયાને હાઈવે અને રાજી જેવી ફિલ્મોની પસંદગી માટે ખુબ પસંદ કરે છે. જો કે ઋષિ કપૂર પોતાના પુત્ર રણબીરના જેમ બને તેમ જલદી લગ્ન થાય તે ઈચ્છા પણ વ્યક્ત કરી ચૂક્યા છે. 


આલિયા અને રણબીર હાલ ડાઈરેક્ટર અયાન મુખરજીની ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર'માં સાથે કામ કરી રહ્યાં છે. આ ફિલ્મનું શુટિંગ બલ્ગેરિયામાં થઈ રહ્યું છે. શુટિંગ દરમિયાન પણ આ જોડી અનેક તસવીરોમાં સાથે જોવા મળી છે. ફિલ્મમાં રણબીર અને આલીયા ઉપરાંત અમિતાભ બચ્ચન પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે.