નવી દિલ્હી: બોલિવૂડની પીઢ અભિનેત્રી અને દિવંગત અભિનેતા દિલીપ કુમારની પત્ની સાયરા બાનુની તબિયત અચાનક બગડી ગઈ હતી. તબિયત લથડતા તેમને મુંબઈની હિન્દુજા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સાયરા બાનોને માઇનોર હાર્ટ એટેક આવ્યો હતો. હાલ તેમની તબિયતમાં સુધારો થઈ રહ્યો છે. પરિવારના સભ્યોએ અભિનેત્રીના સ્વાસ્થ્ય વિશે જાણકારી આપી છે. સાયરા બાનોની ઉંમર હાલ 77 વર્ષની છે. અને દિલીપ કુમારના નિધન બાદ હાલ તેઓ ખુબ એકલાં પડી ગયાં છે. ત્રણ દિવસ પહેલા બ્લડ પ્રેશરની તકલીફ થતાં તેમને હોસ્પિટલ લઈ જવાયા હતા. પરંતુ તેમની તબિયત ના સુધરતાં ICUમાં એડમિટ કરવામાં આવ્યા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મળતી માહિતી મુજબ, સાયરા બાનોનું ઓક્સિજન લેવલ પણ ઓછું થઈ રહ્યું છે. જેના કારણે શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી છે. હજી સાયરા બાનોને 3-4 દિવસ હોસ્પિટલમાં રાખવા પડશે તેવી માહિતી પ્રાપ્ત થઈ છે. સાયરા બાનો દિલીપ કુમારના નિધન બાદ ઊંડા શોકમાં ગરકાવ થઈ ગયા છે. તેમણે જાણે દુનિયા સાથે છેડો ફાડી નાખ્યો છે. તેઓ કોઈની સાથે વાત નથી કરતાં અને કોઈને મળતાં પણ નથી, માત્ર 'સાહેબ'ની યાદોમાં ખોવાયેલા રહે છે. સાયરા બાનો અને દિલીપ કુમારનો સાથ 54 વર્ષનો હતો. તેમની જોડી સારસ બેલડી સમાન હતી. તેમના જેવો પ્રેમ આજે ભાગ્યે જ જોવા મળે છે. દિલીપ સાહેબની સુખ-દુઃખની દરેક ઘડીમાં સાયરા પળેપળ તેમની સાથે રહ્યાં છે.


7 જુલાઈ 2021ના રોજ 98 વર્ષની વયે મહાન એક્ટર દિલીપ કુમારનું અવસાન થયું હતું. છેલ્લા દિવસોમાં દિલીપ કુમારની તબિયત ખરાબ હતી અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. એ વખતે પણ સાયરા બાનો તેમની સાથે હોસ્પિટલમાં જ રહ્યા હતા. છેલ્લા ઘણાં વર્ષોથી દિલીપ કુમાર લગભગ પથારીવશ હતા ત્યારે સાયરા બાનોએ તેમનું સંપૂર્ણ ધ્યાન રાખ્યું હતું. એટલું જ નહીં તેઓ સોશિયલ મીડિયાના માધ્યમથી સતત 'સાહેબ'ના ફેન્સને તેમના વિશે અપડેટ આપતા હતા.