અતુલ તિવારી/અમદાવાદ :દેશમાં કોરોના રસીકરણ મહાઅભિયાનનું 1 વર્ષ પૂર્ણ (1 Year Of Vaccine Drive) થયું છે ત્યારે ગુજરાતે વૈશ્વિક મહામારીને નાથવા રસીકરણ મહાઅભિયાન (vaccination campaign) માં કેવી ભૂમિકા નિભાવી તેના રસપ્રદ આંકડા જાહેર થયા છે. આ આંકડા પ્રમાણે દરેક 10 ગુજરાતીમાંથી 9 લોકોએ કોરોનાની રસીના બંને ડોઝ લઈ લીધા છે. દેશમાં 65 કરોડ લોકોએ રસીના બંને ડોઝ લઈ લીધા છે. તો 18 વર્ષથી ઉપરની 97 ટકા વસ્તીને કોરોનાની રસીનો પહેલો ડોઝ અપાઈ ગયો છે. રસીકરણના એક વર્ષમાં ગુજરાતમાં રસીના રોજ સરેરાશ 2.64 લાખ ડોઝ આપવામાં આવ્યા છે. અત્યારે આ સરેરાશ 1 લાખ 76 હજાર આસપાસની છે. ગુજરાત (gujarat corona update) માં પુખ્ત વયના 90%ને રસીના બંને ડોઝ અપાઈ ચૂક્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આરોગ્ય વિભાગના આંકડા પ્રમાણે, પીએમ મોદી (PM Modi) ના જન્મદિવસે ગુજરાતમાં અને દેશમાં સૌથી વધુ રસીકરણ (vaccination) થયું હતું. જો કે દેશમાં હજુ 66% લોકોએ જ રસીનો પહેલો ડોઝ લીધો છે. રસી (corona vaccine) લેવામાં મહિલાઓ કરતાં પુરુષોની સંખ્યા વધારે છે.  


  • ગુજરાતમાં એકવર્ષમાં કોરોના વેકસીનના 9 કરોડ, 46 લાખ, 60 હજાર, 282 ડોઝ આપવામાં આવ્યા

  • 3 જાન્યુઆરીથી શરૂ થયેલ 15 થી 18 વર્ષના તરૂણોને 20 લાખ, 72 હજાર, 546 ડોઝ લગાવવામાં આવ્યા

  • 10 જાન્યુઆરીથી અપાઈ રહેલ વેક્સીનના 4 લાખ 77 હજાર 351 ફ્રન્ટલાઈન વોરિયર્સને પ્રિકોશન ડોઝ અપાયા

  • રાજ્યના પુખ્ત વયના 90 ટકા લોકોને કોરોના વેકસીનના બંને ડોઝ એક વર્ષમાં આપી દેવાયા


કોરોના વેકસીનેશનની સફળતાને એક વર્ષ પૂર્ણ થયુ છે. ગત વર્ષે 16 જાન્યુઆરીથી દેશભરમાં કોરોના વિરુદ્ધ વિશ્વનું સૌથી મોટું વેક્સીનેશન અભિયાન શરૂ થયુ હતું. એક વર્ષમાં 156 કરોડ, 76 લાખ, 15 હજાર, 454 વેકસીનના ડોઝ આપવામાં આવ્યા છે. 16 જાન્યુઆરી 2021 ના રોજ શરૂ થયેલું વેક્સીનેશનમાં સૌ પ્રથમ ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સને વેક્સીન આપવાની શરૂઆત કરાઈ હતી. તે સમયે ભારત પાસે એક સાથે બે વેક્સીન ઉપલબ્ધ થઈ હતી. 


કોરોના સામે રક્ષણ મળે એ હેતુથી કોવિશિલ્ડ અને કોવેકસીનના ડોઝ ભારતભરમાં યુદ્ધના ધોરણે આપવાની શરૂઆત કરાઈ હતી. કોરોના વોરિયર્સ બાદ, કો-મોરબીડ સિનિયર સિટીઝન ત્યારબાદ 45 થી વધુ વયના અને એ પછી 18 વર્ષથી ઉપરના તમામને કોરોના વેક્સીનનો ડોઝ અપાયો હતો. 3 જાન્યુઆરીથી દેશભરમાં 15 થી 18 વયના તરુણોને પણ વેક્સીનનો ડોઝ આપવાની શરૂઆત થઈ છે. 10 જાન્યુઆરીથી ફ્રન્ટલાઈન વોરિયર્સને પ્રિકોશન એટલે કે બુસ્ટર ડોઝ દેશભરમાં આપવાની શરૂઆત થઈ છે. 


ભારતની સફળ વેક્સીન આજે વિશ્વના અનેક દેશોમાં સપ્લાય કરાઈ રહી છે. આજ દિન સુધીમાં દેશભરમાં કોરોના વેક્સીનના 158 કરોડ, 1 લાખ, 46 હજાર, 15 ડોઝ સપ્લાય કરાયા છે. દેશભરમાં અલગ અલગ રાજ્યો પાસે 14 કરોડ, 13 લાખ, 44 હજાર, 641 ડોઝ ઉપલબ્ધ છે. કોરોનાની વેકસીન બાદ દેશભરમાં મૃત્યુદર પર લગામ લાગ્યો છે. કોરોના થવા છતાં મહત્તમ દર્દીઓને હોસ્પિટલાઈઝેશનની જરૂર નથી પડી રહી. બીજી લહેરમાં અનેક દર્દીઓને ઓક્સિજનની ઘટ અનુભવાતી હતી, એ સમસ્યાથી મુક્તિ મળી છે.