નવનીત દલવાડી/ભાવનગર: ગુજરાત ખૂબ વિશાળ દરિયા કાંઠો ધરાવતું રાજ્ય છે, જેમાં ભાવનગર જિલ્લાની હદમાં આવતો 151 કિ.મી દરિયા કાંઠો ઓછા પોલીસ સ્ટાફના કારણે સાવ રેઢો પડ્યો છે, દરિયાઈ સુરક્ષા માટે ભાવનગર જિલ્લાને ફાળવાયેલી ત્રણ સ્પીડ મરીન બોટ પૈકી એક બોટ દ્વારકા-ઓખા ટ્રેનિંગમાં છે જ્યારે બાકી બચેલી બે બોટ માત્ર એક ડ્રાઈવરના સહારે વારાફરતી ચલાવવામાં આવે છે, સ્પીડ બોટનો સ્ટાફ અપૂરતો છે. હવે એક જ બોટ કાર્યરત હોવાથી પૂરતું પેટ્રોલીંગ થઈ શકતુ નથી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભાવનગરના 151 કિલોમીટર લાંબા અને કાંઠાથી 9 નોટિકલ માઈલના દરિયામાં પેટ્રોલિંગનો અભાવ જોવા મળ્યો છે. પોલીસકર્મીઓની અછત હોવાના કારણે પેટ્રોલિંગ થઈ શકતુ નથી. ભાવનગરમાં અલંગ પોર્ટ મરીન અને ભાવનગર મરીન પોલીસ સ્ટેશનની સ્થાપના કરાઈ છે. જ્યારે એક ઘોઘા આઉટ પોસ્ટ કાર્યરત છે. બન્નેમાં 86 જેટલા પોલીસકર્મીની ફાળવણી કરવામાં આવી છે. જોકે હાલમાં 20 જેટલા પોલીસકર્મીઓની ઘટ છે. 


સાથે જ પેટ્રોલિંગ માટે 3 બોટની ફાળવણી કરાઈ છે. જેમાં એક બોટ દ્વારકા-ઓખામાં ટ્રેનિંગમાં કાર્યરત છે. જ્યારે બે બોટને પેટ્રોલિંગ માટે કાર્યરત કરવાના આદેશ અપાયા છે. ત્રણ બોટ ચલાવવા માટે 12 લોકોને સ્ટાફ જોઈએ. જોકે સ્ટાફ ન હોવાના કારણે પેટ્રોલિંગ થઈ શકતું નથી. હાલમાં ભાવનગર મરીન પોલીસ પાસે એક જ ડ્રાઈવર હોવાના કારણે પરેશાની થઈ રહી છે. સરકાર દ્વારા પૂરતો સ્ટાફ આપવામાં આવે તેવી માગ ઉઠી છે.


તાજેતરમાં જ ગુજરાત માંથી કરોડો રૂપિયાનું ડ્રગ્સ દરિયાઈ માર્ગેથી હેરાફેરી થતુ પકડાયુ છે. આ ઉપરાંત દરિયાઈ માર્ગેથી આતંકી પ્રવૃત્તિ કરતા તત્વોની ઘૂસણખોરી રોકવા માટે ગુજરાતમાં મરીન પોલીસ, કોસ્ટ ગાર્ડ અને નેવી દ્વારા ત્રણ સ્તરીય પેટ્રોલીંગ કરવામાં આવે છે. જ્યારે ભાવનગરની વાત કરીએ તો 151 કિમી લંબાઈ અને કાંઠા થી 9 નોટીકલ માઈલનો દરીયો મરીન પોલીસની હદમાં આવે છે. જે માટે ભાવનગર જીલ્લામાં અલંગ અને ભાવનગર એમ બે મરીન પોલીસ સ્ટેશનની સ્થાપના કરવામાં આવી છે, તેમજ એક ઘોઘા આઉટ પોસ્ટ કાર્યરત છે, જે ભાવનગર બંદર મરીન પોલીસ દ્વારા કાર્યરત છે. 


આ બન્ને મરીન પોલીસ સ્ટેશન માટે કુલ 86 પોલીસ સહીત અધિકારીઓના સંખ્યા બળની ફાળવણી કરવામાં આવી હતી, જેમાં હાલ બન્ને પોલીસ સ્ટેશન મળી કુલ-65 પોલીસ જવાન કામ કરી રહ્યા છે, એટલે કે 20 પોલીસ કર્મીઓની જગ્યા ઘણા સમયથી ખાલી પડેલી છે, જે આજ દિન સુધી પૂરવામાં આવી નથી. તેના કારણે પૂરતું પેટ્રોલિંગ થઈ શકતું નથી, પેટ્રોલીંગ માટે ત્રણ સ્પીડ બોટ ફાળવવામાં આવી છે. એક બોટ ચલાવવા માટે 4 જણાંનો સ્ટાફ ફરજિયાત હોવો જોઈએ. જેમાં માસ્ટર, સેરાંગ, એન્જીન ડ્રાયવર અને ઓઈલમેનનો સમાવેશ થાય છે. 


આમ ત્રણ બોટ માટે કુલ-12 જણાંનો સ્ટાફ હોવો જરૂરી છે. હાલ ત્રણ સ્પીડ બોટ પૈકી એક બોટ દ્વારકા-ઓખા ટ્રેનિંગમાં છે, જ્યારે બે સ્પીડ બોટ મરીન પોલીસ પાસે ઉપલબ્ધ છે પરંતુ માત્ર એક ડ્રાઈવર હોવાથી બંને બોટ નો વારાફરતી ઉપયોગ કરી એક ડ્રાઈવર ના સહારે ગાડું ગબડાવી રહ્યા છે, જ્યારે તાજેતરમાં જ બે ઓઈલમેનને કોન્ટ્રાક્ટની મુદત પૂર્ણ થયા વિના મરીન પોલીસમાંથી છૂટા કરાયા છે. જેથી એ જગ્યા પણ ખાલી પડેલી છે. 


આમ તો ભાવનગર સહિત નો મોટા ભાગની દરિયાઈ પટ્ટી ખાડી વિસ્તારમાં આવેલી છે, જેના કારણે બહુ મોટું જોખમ નથી પરંતુ, ત્રાસવાદી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા તત્વો દ્વારા હથિયારોની હેરાફેરી તથા ડ્રગ્સની હેરાફેરી કરનાર તત્વોને ઝડપી પાડવા માટે પૂરતો સ્ટાફ હોવો જરૂરી છે, જેથી સ્ટાફના અભાવે ભાવનગરનો દરીયો હાલ રેઢો પડ્યો છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube