જાવેદ સૈયદ/ અમદાવાદ : અમદાવાદમાં ગુનાની સંખ્યા દિન પ્રતિદિન વધતી જઇ રહી છે. અમદાવાદનાં નિકોલ વિસ્તારમાં 3 કિલો સોનાની લૂંટની ચકચારી ઘટના બની છે. જ્વેલર્સને માલ સપ્લાય કરતા વેપારીને લૂંટી લેવામાં આવ્યો હોવાની ઘટના બની છે. ખોડીયાર મંદિર પાસે ચકચારી ઘટના બનતા લોકોમાં કુતુહલ વ્યાપ્યું છે. પોલીસને ઘટના અંગે જાણ કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળે પહોંચી ચુકી છે. વિવિધ વિસ્તારોમાં નાકાબંધી કરીને શોધખોળ આદરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સેટેલાઇટમાં એક જ્લેવર્સની દુકાનમાં લૂંટની ઘટનાની શાહી સુકાઇ નથી ત્યાં ફરી એકવાર લૂંટની ઘટનાને પગલે ચકચાર મચી જવા પામી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નિકોલનું વૈભવ લક્ષ્મી જ્વેલર્સમાં સાંજના સમયે સફેદ કારમાં સીજી રોડથી આવેલા વેપારી ત્રણ કરોડના સોનાના દાગીના લઈ કારમાં બેસવા ગયા તે જ સમયે લૂંટારૂઓ થેલો ઝુંટવીને ફરાર થઇ ગયા હતા. સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે, સીજી રોડથી આવેલા વિકાસ ગોલ્ડના વેપારી જેવા કારમાં બેસવા ગયા કે તરત જ ગણતરીની સેકન્ડોમાં લૂંટારૂ ત્રણ કરોડનું સોનું ચીલઝડપ કરી બાઇક પર ફરાર થઈ ગયા હતા. થોડી ક્ષણો સુધી તો વેપારી પણ સમજી ના શક્યો કે તેની સાથે શું થયું. બાઈક પર આવેલા લૂંટારુઓની પીછો કરવાની કોશિશ કરી, પરંતુ લુંટારુ શખ્સો પળભરમાં પલાયન થઈ ગયા. ઘટનાની જાણ થતા જ પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ઘટના અંગે તપાસ ચાલુ કરી દીધી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube