અમદાવાદ : શહેરમાં રવિવારના દિવસે જ મેઘરાજા મનમુકીને વરસી પડ્યાં હતા. પુર્વ હોય કે પશ્ચિમ શ્રીકાર વર્ષા થઇ હતી. 2 થી લઇને 8 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. પુર્વમાં ધોધમાર વરસાદને પગલે અનેક જગ્યાઓ પર વરસાદી પાણી ભરાવા લાગ્યા હતા. જોતજોતામાં સામાન્ય પાણી ભરાવાથી માંડીને ઢીંચણ સુધી અને અમદાવાદમાં જ્યાં પાણી ભરાવાની સમસ્યા છે ત્યાં તો છાતીસમા પાણી ભરાયા હતા. હાટકેશ્વરમાં ખુબ જ પાણી ભરાયું હતું. હાટકેશ્વર સર્કલ ત્રણ દિવસમાં બીજી વાર બેટમાં ફેરવાયું હતું. ખોખરા ગુજરાત હાઉસીગ બોર્ડના બ્લોકો અને સર્વોદયનગરમાં નાગરિકોના ઘરમાં પાણી ભરાવાનું શરૂ થઇ ગયું હતું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ખોખરા સર્કલથી હાટકેશ્વર થઈને CTMનો માર્ગ પાણીમાં ગરકાવ થઇ ગયો હતો. AMC ના મોડેલ રોડ ૧૩૨ ફુટનો અને રિંગરોડ અમરાઈવાડીથી લઈને ગોરના કુવા સુધીના માર્ગ પર વરસાદી પાણી ભરાયા હતા. ખારીકટ કેનાલમાં વરસાદી પાણી ઠલવવા ગુરુજી રેલવે ઓવરબિજની નીચે શારદાબેનની વાડી પાસેના સમ્પના ચાર પંપો તાકીદે ચાલુ કરીને વરસાદી પાણી ઉલેચવાનું શરુ કરવામાં આવ્યું હતું. વરસાદનું જોર ધીમું પડ્યા બાદ ફરી એકવાર વધવા લાગ્યું હતું. જેથી થોડીવાર સુધી હાશકારા બાદ ફરી લોકોનાં જીવ તાળવે ચોંટ્યા હતા. 


અમદાવાદમાં ભારે વરસાદ ને પગલે વાસણા બેરેજના 5 ગેટ ખોલવામાં આવ્યા હતા. જેના પગલે સાબરમતી નદી ફરી સજીવન થઇ હતી. તોફાની પાણીનો ધસમસતો પ્રવાહ નદીમાં જોવા મળ્યો હતો. વાસણા બેરેજના દરવાજા ખોલવામાં આવ્યા હતા. બેરેજના 20, 21, 22, 23 અને 4 નંબરના ગેટને 4 ફૂટ જેટલા ખોલી નાખવામાં આવ્યા હતા. બેરેજની બીજી તરફ નદીમાં 12000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. હાલ બેરેજ ખાતે પાણી સપાટી 131 ફૂટ છે. જેને ઘટાડી 128 ફૂટ કરવા માટે તંત્ર પ્રયાસ કરી રહ્યું છે. શહેરના વિવિધ વિસ્તારોમાં ભરાયેલા પાણીના નિકાલ માટે સાબરમતી નદીનું લેવલ નીચું કરવામાં આવી રહ્યું છે. 


અમદાવાદમાં ભારે વરસાદ ને પગલે વાસણા બેરેજના 8 ગેટ ખોલવામાં આવ્યા હતા. 17, 18, 19, 20, 21, 22, 23 અને 24 નમ્બર ગેટ 4 ફૂટ ખોલવામાં આવ્યા હતા. બેરેજની બીજી તરફ નદીમાં 18904 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. હાલ બેરેજ ખાતે પાણી સપાટી 131 ફૂટ, જેને ઘટાડી 128 ફૂટ કરવાનું આયોજન છે. શહેર ના વિવિધ વિસ્તારોમાં ભરાયેલા પાણી ના નિકાલ માટે સાબરમતી નદીનું લેવલ નીચું કરવું પડી રહ્યું છે.


નારણપુરાના DK પટેલ હોલ પાછળ આવેલી રંગમિલન સોસાયટીની પાણીની ટાંકી ધરાશાયી થઇ ગઇ હતી. જો કે સદનસીબે કોઇને ઇજા પહોંચી નહોતી. તો બીજી તરફ શહેરના જીવરાજપાર્ક વિસ્તારમાં પાણી પણ ભરાયા હતા અને વિજળી પણ ગુલ થઇ ગઇ હતી. જીવરાજ પાર્કમાં લોકોના ઘરોમાં પાણી ઘુસવાથી લોકો ભારે પરેશાન થઇ રહ્યા છે. ઉસ્માનપુરા માં અડધો કલાક માં 70mm એટલે કે પોણા ત્રણ ઇંચ અને અઢી કલાકમાં સાડા છ ઇંચ વરસાદ વરસ્યો હતો. વાસણા ટેલિફોન એક્સચેંજ નજીક આવેલી સોસાયટીઓમાં પણ પાણી ભરાવાનું શરૂ થયું હતું. અમદાવાદના જુહાપુરા વિસ્તારની અનેક સોસાયટીઓમાં પણ પાણી ભરાવાના શરૂ થઇ ગયા હતા. 


અમદાવાદ શહેરમાં પાણીનો નિકાલ લાવવા માટે તમામ ડેપ્યુટી કમિશનર તેમના ઝોનમાં હાજર રહેવા સૂચના આપવામાં આવી હતી. સીટી ઈજનેર અને એડિશનલ સીટી ઈજનેરને પણ સ્થળ ઉપર કામગીરી કરવા સૂચના આપવામાં આવી હતી. આ ઉપરાંત વોર્ડ લેવલે પણ ઈજનેર અધિકારીઓને કાર્યરત રહેવા માટે સુચના આપવામાં આવી હતી. અત્રે નોંધનીય છે કે, અમદાવાદમાં પડેલા વરસાદના પગલે સમગ્ર વહીવટી તંત્રને કામે લાગી જવા સુચના આપી હતી. જેમાં અધિકારી હોય કે કર્મચારી તમામ લોકોને કામે લગાડવામાં આવ્યા હતા. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube