મોરબી: મોરબી માટે આજનો દિવસ ફરી ગોઝારો બની ગયો છે. મોરબીના રાજા વાઘજી ઠાકોર દ્વારા મચ્છુ નદી પર ઝૂલતો પુલ બનાવવામાં આવ્યો હતો. જેનું બાંધકામ વર્ષ 1877માં કરવામાં આવ્યું હતું. આ ઝૂલતો બ્રિજ આજે તૂટતા મોટી દુર્ઘટના સર્જાઈ છે. આજથી 43 વર્ષ અગાઉ 11 ઓગસ્ટ 1979ના રોજ કુદરતી આપદાઓએ આ મોરબી શહેરને વેરવિખેર કરી નાંખ્યું હતું. ત્યારે આજે ફરી એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. આજે બનેલી ઘટનામાં પુલ તૂટી જતા અનેક લોકો મચ્છુ નદીમાં પટકાયા હતા. હાલ તમામ લોકોનું રેસ્ક્યૂ કામગીરી હાથ ધરવામાં આવી છે. 500થી વધુ લોકો આ દુર્ઘટનામાં નદીમાં પટકાયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મોરબીની મચ્છુ જળ હોનારતની ઘટનાને 43 વર્ષ પુરા થઇ ગયા છે. પરંતુ આજે પણ તે ઘટનાને યાદ કરતા કઠણ કાળજાનો માણસ પણ રોઈ પડે છે. ના માત્ર ગુજરાત પરંતુ દેશ વિદેશના લોકો પણ જે ઘટનાને આજની તારીખે ભૂલ્યા નથી તે ઘટનાને મોરબીવાસીઓ કદી ન ભૂલી શકે તે નક્કી છે, અને 43 વર્ષ વીતી ગયા હોવા છતા પણ હોનારતની તારીખ આવતા જૂની યાદો લોકોને તાજી થઇ જવાથી અનેક આંખોમાં ફરી પાછું હોનારત આવશે અને જળ પ્રલયમાં સ્વજનોને ગુમાવનારા અનેક લોકોની આંખોના બાંધ પણ તૂટશે તે નિશ્ચિત છે.



11 ઓગસ્ટે શું બન્યું હતું?
11મી ઓગસ્ટના દિવસને મોરબીના રહેવાસીઓ ક્યારે પણ ભૂલી શકે તેમ નથી કેમ કે, આ દિવસે આજથી 43 વર્ષ પહેલા મોરબી નજીકનો મચ્છુ-2 ડેમ તુટ્યો હતો અને મોરબી ભારતના નકશામાંથી હતું ન હતું થઇ ગયું હતું. જે તે સમયે શ્રાવણ મહિનાના પવિત્ર દિવસો હોવાથી મેળા સહિતની રજાઓ હોવાથી મોરબીની જુદીજુદી કચેરીઓમાં ફરજ બજાવતા અધિકારીઓ અને કર્મચારો પોતાના વતનમાં કે ગામડે જતા રહ્યા હતા અને 11મી તારીખ પહેલાના દિવસોમાં પડેલા ભારે વરસાદના કારણે મચ્છુ-2 ડેમ છલોછલ ભરેલો હતો. તેવા સમયે એક ડેમનો માટીનો પાળો તૂટવાથી સર્જાઈ હતી જળપ્રલયની ભયાનક ઘટના... જેની યાદ માત્રથી આજની તારીખે લોકોના શરીરમાંથી કંપારી છૂટી જય છે.



હજારોની સંખ્યામાં માણસો અને પશુઓના ભોગ લીધા
જો કે, મોરબીના જળ હોનારતમાં માનવ મૃત્યુનો સાચો આંકડો તો આજની તારીખે બહાર આવ્યો નથી અને મચ્છુ ડેમમાંથી નીકળેલ પાણી મોરબી ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ફરી વળ્યું હોવાથી હજારોની સંખ્યામાં લોકો મચ્છુના ધસમસતા પાણીમાં તણાઈ ગયા હતા અને મોતને ભેટયા હતા. એટલું જ નહિ ગાય, ભેસ સહિતના દુધાળા પશુઓ ઉપરાંત અન્ય હજારો અબોલ જીવના પણ પાણીમાં તણાઈ જવાથી મોત નીપજતા શેરી ગલ્લીઓ તો ઠીક વીજપોલ ઉપર, મકાનની છત ઉપર, વૃક્ષની ડાળીઓ ઉપર જ્યાં નજર કરો ત્યાં લટકતી લાશો જ જોવા મળતી હતી. 



મચ્છુ હોનારત બાદ શહેરમાં રોગચાળો ફેલાયો અને લોકો રોગનો ભોગ બને તેવી સ્થિતિનું નિર્માણ થયું હતું. જેથી તે સમયે સરકાર દ્વારા તાત્કાલિક કર્મચારીઓની ભરતી કરીને જુદાજુદા સર્વે સહિતની કામગીરીમાં તે કર્મચારીઓને લગાવવામાં આવ્યા હતા અને જે તે સમયે તાત્કાલિક કેટલાક કર્મચારીઓની ભરતી પણ કરવામાં આવી હતી અને નવા સ્ટાફને પહેલી જ જવાબદારી શહેરના જુદાજુદા વિસ્તારોમાં પાણી કેટલા ભરાયેલા છે? કયા કયા મૃતદેહ પડ્યા છે? વિગેરે સોપવામાં આવી હતી. આજે પણ ત્યાંના લોકોને યાદ છે અને તે દિવસનો નજરો આજે પણ લોકો સમક્ષ આવી જાય તો ધ્રૂસકે ધ્રૂસકે રડવા લાગે છે. આજે ઘણા કર્મચારી નિવૃત થઇ ગયા છે તો પણ મચ્છૂ હોનારતને ભૂલી શક્યા નથી.


મોરબીવાસીઓના કાળજા કંપી ઉઠ્યા!
અત્રે ઉલેખનીય છે કે, ભારે વરસાદના કારણે તે દિવસે સવારથી જ શહેરમાં પાણી ભરાવા લાગ્યા હતા, તેવામાં મચ્છુ ડેમ તૂટતા લોકોને પોતાના જીવ બચાવવા મુશ્કેલ બની ગયા હતા અને ઘણા લોકોએ તો મચ્છુના પાણીમાં નજરો નજર પોતાના સ્વજનોને ડૂબતા જોયા હતા. જેથી મચ્છુની આ ગોઝારી હોનારતનો દિવસ નજીક આવે એટલે આજે પણ મોરબીવાસીઓના કાળજા કંપી ઉઠે છે. જો કે, હોનારત સમયે ઘણા લોકો પોતાના જીવ જોખમમાં મુકીને શહેરના જુદાજુદા વિસ્તારમાં પાણીમાં ફસાયેલા ઘણા લોકોને પાણીની બહાર કાઢીને બચાવ્યા હતા. 



આ ડેમ મોરબી માટે અભિશાપ બન્યો
મોરબી શહેરમાં 11મી ઓગસ્ટ 1979ના દિવસે ભારે વરસાદના કારણે પલળી ગયેલા મકાનો અને ઇમારતો પત્તાના મહેલની જેમ તુટવા લાગ્યા હતા. જેથી હોનારતમાં બચી ગયેલા લોકો આજે પણ કહે છે કે, તેઓને ભગવાને જ બચાવ્યા છે નહિ તો મોત તો તેઓએ પોતાની નજર સામે જ જોયું હતું. ત્યારે હોનારતના કારણે મોરબી શહેર ટાપુ સમાન બની ગયો હતો અને ત્યારબાદ મોરબીમાં લાશોના ઢગલા, ગંદકીના ગંજ હતા જેથી આરએસએસ સહિતની જુદીજુદી સંસ્થાઓએ લાશોના નિકાલ સહિતની કામગીરી કરી હતી.



નગરજનોના હૃદયમાં કોતરાયેલા ઘાવ હજુ પણ રૂઝાયા નથી
મચ્છુ જળ હોનારતથી મોરબી શહેર ઉપરાંત મોરબી-માળીયા તાલુકાનાં 68 ગામડાઓની 1,53,000 ની વસતિને ભારે અસર થઇ હતી અને હજારો લોકો ઘર બેઘર થઇ ગયા હતા. કોઈની પાસે ખાવા માટે કે ધંધા રોજગાર માટે કશું જ હતું નહિ. ભયાનક હોનારતના કારણે સર્વસ્વ ગુમાવી દેનારા મોરબીવાસીઓની આંખોમાં આંસુ સિવાય કશું જ જોવા મળતું ન હતું. જેથી કરીને દર વર્ષે મોરબી મોતના તાંડવ એટલે કે હોનારતના કાળા દિવસને યાદ કરે છે, ત્યારે ક્ષણવારમાં આવેલા હોનારતના પાણી ભલે ઓસરી ગયા હોય. પરંતુ આજે 43 વર્ષ પછી પણ નગરજનોના હૃદયમાં કોતરાયેલા ઘાવ હજુ પણ રૂઝાયા નથી અને દિવંગત આત્માઓને શ્રદ્ધાંજલી આપવા માટે આજે પણ લોકો મોરબીમાં મૌન રેલી કાઢીને દિવંગતોની ખાંભીએ જઈને શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube