રાજકોટ: આપણો દેશ ખેતીપ્રધાન દેશ છે. અહીંયા ગ્રામ્ય વિસ્તારોમાં મોટાભાગના લોકો ખેતીના વ્યવસાય સાથે જોડાયેલા છે. ખેતી એ અતિ કઠિન કામ હોવાનું પણ માનવામાં આવે છે. જોકે હવે બદલાતા સમય સાથે જગતનો તાત પણ ખેતીમાં બદલાવ લાવી રહ્યો છે. ત્યારે રાજકોટ જિલ્લાના નાના એવા ગામ કોલીથળમાં એક ખેડૂત પુત્ર એ એક એવું મશીન બનાવ્યું છે કે જેની મદદથી ખેતરમાં પિયત કરવાનું કઠિન ગણાતું કામ પણ આસાન થયું છે તો સાથે જ આ મશીનના કારણે ખેતરમાંથી વેસ્ટ જતું પાણી પણ બચાવી શકાય છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચોમાસાની ઋતુ પૂર્ણ થવાને આરે છે, ત્યારે હવે ખેડૂતોએ પોતાના ખેતરમાં વાવેલા વિવિધ ખેત પાકોને પીયત કરવાનો સમય આવી રહ્યો છે. ખેત પાકોને પિયત કરવું એ પણ એક કઠિન કામ છે. જોકે રાજકોટ જિલ્લાના કોલીથળ ગામમાં એક ખેડૂત પુત્ર એ અનોખું મશીન બનાવ્યું છે. આ મશીન એ ખેતરમાં રહેલા ક્યારો જ્યારે પાણીથી ભરાઈ જાય છે ત્યારે આ મશીનની મદદથી ખેતરમાં મોટા અવાજથી સાયરન વાગશે કે જેથી ખેડૂતને પણ ખ્યાલ આવી જશે કે તેમના ખેતરનો ક્યારો ભરાઈ ગયો છે. તેથી જ પાણી વેસ્ટ જાય એ પહેલાં જ ખેડૂત આ પાણીને બીજા કયારામાં પાણી વાળી દેશે. 



આ મશીન બનાવનાર જીગ્નેશ સાવલિયા નામના ખેડૂત પુત્ર એ કહ્યું હતું કે તેઓ ખેડૂત પુત્ર હોવાથી ખેતરોમાં કામ માટે જતા આવતા. ત્યારે ખેડૂતોની પિયત સમયે થતી સમસ્યા આંખમાં કણાની માફક ખટકતી. ખેડૂતો પોતાના ખેતરમાં પીયત આસાનીથી કરી શકે તે માટે તેઓ કંઈક કરવા ઈચ્છતા હતા. આ ખેડૂત પુત્ર એ પોતે મિકેનિક એન્જિનિયર સુધીનો અભ્યાસ કર્યો હોવાથી તેમણે ટેકનોલોજીની મદદ લીધી અને આ મશીન બનાવ્યું.


આજની યુવા પેઢી ખેતીથી દૂર ભાગી રહી છે કેમ કે ખેતરમાં કામ કરવું એ ખૂબ મુશ્કેલ છે અતિ મહેનત માંગી લેતું હોય છે. રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના કોલીથડ ગામમાં મિકેનિક એન્જિનિયરનો અભ્યાસ કરેલ ખેડૂત પુત્ર ખેતીથી દૂર જવાના બદલે ખેતીની નજીક ગયો ખેડૂતોને પડતી સમસ્યાનો ઉકેલ લાવવાનો પ્રયાસ કર્યો. તેમણે બનાવેલું મશીન એ ખાસ કરીને પીયતનું કામ ઘણું આસાન કરી ખાસ કરીને જ્યારે રાત્રિના સમયે પિયત કરવાનું હોય ત્યારે ખેડૂતોને આખી રાત ઉજાગરા કરવા પડતા હોય છે. જ્યાં સુધી પાણીનો ક્યારો ન ભરાઈ જાય ત્યાં સુધી ખેડૂતોએ જાગતું રહેવું પડતું હોય છે.


પાણીનો એક ક્યારો ભરાતા આશરે 30 મિનિટ જેટલો સમય લાગતો હોય છે. આવા અનેક ક્યારાઓ ખેતરમાં હોય છે. ખેડૂતોએ પોતાનો ક્યારો ભરાયો છે કે નહિ તે જોવા જવું પડતું હોય છે જે સમયે રાત્રિના સમયે ખેતરમાં સાપ વીંછી જેવા ઝેરી જીવ જંતુનો પણ ડર ખેડૂતોને સતાવતો હોય છે ત્યારે આ મશીનની મદદથી ખેતરમાં ખેડૂતોને જોવા જવાની જરૂર પડતી નથી. જેથી તેમને ખતરો પણ ટડે છે. આ ઉપરાંત અનેક વાર એવું બનતું હોય છે કે જ્યારે ખેતરમાં પાણીનો ક્યારો રહી જાય એ સમયે ખેડૂતને રાત્રિના સમયે ઊંઘ પણ આવી જતી હોય છે અથવા તો કોઈ કારણથી ખેતરમાં રહેલો ક્યારો ભરાઈ જાય તેમનો ખ્યાલ આવતો નથી પરિણામે મોટા પ્રમાણમાં પાણી વેસ્ટ જતું હોય છે.



સામાન્ય રીતે પાંચ વીઘા ખેતરમાં પાણીના પિયત આપવા માટે ઘણી વખત અન્ય ત્રણ વીઘામાં આપી શકાય તેટલું પાણી વેસ્ટ થઈ જતું હોય છે.. જોકે મશીનના આ શાયરનની મદદ થી પાણીનો ક્યારો ભરાઈ જતો એની સાથે જ સાયરન વાગી જાય છે જેથી ખેડૂત પણ પોતાનું વેસ્ટ જાતું પાણી બચાવી શકે.


સમય હંમેશા પરિવર્તન ઇચ્છતો હોય છે ત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂત પણ હવે ટેકનોલોજીનો સહારો લઈ રહ્યા છે અને કઠિન ગણાતી ખેતી ટેકનોલોજીની મદદથી સરળ કરી રહ્યા છે જોકે હજુ પણ અનેક એવા ખેતકામો છે કે જે માં જો ટેકનોલોજી નો યોગ્ય ઉપયોગ થાય તો જગતના તાતને સાચા અર્થમાં રાહત મળી શકે છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube