ઝી બ્યુરો/સાબરકાંઠા: આજકાલ લગ્નસરાની સીઝનમાં અકસ્માતની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. ત્યારે આજે અમદાવાદથી ઇડર જતી વરરાજાની ગાડીને અકસ્માત નડ્યો છે. સલાલ- દલપુર પાસે અન્ય કાર વરરાજાની ગાડીને ટક્કર મારી હતી. જેના કારણે લગ્ન પ્રસંગની ગાડી ચાર પલટી મારી ગઈ હતી. આ ઘટનામાં ગાડીમાં બેઠેલાઓને ગંભીર ઈજા પહોંચી હતી. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. ઘાયલોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પરંતુ આ અકસ્માતમાં વરરાજાની ગાડી કાટમાળમાં ફેરવાઇ ગઈ હતી. આ ગમખ્વાર અકસ્માતમાં વરરાજા સહિત અન્ય ચાર લોકોને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા.



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, પ્રાંતિજ તાલુકાના દલપુર પાસે અમદાવાદથી ઇડર ઓડ પરિવારની જાનનો કાફલો જતો હતો. ત્યારે વરરાજા અને તેના ભાઈની કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અમદાવાદની સિવિલ ચાર રસ્તા પાસે મોહન સિનેમા નજીક ઓડ પરિવારના વરરાજા રીધમ વિનોદભાઈ ઓડની જાનમાં કારનો કાફલો લઈને પરણવા નીકળ્યા હતા. વરરાજાની માતા હિરલબેન વિનોદભાઈ ઓડ, દાદાજી બાલાજી ઓડ, મોન્ટુભાઈ ઓડ અને અન્ય સંબંધીઓ વરરાજાની કાર અને પાછળની બીજી કારમાં બેઠા હતા. કારના કાફલા સાથે લગ્નની જાન ઇડરમાં પંડ્યા સોસાયટીમાં જઈ રહી હતી.


તે દરમિયાન પ્રાંતિજથી હિંમતનગર નેશનલ હાઈવે નં. 8 પર આવેલા સલાલ પાસેના દલપુર નજીક રોડ પર કાફલામાં જતી કાર પૈકી વરરાજાની કાર અને તેના ભાઈની કાર વચ્ચે સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જે નજીકના પેટ્રોલ પંપમાં લગાવેલા સીસીટીવીમાં કેદ થયો હતો. રીધમની કાર સાથે તેના ભાઈ મોન્ટુની કાર ટકરાઈ હતી. જેમાં અનેક લોકોને ઈજાઓ થઇ હતી. 


બંને કારના કુરચા થઇ ગયા હતા. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હિંમતનગરમાં ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. નોંધનીય છે કે, આ અકસ્માત અંગે પ્રાંતિજ પોલીસને જાણ થતા ઘટનાસ્થળે પહોંચ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.