Gujarat Assembly Election 2022, AAP Candidates: ગૌરવ પટેલ/અમદાવાદ: આપના સંયોજક અરવિંદ કેજરીવાલે આજે મુખ્યમંત્રીનો ચહેરો જાહેર કરી દીધો છે. દિલ્હીના સીએમ અને આપના સંયોજક અરવિંદ કેજરીવાલે ગુજરાતમાં આપના નેતા ઇશુદાન ગઢવીને મુખ્યમંત્રીનો ચહેરો જાહેર કર્યો છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટીનો સીએમ પદનો ચહેરો ઈસુદાન ગઢવી હશે. આપના મુખ્યમંત્રી પદના ઉમેદવાર જાહેર કરવાના હતા તે કાર્યક્રમમાં ઈસુદાન ગઢવીના પરિવારજનો પણ પહોંચ્યા હતા. અત્યાર સુધી ગુજરાતમાં આમ આદમી પાર્ટીના સીએમ પદના ઉમેદવાર કોણ હશે તેનું જે સસ્પેન્સ હતું તે હવે સમાપ્ત થયું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અરવિંદ કેજરીવાલે સ્ટેજ પરથી સૌથી પહેલા મોરબી દુર્ઘટનામાં જીવ ગુમાવનારને શ્રધધાંજલી આપી હતી. ત્યારબાદ તેમણે જણાવ્યું હતું કે અમે એક રૂમમાં બેસીને એમ નક્કી કરતા નથી. દિલ્હી કે પંજાબના સીએમ પણ જનતાએ નક્કી કર્યા હતા. પંજાબની જનતાએ ભગવત માનને સીએમ તરીકે નક્કી કર્યા હતા. કેજરીવાલે ઉમેર્યું હતું કે ગુજરાતના તમામ સર્વે પોલ ખોટા પડશે અને આપની સરકાર બનશે. આ સાથે જ કેજરીવાલે ઈશુદાન ગઢવીને સીએમ તરીકે જાહેર કર્યા હતા. અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે, ગુજરાતના ઈશુદાન ગઢવીને 73 ટકા મત મળ્યા છે. 16 લાખ કરતાં વધારે લોકોએ વોટ કર્યા હતા. ગુજરાતમાં સીએમ તરીકેનો ચહેરો જાહેર થતાં જ ઈશુદાનની આંખમાં આંસુ આવી ગયા હતા. તેમણે પોતાના પરિવારના આશીર્વાદ લીધા હતા.


ઈશદાન ગઢવી આપના સીએમ પદનો ચહેરો બન્યા બાદ તેમની માતાએ જણાવ્યું હતું કે, મા મોગલ અને પ્રજા સાથ આપે. બધા આશીર્વાદ આપે. આપના સીએમ પદનો ચહેરો બન્યા બાદ ઇશુદાનના પત્નીએ જણાવ્યું હતું કે, બધાનો દિલથી આભાર તેમનુ સ્વપ્ન પુર્ણ કરવામાં મા મોગલ અને દ્વારકાધીશ આશીર્વાદ આપે. 


ઈશુદાન ગઢવીએ આ સંદર્ભે જણાવ્યું હતું કે, નાની ઉમરમાં ઇશ્વરે મોટી જવાબદારી ચેનલ હેડ તરીકેની આપી હતી. કોરોના, ખેડૂત, પેપરલીકની સ્થિતિ જોઇ લાગ્યુ કે કંઇક કરવાનુ છે. હુ કારકિર્દીની ટોચ પર હતો અને ગુજરાતની જનતા માટે કામ કરવા રાજીનામુ આપ્યું હતું. કેજરીવાલે રાજકારણમાં આવવા માટે  આમંત્રણ આપ્યું હતું. દિલ્હીની સ્થિતિ જોયા બાદ રાજકારણમાં જવાનુ નક્કી કર્યુ હતું. રાજકારણ મારો શોખ નહી મજબુરી છે. લોકોની સમસ્યાઓ મારાથી જોવાતી ન હતી. અમે સમસ્યાઓને વાચા આપી શકતા હતા આદેશ નહોતા કરી શકતા, માટે છેવટે રાજકારણમાં આવવાનો નિર્ણય કર્યો હતો.


ઈશુદાન પિતાની વાત કરતા ભાવુક થયા હતા. પિતાની બિમારી અને અવસાન અંગે વાત કરતાં ઈશુદાન ભાવુક થયા હતા. ઈશુદાને જણાવ્યું હતું કે, કોઇ શક્તિ મને સપોર્ટ કરી રહી છે. હુ જ્યા સુધી જીવીશ ત્યાં સુધી સેવા કરતો રહીશ. હુ જ્યારે નોકરી કરતો હતો ત્યારે લખતો હતો કે ગુજરાતના લોકોની સમસ્યા માટે શુ કરી શકાય? હુ આશ્વાસન આપુ છુ કે 75 વર્ષમાં જે ગુજરાતમાં નથી થયુ એ પાચ વર્ષમાં ન કરુ તો રાજકારણ છોડી દઇશ. જો આપની સરકાર બનશે તો મુખ્યમંત્રી તરીકે હુ નહી સાડા છ કરોડની જનતા શપથ લેશે. જો કોઇ ખોટુ કરશે તો તેને જેલ ભેગો કરીશુ, ભલે ને તે આપનો નેતા કે મંત્રી કેમ ન હોય. ઈશુદાને  વધુમાં જણાવ્યું હતું કે, જો તમે ભાજપને મત આપશો તો તેમને કરેલ કાંડના ભાગીદાર હશો


તમને જણાવી દઈએ કે આજે સવારથી ઇશુદાન ગઢવીને મુખ્યમંત્રીનો ચહેરો જાહેર કરાય તેવી પ્રબળ શકયતાઓ જોવામાં આવી રહી હતી. આપના આંતરિક સર્વેમાં પણ ઇશુદાન ગઢવી સૌથી આગળ હતા. સર્વેમાં ગોપાલ ઇટાલીયાની સરખામણીએ ઇશુદાન ગઢવીને બે ટકા વધારે મત મળ્યા હતા. મુખ્યમંત્રી પદના ચહેરા માટે ગોપાલ ઈટાલિયા અને ઈસુદાન વચ્ચે હરિફાઈ જોવા મળી શકે છે.


નોંધનીય છે કે, 29 ઓક્ટોબરે કેજરીવાલે લોકોને SMS, વોટ્સએપ, વોઈસ મેઈલ અને ઈ-મેલ દ્વારા પાર્ટીનો સંપર્ક કરવા અને રાજ્યમાં પાર્ટીના મુખ્યમંત્રી પદના ઉમેદવાર કોણ હોવા જોઈએ તે જણાવવા માટે લોકોને અપીલ કરી હતી.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube